પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poisoning: 1 Child Dead 18 Kids Hospitalized After Eating Pakoda in Jharkhand

![]()
Food Poisoning in Giridih, Jharkhand : ઝારખંડના ગિરિડીહ શહેરના એક ગામમાં પકોડી ખાધા બાદ 20 બાળકો બીમાર પડ્યા હોવાનું અને એકનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીમાર બાળકોમાં એક યુવતી પણ સામેલ છે. મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બજટો-કુમ્હરગઢિયા ગામમાં આ ફૂડ પોઈઝનિંગની ઘટના બન્યા બાદ તમામ બીમાર બાળકોને નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પકોડી ખાધા બાદ એક પછી એક બાળકો બીમાર પડવા લાગ્યા
હોસ્પિટલમાં દાખલ બાળકોની હાલત જોતા પરિવારોજનો ભારે ચિંતામાં મુકાયા છે. પરિવારના લોકોએ કહ્યું કે, ગામમાં પકોડી વેચનારો આવ્યો હતો, જે ખાધા બાદ એક પછી એક બાળકો બીમાર પડવા લાગ્યા હતા. ત્યારપછી બીમાર બાળકોની સ્થાનીક સારવાર કરવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ સુધારો થયો ન હતો. જેના કારણે તેમને તાત્કાલીક મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા 6 વર્ષના બાળકનું મોત
બીજીતરફ ઘટનાની જાણ થતાં જ અનેક પોલીસ અધિકારીઓ અને એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં એક પછી એક બીમાર બાળકોને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગામના રહેવાસીઓએ કહ્યું કે બે ડઝનથી વધુ બાળકો બીમાર છે. ઘટનામાં છ વર્ષના રંજન કુમાર નામના બાળકનું મોત થયું છે.
ગામમાં પોલીસ અને આરોગ્યની ટીમ તહેનાત
ડીસી રામનિવાસ યાદવે હોસ્પિટલમાં બાળકોના પરિવારજનો અને ડૉક્ટરોને મળ્યા હતા. ગિરિડીહના એસડીએમ શ્રીકાંત વિસ્પુતે કહ્યું કે, પકોડી ખાધા બાદ કેટલાક બાળકો બીમાર થયા છે, જેઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ગામમાં પોલીસ અને આરોગ્યની ટીમ તહેનાત કરી દેવાઈ છે. ટીમ ગામમાં અન્ય લોકોની પણ તપાસ અને દેખરેખ રાખી રહી છે.
પકોડી વેંચનારાની શોધખોળ શરૂ
ડૉક્ટર બી.પી.સિંહે કહ્યું કે, ફૂડ પોઈઝનિંગના કારણે બાળકો અને મોટા લોકો બિમાર થયા છે. અત્યાર સુધીમાં 18 બાળકો અને મોટા લોકોને હોસ્પિટલમાં લવાયા છે. ઘટનામાં એકનું મોત થયું છે. હાલ તમામ બાળકોની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે પકોડી વેંચનારા વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી છે.



