મરજીથી ત્યાં ગયા હતા…, રશિયામાં ભારતના 10 યુવાનોના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ | Governments Response to Supreme Court regarding the death of 10 Indian sons in Russia

![]()
Russia-Ukraine War: રશિયામાં ભારતના 10 દીકરાના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં અરજીઓની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો ખુલાસો કર્યો છે. સરકારે જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેના વતી લડતા 10 ભારતીય નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આમાંના મોટાભાગના લોકોને નોકરીની લાલચ આપીને લલચાવીને રશિયા લઈ જઈને યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેમાંથી મોટાભાગના લોકો પોતાની મરજીથી ગયા હતા. મૃતકોમાં મોટાભાગના યુવાનો છે અને ભારતમાં તેમની 25-26 વર્ષીય પત્નીઓ વિધવા બની ગઈ છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા અનેક ભારતીય નાગરિકોએ પોતાની મરજીથી એટલે કે સ્વેચ્છાએ એવા કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા, જેના કારણે તેઓ આ સંઘર્ષ વચ્ચે પહોંચી ગયા હતા.
વિદેશ મંત્રાલયે આ જવાબ રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા 26 ભારતીય પુરુષોના પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી દરમિયાન આપ્યો હતો. અરજીઓમાં ફસાયેલા લોકોની સુરક્ષિત વાપસી અને મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ ભારત પરત લાવવા માટે વિનંતી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ.
કેન્દ્ર સરકારનો પક્ષ
એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ સરકારનો પક્ષ રજૂ કરતા કોર્ટને અનેક જાણકારીઓ આપી. તેમણે જણાવ્યું કે, 26માંથી 10 ભારતીય નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. એક વ્યક્તિ સામે ગુનાહિત કેસ નોંધાયેલો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ જાણીજોઈને ત્યાં જ રોકાયેલ છે.
ASGએ આગળ જણાવ્યું કે, આ લોકો પોતાની મરજીથી કોન્ટ્રાક્ટ સાઇન કરી રહ્યા છે અને કેટલાક એજન્ટો અથવા વચેટિયાઓ તેમને આવું કરવા માટે ઉકસાવી રહ્યા છે.
સરકારની સલાહ
સરકારે જણાવ્યું કે વહીવટી તંત્ર એક બહુઆયામી રણનીતિ પર કામ કરી રહ્યું છે અને લોકોને આવા કોઈપણ કોન્ટ્રાક્ટ સ્વીકાર ન કરવાની સલાહ આપી રહ્યું છે. અધિકારીઓ તમામ 26 પરિવારોના સંપર્કમાં છે અને ગુમ થયેલા લોકોની સ્થિતિ તથા તેમના લોકેશનની જાણવાની સાથે-સાથે પાર્થિવ દેહોને પરત લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે ફરિયાદ કરતાં કહ્યું કે ખુદ પરિવારો જ પૂરતો સહયોગ નથી આપી રહ્યા. ASGએ કોર્ટને જણાવ્યું કે ગઈકાલે જ તેમણે (પરિવારોએ) અમને કહ્યું કે ‘તમે પાર્થિવ દેહ તમારી પાસે રાખો, અમે અદાલત જઈ રહ્યા છીએ.’ તેમનું આવું વર્તન છે. આ મુદ્દાના અનેક પાસાઓ છે અને તેમણે અમારી સાથે સહયોગ કરવો જોઈએ.
અરજદારો(પરિવારો)નો પક્ષ
પરિવારો તરફથી હાજર રહેલા વકીલ ઋત્વિક ભનોટે વિદેશ મંત્રાલય પર બેદરકારી અને નિષ્ક્રિયતાના આરોપો લગાવ્યા છે. વકીલે સ્પષ્ટ કર્યું કે, આ લોકોને રશિયામાં નોકરીની ખોટી લાલચ આપીને ઠગવામાં આવ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા અને તેમને યુદ્ધમાં સામેલ થવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
અરજીદારોએ કહ્યું કે વિદેશ મંત્રાલયને અનેકવાર વિનંતી કરવા છતાં કોઈ ત્વરિત કાર્યવાહી કરવામાં નથી આવી. સ્થિતિ એવી છે કે બિનઅધિકૃત ખાનગી વ્યક્તિઓ અધિકારીઓ કરતાં વધુ પરિવારોની મદદ કરી રહ્યા છે.
DNA સેમ્પલની માગ
અરજદારોએ મૃતકોની સાચી ઓળખ અને મૃતદેહોને સ્વદેશ પરત લાવવા માટે પરિવારો પાસેથી DNA સેમ્પલ લેવા માટે કોર્ટને નિર્દેશ આપવાની માગ કરી હતી. કોર્ટનું ધ્યાન 25-26 વર્ષની વયની યુવાન વિધવાઓ અને પરિવારોની દુર્દશા તરફ પણ દોરવામાં આવ્યું હતું જેમણે વિદેશી ધરતી પર પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિદેશ મંત્રાલય(MEA)ને અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર ‘સ્ટેટસ રિપોર્ટ’ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાને હવે આગામી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.
મામલાની પૃષ્ઠભૂમિ શું છે?
આ પહેલા 10 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય અને રશિયામાં ભારતીય રાજદૂતને નોટિસ ફટકારી હતી, જેમાં આ 26 પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો જવાબ માંગવામાં આવ્યો હતો. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ યુવાનોને શિક્ષણ અથવા નોકરીના જૂઠા વાયદા આપીને રશિયા મોકલવામાં આવ્યા હતા. પરિવારોએ સરકાર દ્વારા તાત્કાલિક રાજદ્વારી હસ્તક્ષેપની માગ કરી હતી જેથી તેમના સંબંધીઓની સલામતી, કાનૂની સ્થિતિ અને ઠેકાણાની ખાતરી કરી શકાય. અરજી પ્રમાણે વારંવાર અપીલ કરવા છતાં પરિવારોને તેમના સંબંધીઓ કસ્ટડીમાં છે, ઘાયલ છે કે યુદ્ધમાં લડવા માટે મજબૂર છે કે નહીં તે અંગે કોઈ નક્કર માહિતી નથી મળી રહી.



