राष्ट्रीय

આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત | raghav chadha resigns from aam aadmi party



Raghav Chadha Resigns from AAP: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ (2/3) સભ્યોએ ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં સાંસદોના પક્ષપલટાથી વિપક્ષની સ્થિતિ પર ઊંડી અસર પડી શકે છે. 

ભાજપમાં જોડાશે 7 સાંસદો, હસ્તાક્ષર કર્યા : રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધવાની સાથે ટ્વિટ કરીને પણ માહિતી આપી છે કે, ‘ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને, રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના બે તૃતીયાંશથી વધુ સાંસદો આજે ભાજપમાં ભળી ગયા છે. સાત સાંસદોએ આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરવામાં આવ્યો છે. મેં અન્ય બે સાંસદો સાથે મળીને વ્યક્તિગત રીતે આ હસ્તાક્ષર કરેલા દસ્તાવેજો સોંપ્યા છે.’ 

લોહી-પરસેવાથી સીંચેલી પાર્ટી હવે સિદ્ધાંતોથી ભટકી: રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતા પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના 15 વર્ષ આપ્યા છે, તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને ‘આપ’થી અલગ કરી રહ્યો છું અને હવે જનતાની સેવામાં જોડાઈ રહ્યો છું, તેમજ મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ (2/3) સાંસદો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.’ 

રાઘવ ચઢ્ઢાનો દાવો: ‘આપ’ના દિગ્ગજ નેતાઓએ ભાજપમાં જોડાવા કરી સહી

રાઘવ ચઢ્ઢાના દાવા મુજબ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ સહિતના નેતાઓએ ભાજપમાં જોડાવા માટે સહી કરી દીધી છે. રાજ્યસભામાં ‘આપ’ પાસે કુલ 10 સાંસદો છે, જેમાંથી 7 પંજાબના અને 3 દિલ્હીના છે. ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને આ સભ્યો હવે ભાજપમાં ભળી જશે. 

AAPને ઝટકો આપ્યા બાદ સાંસદ સ્વાતિ માલીવાલનું મોટું નિવેદન

સ્વાતિ માલીવાલે કહ્યું કે, “અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આમ આદમી પાર્ટી આદર્શોથી ભટકી ગઈ છે. વર્ષ 2006 માં મારી નોકરી છોડીને મેં દેશસેવાનો માર્ગ પસંદ કર્યો હતો. RTI આંદોલન, અન્ના આંદોલન, આમ આદમી પાર્ટીની રચના અને દિલ્હી મહિલા આયોગમાં 8 વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કરતા, મેં દરેક તબક્કે પૂરી ઈમાનદારી અને સમર્પણથી યોગદાન આપ્યું.

જે સિદ્ધાંતો, મૂલ્યો અને ઈમાનદાર રાજનીતિના સંકલ્પ સાથે અમે આ સફર શરૂ કરી હતી, આજે મોટા દુઃખ સાથે કહેવું પડે છે કે અરવિંદ કેજરીવાલજી અને તેમના ઈશારે પૂરી આમ આદમી પાર્ટી તે આદર્શોથી ભટકી ગઈ છે.

મારી સાથે તેમના નિવાસસ્થાને તેમના ઈશારે ખરાબ રીતે મારપીટ અને અભદ્રતા કરવામાં આવી. તેમણે પોતાના ગુંડાને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું અને તેને મોટા-મોટા પદોથી નવાજ્યો. મને બરબાદ કરવાની ધમકીઓ આપી અને દરેક સંભવ પ્રયાસ કર્યો.

કેજરીવાલજીના સંરક્ષણમાં આમ આદમી પાર્ટીમાં વધી રહેલો બેહિસાબ ભ્રષ્ટાચાર, મહિલાઓ સાથે ઉત્પીડન અને મારપીટની ઘટનાઓ, ગુંડા તત્વોને પ્રોત્સાહન અને પંજાબ સાથે થઈ રહેલી છેતરપિંડી અને લૂંટને જોતા મેં આજે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. હું અત્યારે સંસદીય સમિતિની બેઠક માટે ઈટાનગર આવેલી હતી. આજે રાત્રે દિલ્હી પરત ફર્યા બાદ આ વિષય પર વિગતવાર વાત કરીશ.”





Source link

Related Articles

Back to top button