‘જો હું અમેરિકાનો પ્રમુખ બનીશ તો ભારત સાથેના સંબંધો સુધારીશ’, USના નેતાનું મોટું નિવેદન | Rahm emanuel says If I become president I will improve relations with India

![]()
Image Source: Twitter
Rahm Emanuel On US-India Relations: અમેરિકાના પૂર્વ રાજદૂત રેહમ ઈમેન્યુઅલે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પની નીતિઓએ ભારત-અમેરિકા સબંધોને નબળા કર્યા છે અને જો હું પ્રમુખ બનીશ તો આ સબંધોને ફરીથી મજબૂત બનાવવાની દિશામાં કામ કરીશ. આમ, રેહમ ઈમેન્યુઅલ ટ્રમ્પની ટીકા કરીને ભારતને એવો ભરોસો આપવા માંગે છે કે તેમની સરકાર ભારત સાથે વધુ સકારાત્મક અને મજબૂત ભાગીદારી કરવા માટે તૈયાર છે.
ભારત-અમેરિકા સબંધો પર ટ્રમ્પની નીતિઓની ટીકા
એક ઇન્ટરવ્યુમાં ભારત-અમેરિકા સંબંધો પર વાત કરતાં ઈમેન્યુઅલે કહ્યું કે, ટ્રમ્પના વહીવટ દરમિયાન અમેરિકાએ ભારતને દૂર ધકેલી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા 30 વર્ષોમાં દરેક અમેરિકન પ્રમુખે ભારતને નજીક લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ટ્રમ્પે આ પ્રયાસોને નુકસાન પહોંચાડ્યું છે.
સહયોગી દેશો દૂર થઈ રહ્યા
ઈમેન્યુઅલે કહ્યું કે, ટ્રમ્પની ભાષા અને વલણના કારણે અમેરિકાના ઘણા સહયોગી દેશો તેનાથી દૂર થઈ રહ્યા છે. ભારત, જાપાન અને કોરિયા જેવા મુખ્ય ભાગીદારો પણ ટ્રમ્પની નીતિઓથી અસ્વસ્થતા અનુભવી રહ્યા છે.
પ્રમુખની ચૂંટણીની તૈયારી અને મોટું નિવેદન
ડેમોક્રેટિક નેતા ઈમેન્યુઅલના આ નિવેદનોને આગામી પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઈલિનોઈસના પૂર્વ પ્રતિનિધિ ઈમેન્યુઅલ 2028ની ચૂંટણીમાં ઉતરવાની સંભાવનાઓને લઈને ચર્ચામાં છે.
પાકિસ્તાનને લઈને ટ્રમ્પના વલણ પર સવાલ
ઈમેન્યુઅલે ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત-પાકિસ્તાન નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે અનેક વખત ભારત કરતાં પાકિસ્તાનના પક્ષમાં ઝુકાવ દેખાડ્યો છે, જે અમેરિકાની વિદેશ નીતિ માટે યોગ્ય નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત વર્ષે થયેલા સૈન્ય તણાવ બાદ ટ્રમ્પના નિવેદનોને લઈને પણ ઈમેન્યુઅલે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ટ્રમ્પના નિવેદનો ભારતના વલણની વિરુદ્ધ હતા, જેના કારણે નવી દિલ્હીમાં અસ્વસ્થતા ઊભી થઈ હતી.



