પાકિસ્તાનમાં આતંકી અમીર હમઝા પર ગોળીબાર : હુમલાખોરો નાસી છુટયા | Terrorist Amir Hamza shot in Pakistan: Attackers escape

![]()
– લશ્કર એ તૈય્યબાના સ્થાપક હાફીઝ સઇદનો જમણો હાથ મનાતો અમીર હમઝા લાહોરની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાય છે
લાહોર : પાકિસ્તાને નામ માત્રએ પ્રતિબંધિત જાહેર કરેલાં આતંકી સંગઠન લશ્કર એ તૈય્યબાના સ્થાપક હાફીઝ સઇદનો જમણો હાથ મનાતા અમીર હમઝા ઉપર અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને પછી નાસી છૂટયા હતા. આ હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા હમઝાને તુર્ત જ અહીંની (લાહોરની) હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરાયો હતો. જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે.
વધુમાં જાણવા મળે છે કે તે એક માર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પૂર્વયોજિત જ હોય તેમ તેની ઉપર હુમલાખોરોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.
આ અમીર હમજા એલઇટીની સ્થાપના સમયે જ જોડાયેલા સૌથી જાણીતા ૧૭ સભ્યો પૈકીનો એક છે તે એલઇટીના સ્થાપક હાફીઝ સઇદનો તદ્દન નિકટવર્તી માનવામાં આવે છે. તે સંગઠન અને પ્રોપોગેન્ડા વિંગ તથા પ્રકાશનોની જવાબદારી સંભાળે છે.
ભારતમાં થયેલા મોટા આતંકીહુમલા સાથે તેનું નામ જોડાયેલું છે. જેવા કે બેંગ્લોર સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં ૨૦૦૫માં થયેલો હુમલો. અમેરિકાએ તેને ૨૦૧૨માં ગ્લોબલ ટેરરિસ્ટ પણ જાહેર કર્યો હતો. તેણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ઘણાં મેગેઝિનોમાં તે લેખો પણ આપે છે. મેગેઝિનોનું સંપાદન પણ કરે છે.
હાફીઝ સઇદના કહેવાથી તેણે એલઇટીનાં અન્ય જુથો સાથે પણ સંબંધ બનાવી રાખ્યો છે તેમને માર્ગદર્શન પણ આપે છે.



