राष्ट्रीय

ગુજરાતમાં હજારો બેરોજગાર યુવાનોને મળશે રોજગારીની તક, ફટાફટ જાણો માહિતી

ગાંધીનગર: રાજ્યમાં નવી સરકાર રચાયા બાદ હવે બેરોજગાર ઉમેદવારોને નોકરી મળવાની આશા જન્મી છે. રાજ્યભરમાંથી ટેટ પાસ (TAT Pass) ઉમેદવારોએ સચિવાલય પહોંચીને શિક્ષણ મંત્રીને ભરતીની રજૂઆત કરી હતી. જેમાં શિક્ષણમંત્રીએ પણ હકારાત્મક વલણ દાખવ્યું હતું. આગામી ટૂંક સમયમાં જીઆરમાં ફેરફાર કરીને ધોરણ 6થી 8માં ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. બીજી બાજુ ગુજરાત રાજ્યનાં પંચાયત વિભાગમાં લાંબા સમય બાદ ભરતીની કવાયત શરુ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે 16,600 જેટલી જગ્યાઓ ખાલી છે તેમાંથી 13000 જગ્યાઓ ભરવા માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે. તો આવનારા સમયમાં ગુજરાતનાં હજારો યુવાન બેરોજગારોને નોકરીની તક મળવાનાં એંધાણ દેખાઇ રહ્યા છે.

ધોરણ 6થી 8માં શિક્ષકોની કરાશે ભરતી

રાજ્યમાં હાલ 50 હજાર જેટલા ટેટ પાસ ઉમેદવારો છે જે ત્રણ વર્ષથી ભરતીની રાહ જોઇ રહ્યા છે. ધોરણ 6થી 8માં સામાજિક વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન તેમજ ભાષાના શિક્ષકોની ભરતી કરવામાં આવવાની છે. જેને કારણે ઉમેદવારોમાં આશાનો સંચાર થયો છે. અગાઉ તત્કાલિન રૂપાણી સરકારમાં પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ ઉમેદવારોને માત્રને માત્ર આશ્વાસનો મળ્યા હતા અને ભરતી કરાઈ નહોતી. ટેટ પાસ ઉમેદવારો દ્વારા અગાઉની સરકારમાં પણ 41 વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ દર વખતે ભરતીનું આશ્વાસન મળતું હતું. ત્યારે નવી સરકાર સાથે ઉમેદવારોમાં નવી આશા જાગી છે.

સરકારનો હકારાત્મક અભિગમ

સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના ભાષાના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવવાની છે. ટેટ પાસ ઉમેદવારોએ ન્યુઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી છે અને હકારાત્મક અભિગમ જોવા મળ્યો છે. અમને નજીકના દિવસોમાં ભરતીની જાહેરાત થશે તેવી આશા બળવત્તર બની છે. કોરોના મહામારી બાદ છેલ્લા બે વર્ષથી પણ ભરતી થઇ શકી નથી અને છેલ્લે 2018માં ભરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ટેટની પરીક્ષા પણ યોજાઇ શકી નથી. શિક્ષકની ભરતી માટે લાયકાત ધરાવતા અનેક ઉમેદવારો હાલ ધોરણ 6થી 8માં ભરતી બહાર પડે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

પંચાયતમાં 13 હજાર જેટલી ભરતી માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ

ગુજરાત રાજ્યનાં પંચાયત વિભાગમાં લાંબા સમય બાદ ભરતીની કવાયત શરુ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે 16,600 જેટલી જગ્યાઓ ખાલી છે. તેમાંથી 13,000 જગ્યાઓ ભરવા માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે. નવેમ્બરમાં રાજયની દસ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે આ ભરતીની જાહેરાત કરી ઓન લાઇન અરજીઓ મંગાવવા સરકાર આગળ વધી રહી છે.

સ્ટાફ ન હોવાથી પંચાયતનાં કામ ખોરંભે પડ્યાની અનેક રજૂઆતો થઇ

સૂત્રોનું માનીએ તો, રાજ્યની 33 જિલ્લા પંચાયતો પાસેથી વર્ગ ૩ની ભરતીની સત્તા રાજ્ય સરકારે લઇ લીધા બાદ હવે પંચાયત પસંદગી મંડળને આ સત્તા સોંપવામાં આવી છે. સ્ટાફ ન હોવાથી પંચાયતનાં વિભાગોમાં કામો ખોરંભે પડી રહયા હોવાની વ્યાપક ફરિયાદો બાદ રાજ્યની નવી સરકારે પંચાયત વિભાગમાં ભરતીને પ્રાથમિકતા આપી અને 100 ક્વિસનાં એકશન પ્લાનમાં પણ તેનો સમાવેશ કર્યો છે. સરકારની લીલીઝંડી બાદ 15 જેટલા સંવર્ગની 13000 કર્મચારીઓની ભરતી માટેની દરખાસ્ત હાલ નાણાં વિભાગને પણ મોકલી દેવામાં આવી હોવાનું પંચાયત વિભાગનાં સૂત્રોએ જણાવ્યુ હતુ.

જુનિયર કલાર્ક, તલાટી, વિસ્તરણ અધિકારી, હિસાબનીશ સહિતની જગ્યાઓ ભરવામાં આવશે. જીપીએસસી દ્રારા કલાસ – 1 અને કલાસ – 2ની ભરતી થાય છે. આ દરમિયાન પંચાયતોમાં વર્ગ – 4માં પટાવાળાની ભરતી તો બંધ જ કરી દેવામાં આવી છે. વર્ષોથી પટાવાળની ભરતી કરવામાં નથી આવી ત્યારે હવે જરુર લાગે તે કચેરીમાં આઉટસોસિંગથી ભરતી કરવા સરકારે
સૂચના આપી છે.

Related Articles

Back to top button