રાજકોટ આગઃ CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા, મૃતકોના પરિવારોને 4 લાખ સહાયની જાહેરાત
રાજકોટઃ શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોનાં મોત થયા છે. આ મામલા પર રાજ્યના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી એ કે રાકેશને જવાબદારી સોંપી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલીમાં આગમાં 5 જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ થવાના કારણે લાગ્યો હતો.