પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા વિવાદ | Dispute Reopens As VMC Resubmits Rs 11 50 Crore Manpower Tender Proposal Favouring DG Nakrani

![]()
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમાં મેનપાવર સપ્લાય માટે રૂ.11.50 કરોડના ઇજારાને લઈને વિવાદ ફરી એક વખત સપાટી પર આવ્યો છે. નવેસરથી ટેન્ડર પ્રક્રિયાનું બહાનું રજૂ કરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત ફરી રજૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. અગાઉ કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે વાંધો ઉઠાવતાં સ્થાયી સમિતિએ દરખાસ્ત મુલતવી રાખી હતી. હવે એ જ દરખાસ્ત ફરી રજૂ થતાં આગામી બેઠકમાં ઉગ્ર ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 139 ગાર્ડન, 102 અર્બન ફોરેસ્ટ, 27 બ્યુટિફિકેશન સ્પોટ અને 31 સ્કલ્પચરની જાળવણી તેમજ નવા વિકાસ કાર્યો માટે જરૂરી માનવબળ ઉપલબ્ધ કરાવવા રૂ.11.50 કરોડની મર્યાદામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ ઇજારદારોના ભાવપત્રકો ક્વોલિફાય થયા હોવાનું જણાવાયું છે. અંદાજિત કિંમત કરતાં 3.85 ટકા વધુ દર ધરાવતું અને અન્ય સ્પર્ધકોની સરખામણીએ સૌથી ઓછું ભાવપત્રક ઇજારદાર ડી.જી.નાકરાણીનું હોવાનું સામે આવ્યું છે. આ દરખાસ્તને મંજૂરી માટે અગાઉ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, પરંતુ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો.
કોંગ્રેસે રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે આગામી ચાર વર્ષ માટે સમગ્ર શહેરની મેનપાવર સપ્લાયની કામગીરી માત્ર એક જ ઇજારદારને સોંપવામાં આવશે તો કર્મચારીઓના શોષણની શક્યતા વધી શકે છે. કર્મચારીઓના હક્કોનું હનન થાય અથવા કામગીરીમાં ખામી રહે તો મહાનગરપાલિકા માટે અસરકારક નિયંત્રણ જાળવવું મુશ્કેલ બની શકે છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે સંબંધિત ઇજારદારને અગાઉ સયાજી હોસ્પિટલમાં સમાન પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી. તે દરમિયાન કર્મચારીઓના પીએફ, ઇએસઆઇ અને યોગ્ય વેતન ચૂકવણી સહિતના મુદ્દાઓને લઈને વિવાદ સર્જાયો હતો તેમજ હોસ્પિટલ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે શહેરના ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં ટ્રી પ્લાન્ટેશન જેવી કામગીરી માટે અલગ-અલગ ટેન્ડરો બહાર પાડી વિવિધ ઇજારદારોની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે મેનપાવર સપ્લાય જેવી મહત્વપૂર્ણ કામગીરી માટે સમગ્ર શહેરનો ઇજારો માત્ર એક જ એજન્સીને કેમ સોંપવામાં આવી રહ્યો છે. કર્મચારીઓના હિતોનું રક્ષણ અને કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઝોનવાર અલગ-અલગ ઇજારદારોને કામગીરી સોંપવાનો વિચાર કરવો જોઈએ તેવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.



