તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ‘બાઘા’ના પિતા અને જાણીતા અભિનેતા અરવિંદ વેકરિયાનું નિધન | Arvind Vekaria Passes Away: TMKOC Fame Tanmay Vekaria’s Father Dies

Arvind Vekaria Passes Away: ગુજરાતી નાટક અને થિયેટર સૃષ્ટિના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ધારાવાહિકમાં ‘બાઘા’ ના લોકપ્રિય પાત્રથી દેશભરમાં જાણીતા બનેલા અભિનેતા તન્મય વેકરિયાના પિતા અને રંગભૂમિના પીઢ કલાકાર અરવિંદ વેકરિયાનું દુઃખદ અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર મનોરંજન ઇન્ડસ્ટ્રી અને તેમના બહોળા ચાહકવર્ગમાં ભારે શોકની લહેર દોડી ગઈ છે.
‘તારક મહેતા…’ માં પણ ભજવ્યો હતો યાદગાર કેમિયો
અરવિંદ વેકરિયાએ દાયકાઓ સુધી પોતાના અદભુત અભિનય અને અનોખી કલા શૈલીથી દર્શકોના દિલ જીત્યા હતા. નાટકો ઉપરાંત તેમણે કેટલીક ટીવી સિરિયલોમાં પણ યાદગાર કામ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, જે ટીવી શોથી તેમના પુત્ર તન્મયને ભારે લોકપ્રિયતા મળી, તે જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં અરવિંદભાઈએ પણ એક ઝવેરી (જ્વેલર) નું પાત્ર ભજવીને શાનદાર કેમિયો રોલ કર્યો હતો.

અભિનયનો વારસો અને લોકપ્રિય નાટકોની સફર
અરવિંદ વેકરિયા મુખ્યત્વે કૌટુંબિક અને હાસ્ય પ્રધાન નાટકોના માસ્ટર ગણાતા હતા. તેમણે માત્ર અભિનય જ નહીં, પરંતુ કેટલાક નાટકોના દિગ્દર્શન (ડાયરેક્શન) માં પણ પોતાની કુશળતા સાબિત કરી હતી. તેમની અભિનય સફરના અગ્રણી અને લોકપ્રિય નાટકો નીચે મુજબ છે:
અજબ કરામત: સિદ્ધાર્થ રાંદેરિયા જેવા દિગ્ગજ કલાકાર સાથેનું આ એક સુપરહિટ કોમેડી નાટક હતું.
ઘર ઘરની વાત: આ કૌટુંબિક નાટકમાં તેમણે અભિનય કરવાની સાથે ડાયરેક્શનની જવાબદારી પણ ખૂબ જ સુંદર રીતે નિભાવી હતી.
રિટર્ન ટિકિટ: પ્રખ્યાત લેખક નિરેન ભટ્ટ દ્વારા લિખિત આ હાસ્ય નાટકમાં પણ તેમનો રોલ ઘણો પ્રશંસનીય રહ્યો હતો.
અન્ય નોંધપાત્ર નાટકો: આ સિવાય ‘બાપા કમાલ દીકરા ધમાલ’, ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ જેવા નાટકોમાં અભિનય તેમજ ‘ચિનગારી’, ‘જીવન ચોપાટ’ અને ‘શિકાર’ જેવા નાટકોનું સફળ દિગ્દર્શન કરીને તેમણે નવી પેઢીના કલાકારો માટે એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડી હતી.
તેઓ પોતાના પુત્ર તન્મય વેકરિયાને અભિનયનો સમૃદ્ધ વારસો આપી ગયા છે. પિતાના નિધનની આ કપરી ક્ષણે તન્મય વેકરિયા અને તેમના સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.



