‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij Bhushan Singh on Ayodhya Ram Mandir Donation Theft BJP Lok Sabha Loss

![]()
Brij Bhushan Sharan Singh Ayodhya: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનની ચોરીને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે. શરૂઆતમાં આ મુદ્દે મૌન ધારણ કરનાર બ્રિજભૂષણે હવે મોટું નિવેદન આપતાં સ્વીકાર્યું છે કે દાન ચોરીના આરોપોમાં સચ્ચાઈ છે, કારણ કે ‘ધૂંધવાયા વગર ધુમાડો નીકળતો નથી’.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જ્યારે અયોધ્યાના રામ ભક્તો જ ચોરીના આરોપ લગાવી રહ્યા હોય ત્યારે સરકારે તેને ગંભીરતાથી લેવું જોઈએ. આ મામલામાં તેમણે ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર બંને પર નિશાન સાધતાં કહ્યું કે, હવે આંગળી માત્ર ટ્રસ્ટ તરફ નહીં, પરંતુ બંને સરકારો તરફ પણ ઊઠી રહી છે. જોકે, તેમણે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાને આ વિવાદમાં સંપૂર્ણપણે નિર્દોષ ગણાવીને ક્લીન ચિટ આપી છે.
રામ મંદિર આંદોલન સાથે મારું લોહી વહેલું છે: પૂર્વ સાંસદ
નવાબગંજ સ્થિત પોતાના નિવાસસ્થાને મીડિયા સાથે વાત કરતાં બ્રિજભૂષણ શરણ સિંહે ભૂતકાળના દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તેમનું વિદ્યાર્થી જીવન અયોધ્યામાં જ વીત્યું છે અને તેઓ રામ મંદિર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા. જ્યારે લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા આવતા ત્યારે બ્રિજભૂષણને તેમની ગાડી ચલાવવાનો મોકો મળતો હતો. કારસેવકો પર જ્યારે ગોળીબાર થયો, તેના બે મહિના પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. એટલું જ નહીં, વિવાદિત માળખું તોડી પાડવાના કેસમાં જે 40 લોકોને આરોપી બનાવાયા હતા, તેમાંથી સૌથી પહેલી ધરપકડ બ્રિજભૂષણની થઈ હતી. તેમણે એ સમયના આંદોલનના મુખ્ય ચહેરા ગણાતા વિનય કટિયારને યાદ કરતાં કહ્યું કે, તેઓ પછાત વર્ગના હોવાને કારણે આંદોલનના તમામ નેતાઓના લાડકા હતા.
આ પણ વાંચો: ‘કોકરોચ’ બાદ CJIની વધુ એક ટિપ્પણી વિવાદોમાં, સુનાવણી દરમિયાન કહ્યું – ‘તમે પરજીવી છો..’
આંદોલનકારી રામ ભક્તોના સવાલો વ્યાજબી, ટૂંક સમયમાં સત્ય સામે આવશે
બ્રિજભૂષણ સિંહે જણાવ્યું કે, રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ ભક્ત સંતોષ દુબે જે સવાલો ઉઠાવી રહ્યા છે તે બિલકુલ સાચા છે. જો આંદોલનના પાયાના લોકો જ આવા સવાલો કરતા હોય, તો સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. રામ મંદિરના દાનમાં ચોરી થઈ હોવાની વાતમાં કંઈક ને કંઈક સચ્ચાઈ જરૂર છે, જેનાથી દેશભરના ભક્તોને મોટો ઝટકો લાગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઝટકો વિનય કટિયાર કે મેં નથી આપ્યો, પણ ટ્રસ્ટના લોકોએ આપ્યો છે. જ્યારે શરૂઆતમાં મેં કહ્યું હતું કે ‘જો હું બોલીશ તો મુશ્કેલીમાં મૂકાઈ જઈશ’, ત્યારે લોકોએ મારી મજાક ઉડાવીને મને ડરપોક કહ્યો હતો. પરંતુ હવે આખો મામલો સરકારના હાથમાં છે અને મને પૂરી આશા છે કે બહુ જલ્દી દેશની જનતા સામે સાચું સત્ય આવી જશે.
અયોધ્યાને જેલખાનું બનાવી દીધું, એટલે જ ભાજપ લોકસભા ચૂંટણી હારી
લોકસભા ચૂંટણીમાં અયોધ્યા અને તેની આસપાસની બેઠકો પર ભાજપની જે હાર થઈ, તેના પર સવાલ ઉઠાવતા બ્રિજભૂષણે પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘જો કોઈ મારી પાસે આવે તો હું વિગતવાર સમજાવી શકું કે ભાજપ અહીં કેમ હારી ગયું. અયોધ્યાને જાણે એક જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું, જ્યાં ચારેય બાજુ બેરિકેડિંગ અને રસ્તાઓ પર મોટી દીવાલો ચણી દેવાઈ હતી. આ સુરક્ષા વ્યવસ્થાને કારણે સંતો-મહંતો સામાન્ય લોકો અને ભક્તોને મળી પણ શકતા ન હતા. ભારે વિરોધ થયો ત્યારે માંડ થોડા બેરિયર હટાવવામાં આવ્યા. અયોધ્યામાં જે કંઈ પણ થયું તે બિલકુલ સારું નથી થયું, અને હવે સરકારે આ આખા મામલાને ગંભીરતાથી લઈને કડક તેમજ નક્કર પગલાં ભરવા જોઈએ.



