ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો | Gujarat ACB Corruption Report: Home and Revenue Departments Top Bribery Cases List

Gujarat Acb Raid’s Exclusive Story : ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB)ના સત્તાવાર વિશ્વસનીય સૂત્રો થકી મળેલા આંકડા અને જાણકારી અનુસાર એક ચિંતાજનક ચિત્ર જોવા મળ્યું છે. સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોના કામો માટે ટેબલ નીચેથી થતી આર્થિક લેવડદેવડ અટકવાનું નામ નથી લેતી. વર્ષ 2025ના વાર્ષિક અહેવાલથી લઈને 15 જૂન 2026 સુધીના તાજા આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવનારો ‘ગૃહ વિભાગ’ અને સામાન્ય જનતા સાથે સીધો સંકળાયેલો ‘મહેસૂલ તેમજ પંચાયત વિભાગ’ ભ્રષ્ટાચારના મામલામાં મોખરે છે. સત્તાનો દુરુપયોગ, અપ્રમાણસર મિલકતો (DA) અને મસમોટી લાંચના છટકાઓ સાબિત કરે છે કે, વહીવટી તંત્રમાં ઉચ્ચ વર્ગ-1ના અધિકારીઓથી લઈને વર્ગ-3ના કર્મચારીઓ સુધી ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા ઉતરી ગયા છે. વર્ષ 2025ના સમગ્ર ગાળા દરમિયાન ગુજરાતમાં કુલ 213 આર્થિક ગુનાઓ નોંધાયા હતા, જેમાં 174 સફળ ટ્રેપ અને 16 અપ્રમાણસર મિલકતોના કેસનો સમાવેશ થાય છે. આ ગુનાઓમાં વર્ગ-1 ના 13 ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 310 આરોપીઓ સામે કાયદાકીય સકંજો કસાયો હતો, અને અંદાજે રૂ. 1.72 કરોડથી વધુની લાંચની રકમ રિકવર થઈ હતી. ચાલુ વર્ષે એટલે કે, 15 જૂન 2026ની સ્થિતિએ પણ માત્ર સાડા પાંચ મહિનામાં જ રાજ્યમાં 83 ગંભીર ભ્રષ્ટાચારના કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 126 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને રૂપિયા 75.71 લાખથી વધુની લાંચ પકડાઈ છે. આ આંકડા દર્શાવે છે કે, એસીબીની સક્રિયતા છતાં સરકારી બાબુઓમાં કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી.
લાંચ કેસની વિભાગવાર અને આંકડાકિય માહિતી

સરકારી વિભાગનું નામ વર્ષ 2025 : કુલ કેસ (લાંચની રકમ રૂપિયામાં) વર્ષ 2026 (15 જૂન સુધી) : કુલ કેસ (લાંચની રકમ રૂપિયામાં)
ગૃહ વિભાગ (પોલીસ) 62 કેસ (રૂ. 66,47,500) 19 કેસ (રૂ. 9,91,000)
મહેસૂલ વિભાગ 32 કેસ (રૂ. 24,63,400) 15 કેસ (રૂ. 9,48,500)
પંચાયત અને ગ્રામ વિકાસ 29 કેસ (રૂ. 23,10,550) 15 કેસ (રૂ. 8,45,870)
શહેરી વિકાસ વિભાગ 12 કેસ (રૂ. 3,95,300) 12 કેસ (રૂ. 6,91,000)
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ 08 કેસ (રૂ. 1,78,500) 03 કેસ (રૂ. 50,000)
કેન્દ્ર સરકાર સંબંધિત (CGST વિ.) 15 કેસ (રૂ. 20,58,650) 06 કેસ (રૂ. 35,02,100)
સરકારી તંત્રને હચમચાવતા ‘મેગા કેસ’
ભ્રષ્ટાચારના આ મહાસાગરમાં સૌથી ચોંકાવનારા એવા બે ‘મેગા કેસ’ સામે આવ્યા છે, જે સરકારી તંત્રની નૈતિકતાના લીરેલીરા ઉડાડે છે.
રૂપિયા 20 લાખની લાંચનો કેસ: વર્ષ 2026નો અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રેપ કેસ રાજકોટ સી.જી.એસ.ટી. (CGST) કચેરીમાં નોંધાયો, જ્યાં વર્ગ-2ના સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમાર બોધ્ધે એક વ્યક્તિ સાથે મળીને જીએસટી નંબર ભરવા તથા ખોટા બિલની અરજી પતાવવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ. 25 લાખની લાંચ માંગી હતી, જે રકઝકના અંતે રૂ. 20 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.
કરોડોની અપ્રમાણસર મિલકત: ઊર્જા વિભાગના વર્ગ-1 ના ઉચ્ચ અધિકારી અશ્વિન ચૌધરી (મુખ્ય વિદ્યુત નિરીક્ષક, ગાંધીનગર) સામે એસીબીએ મોટી કાર્યવાહી કરી. સોલાર પ્રોજેક્ટના સેફ્ટી સર્ટિફિકેટ માટે લાંચ લેતા આ અધિકારીના ગાંધીનગર અને સુરતના નિવાસ સ્થાનેથી સર્ચ દરમિયાન કુલ રૂ. 2,64,97,880ની અપ્રમાણસર રોકડ અને સોના-ચાંદીની લગડીઓ મળી આવી હતી.
પોલીસ-શિક્ષણ વિભાગ પણ ACBની રડારમાં: આ સિવાય વર્ષ 2025ના ઇતિહાસ પર નજર કરીએ તો, શિક્ષણ વિભાગ હેઠળ સર્વ શિક્ષા અભિયાનમાં ડેપ્યુટેશન પર કાર્યરત માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2ના સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર, નિપૂણ ચોક્સી સામે રૂ. 3,08,90,279 (62.43% અપ્રમાણસર મિલકત)નો સૌથી મોટો ડી.એ. કેસ નોંધાયો હતો. તેમજ વર્ષ 2025ના સૌથી મોટા ટ્રેપ કેસમાં સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદી વિરૂદ્ધ કેસ ન કરવા માટે રૂ. 30 લાખની લાંચ લેતા ગુનામાં સંડોવાયેલા જોવા મળ્યા હતા. બીજી તરફ, વન અને પર્યાવરણ, શ્રમ, નાણાં, તેમજ માહિતી પ્રસારણ જેવા વિભાગોમાં કેસોની સંખ્યા મર્યાદિત કે ઝીરો રહી છે.
ભ્રષ્ટાચાર સામે ક્યાં ફરિયાદ કરવી?
નાગરિકોએ એ સમજવાની જરૂર છે કે, ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ માત્ર એસીબીની નથી, પરંતુ સમગ્ર સમાજની છે. વહીવટી તંત્રને સ્વચ્છ અને પારદર્શક બનાવવા માટે જનજાગૃતિ અનિવાર્ય શસ્ત્ર છે. જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી કાયદેસરના કામ માટે લાંચની માંગણી કરે, તો નાગરિકોએ ડર્યા વગર તાત્કાલિક ACB ના ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ. તમારો એક જાગૃત ફોન કોલ ભ્રષ્ટાચારીને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.



