મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુરની હાર પણ મંજૂર નથી, કોલકાતા કોર્ટમાં પહોંચ્યો મામલો | mamata banerjee challenges bhavanipur poll defeat in calcutta high court

![]()
Mamata Banerjee At Calcutta High Court: મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુર વિધાનસભાની પોતાની હારને કોલકાતા હાઈકોર્ટમાં પડકારી છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી આજે(16 જૂન) બપોરે અચાનક કોલકાતા હાઈકોર્ટમાં પહોંચ્યા હતાં અને ભવાનીપુર વિધાનસભાના પરિણામોને પડકાર્યુ હતું. મમતા બેનરજી સાથે સાંસદ ડેરેક ઓ’બ્રાયન, ડોલા સેના અને કલ્યાણ બેનરજી હાજર હતા. અહેવાલો અનુસાર, મમતા અરજીના દસ્તાવેજો પર સહી કરવા માટે કોર્ટમાં પહોંચ્યા હતા.
મમતા બેનરજીએ ભવાનીપુરની હારને કોલકાતા હાઈકોર્ટમાં પડકારી
ભવાનીપુર બેઠક પર મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ બેઠક જીતી હતી, જ્યારે મમતા બેનરજી હારી ગયા હતા. નજીકની સ્પર્ધામાં, શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજીને 15,104 મતોથી હરાવ્યા હતા. શુભેન્દુ અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતાને 58,812 મત મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેલા સીપીએમના શ્રીજીબ વિશ્વાસને 3,556 મત મળ્યા હતા.
મતગણતરીના 16-17મા રાઉન્ડ સુધી મમતા બેનરજી આગળ હતા. જોકે, બંને ઉમેદવારો વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું ગયું. આખરે મતગણતરીના અંતિમ તબક્કામાં શુભેન્દુ અધિકારીએ મજબૂત લીડ મેળવી અને અંતે 15,104 મતોથી ચૂંટણી જીતી લીધી હતી.
4 મે, 2026ના રોજ ભવાનીપુર બેઠક માટે મત ગણતરી દરમિયાન આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વ્યાપક બન્યા હતા અને સુરક્ષા દળોને લઈને હોબાળો જોવા મળ્યો હતો. જેમાં બપોરે ભવાનીપુર મત ગણતરી કેન્દ્ર સખાવત મેમોરિયલ સ્કૂલમાં થોડા સમય માટે ગણતરી અટકાવી દેવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ મોબાઇલ ફોન સાથે પ્રવેશ કર્યો હતો, જેના કારણે પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ પછીથી ફરી શરૂ કરવામાં આવી હતી.
જેમ જેમ હરીફાઈ વધુ તીવ્ર બનતી ગઈ, તેમ તેમ મમતા બેનરજી પોતે ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. સાંજે તણાવ વધુ વધ્યો. મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે, તેમના એજન્ટોને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, સીસીટીવી કેમેરા બંધ કરવામાં આવ્યા હતા અને કેન્દ્રીય દળો દ્વારા ટીએમસી કાર્યકરો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી.
મમતા બેનરજીએ 2021ના પરિણામને પણ પડકાર્યું
2021માં મમતા બેનરજીએ શુભેન્દુ અધિકારી સામે હાર્યા બાદ નંદીગ્રામમાં પોતાની હારને પડકારી હતી. તે કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. હવે તૃણમૂલ નેતાએ ભવાનીપુરમાં પણ પોતાની હારને પડકાર ફેંક્યો છે.



