જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Congress Ghar Wapsi: KC Venugopal And Gehlot Invite TMC And NCP To Merge With Congress

![]()
TMC And NCP To Merge With Congress : પશ્ચિમ બંગાળમાં ભાજપ(BJP)ની જીત બાદ રાષ્ટ્રીય રાજકારણનું દૃશ્ય ઝડપથી બદલાયું છે. મમતા બેનર્જીની પાર્ટીમાં પડેલી ફૂટ અને બગાડને કારણે વિપક્ષનું મનોબળ પણ તૂટ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શરદ પવારની પાર્ટી અને મમતા બેનર્જીની ટીએમસી(TMC)ના કોંગ્રેસમાં વિલયની અટકળો તેજ થઈ ગઈ છે.
TMCમાં ભંગાણ બાદ ‘ઘર વાપસી’ની ચર્ચા
ટીએમસીમાં ભંગાણ પડ્યા પછીથી જ એવી ચર્ચા ચાલી રહી છે કે, શું મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસી થશે? પશ્ચિમ બંગાળમાં મમતાની હાર અને ત્યાર બાદ દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા’ (INDIA) ગઠબંધનની બેઠક બાદ આ ચર્ચા વધુ તેજ બની છે. માત્ર મમતા બેનર્જીની પાર્ટી જ નહીં, પરંતુ શરદ પવારની પાર્ટીને લઈને પણ આવી અટકળો લગાવવામાં આવી રહી છે. કોંગ્રેસમાંથી અલગ થયેલા જૂથોના પાર્ટીમાં વિલય અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) એ પોતાના જૂના સભ્યોને પાર્ટીમાં પાછા લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. AICCના મહાસચિવ (સંગઠન) અને રાહુલ ગાંધીના નજીકના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું છે કે ‘જે કોઈ પણ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ રાખે છે, તે પાછો આવી શકે છે.’
કેસી વેણુગોપાલ બોલ્યા, ‘અમે તેમનું સ્વાગત કરીશું’.
કેસી વેણુગોપાલે જણાવ્યું કે, ‘જે કોઈ પણ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ રાખે છે તે આવી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી. આ પ્રકારના વિલય અને ઘર વાપસીથી ભાજપ-ફાશીવાદી તાકાતો સામેની લડાઈ વધુ મજબૂત બનશે. જે પણ પાર્ટીઓ કોંગ્રેસમાં જોડાવા ઇચ્છે છે, અને કોંગ્રેસની વિચારધારામાં માન ધરાવે છે, તે અમારો સંપર્ક કરી શકે છે. અમે તેમનું સ્વાગત કરીશું.’
કોંગ્રેસમાંથી અલગ થયેલા પક્ષો પર છે ભાર
જો કે, વેણુગોપાલે સ્પષ્ટ કર્યું કે ‘હાલમાં AICC પાસે વિલય અંગેનો કોઈ સત્તાવાર પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.અમે મીડિયા દ્વારા આ બધી અટકળો સાંભળી રહ્યા છીએ.’ આ પૂર્વે પાર્ટીના અન્ય એક મોટા નેતા પણ આવી જ વાત કહી ચૂક્યા છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે થોડા દિવસો પહેલા જ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના સાંસદ સંજય રાઉતના સૂચનને સમર્થન આપ્યું હતું. સંજય રાઉતે કહ્યું હતું કે ‘કોંગ્રેસમાંથી અલગ થયેલા પ્રાદેશિક રાજકીય પક્ષોએ પાછા કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ.’
શું બદલાઈ જશે વોટિંગ પેટર્ન?
અશોક ગેહલોતે વિપક્ષી એકતા પર ભાર મૂકતાં કહ્યું કે, ‘દેશની અંદર લોકશાહી ખતરામાં છે. કોંગ્રેસમાંથી અલગ થયેલી પાર્ટીઓ પાછી આવે અને રાહુલ ગાંધીને પૂરા દિલથી પોતાના નેતા તરીકે સ્વીકારે. આનાથી સમગ્ર દેશમાં વોટિંગ (મતદાન) પેટર્ન બદલાઈ જશે. આજે દેશની જનતા એક સ્પષ્ટ (ક્લિયર-કટ) મુકાબલો જોવા માંગે છે, એક તરફ નરેન્દ્ર મોદી અને બીજી તરફ રાહુલ ગાંધી. જો વિપક્ષ આ મોરચે એક થઈને રાહુલ ગાંધીની પાછળ ઊભો રહી જાય, તો આગામી ચૂંટણીઓનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ શકે છે.’



