રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached on Sunday otherwise final outcome will be different : Trump

![]()
ઇરાન તરફથી કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરાઈ નથી
સમજૂતીના સંકેત છતાં ઇરાનમાં હજી પણ લોકોને વિશ્વાસ નથી કે સમજૂતી થશે, મને નથી લાગતું કે તત્કાળ કોઈ સમજૂતી સધાશે મને તેમની પર વિશ્વાસ નથી : સાદગી
નવી દિલ્હી: ઇરાન સાથેની શાંતિ સમજૂતી હવે અણી ઉપર આવી ગઈ છે. અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રવિવારે (અમેરિકી સમય પ્રમાણે)ને સમજૂતી ઉપર હસ્તાક્ષર થઇ જશે જ્યારે ઇરાને રવિવારના ટાઈમિંગ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આમ છતાં ટ્રમ્પે તેનો દાવો ફરીવાર કરતાં કહ્યું હતું કે રવિવારે જ ડીલ થઇ જવી જોઇએ. થશે પણ ખરી, નહીં તો અંતિમ વિકલ્પ વિચારાશે. તેની નોબત ન આવે તો સારૂં.
સમજૂતી અંગે જુદા જુદા દાવા થઇ રહ્યા છે. આ મામલામાં ટ્રમ્પ તેમજ મધ્યસ્થીની મુખ્ય ભૂમિકા ભજવનારાં પાકિસ્તાનનું કહેવું છે કે આગામી ૨૪ કલાકમાં આ ડીલ થઇ જ જશે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ આ બહુ વિશ્વાસપૂર્વક કહે તો છે પરંતુ તેમના ઉચ્ચ અધકારીઓ કહે છે કે આ ઇલેક્ટ્રોનિક સાઇન પછી બંને પક્ષો વચ્ચે ટેકનિકલ સ્તરની લાંબી વાતચીતનો દોર શરૂ થશે. આ વાતચીત આશરે ૬૦ દિવસ સુધી આવે તેવી સંભાવના છે. તેમાં મુખ્યરૂપે ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા થશે. જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો વિવાદ હંમેશા માટે ઉકેલી શકાય.
બીજી તરફ ઇરાને આ મુદ્દે થોડું સંભાળીને નિવેદન આપ્યું છે. ઇરાનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ કહ્યું ઃ આપણે આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવા માટે સટીક સમય સુધી રાહ જોવી જોઇએ. તે કાલે (રવિવારે) નહીં થાય, પરંતુ હવે પછીના દિવસોમાં તે થઇ શકે. કારણ કે બીજો પક્ષ (અમેરિકા) પોતાનાં નિવેદનોનો પ્રવાહ સતત બદલતો રહે છે. તેથી તે અંગે કોઈપણ ટીકા કરવામાં અમારે સાવધાની રાખવી પડે.
નિરીક્ષકો કહે છે કે અમેરિકા ઇરાન વચ્ચે મંત્રણાની તારીખ અંગે ભલે મતભેદ હોય પરંતુ આગામી થોડા દિવસોમાં સમજૂતી થઇ જશે તે નક્કી લાગે છે.
બીજી તરફ ટ્રમ્પ રવિવારે જ સમજૂતી સાધવા અંગે મક્કમ છે. તે સમજૂતી પછી સ્ટ્રેઇટ્સ ઓફ હોર્મુઝ દરેક માટે ખોલવામાં આવશે તેમ પણ કહ્યું છે.
આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે ૮મી એપ્રિલે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થયા પછી બંને દેશો વચ્ચે સીધુ યુદ્ધ થંભ્યું તો જરૂર છે. તે પછી જ પ્રમુખ ટ્રમ્પે સતત કહી રહ્યા છે કે બંને દેશ સમજૂતીની તદ્દન નજીક છે. જો કે આ પૂર્વે કેટલાયે દોરની મંત્રણા યોજાઈ હતી. જે કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ.
દરમિયાન ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાને ગતવર્ષે ઇઝરાયલે શરૂ કરેલાં આ ૧૨ દિવસનાં યુદ્ધની પહેલી વરસીએ ઇરાનીઓની એકતા અને મજબૂતીની પ્રશંસા કરી હતી. તેમજ સરકારી ન્યૂઝ એજન્સી ઇર્ના દ્વારા અપાયેલા રાષ્ટ્રજોગ સંદેશામાં યુદ્ધ દરમિયાન માર્યા ગયાલેઆોને સૌથી પહેલાં શ્રદ્ધાંજલી આપી હતી.
આ સાથે એક નક્કર વાસ્તવિક્તા પણ બહાર આવી છે કે વૉશિંગ્ટન અને ઇસ્લામાબાદના શાંતિ સમજૂતીની નજીક બંને દેશો પહોંચી ગયા છે. તેવા સંદેશા છતાં ઇરાનમાં લગભગ તમામ ઇરાનીઓ વિશ્વાસ નથી રાખતા કે ટૂંક સમયમાં જ આખરી ડીલ થઇ જશે. તહેરાનમાં લોકો માર્ગો ઉપર પણ તેમ કહેતા સાંભળવા મળ્યા છે કે આ મંત્રણા ફળદાયી રહેવા સંભવ નથી. સમાચાર એજન્સી એ.એફપી ૪૯ વર્ષના સઇદ સાદગીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે તત્કાળ કોઈ ડીલ થશે. મને તેમની (અમેરિકાની) વાતો ઉપર વિશ્વાસ નથી. ટૂંકમાં ઇરાનમાં અવિશ્વાસનું વાતાવરણ પ્રસરી રહ્યું છે.



