Explainer: ‘ચાર્જ ફ્રેમ થયા વિના નોમિનેશન રદ ના કરી શકાય…’ સમજો મીનાક્ષી નટરાજનની રાજ્યસભામાં ઉમેદવારીનો વિવાદ | Meenakshi Natarajan Rajya Sabha Row: Supreme Court Rejects Plea Against Nomination Rejection

![]()
Meenakshi Natarajan Nomination Rejected MP 2026 : ભારતીય લોકશાહીમાં ચૂંટણી એ એક એવો ઉત્સવ છે જ્યાં કાયદો, રાજકારણ અને ન્યાયતંત્રનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. તાજેતરમાં મધ્ય પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. થયું એવું કે, કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નોમિનેશન રદ થતાં મામલો દેશની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આ કેસ માત્ર એક ઉમેદવારની લાયકાત પૂરતો સીમિત નહોતો, પરંતુ તેણે ચૂંટણીમાં ‘સમાન તક’ અને ‘અદાલતોની દખલગીરીની મર્યાદા’ પર પણ વિવાદ છેડી દીધો છે. જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલો અને સુપ્રીમ કોર્ટના કડક વલણે આ મામલાને દેશભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. ચાલો જાણીએ કે સમગ્ર મામલો શું છે.
મામલો શું છે?
કોંગ્રેસના નેતા મીનાક્ષી નટરાજન મધ્ય પ્રદેશથી રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર હતાં. તેમણે નોમિનેશન ફોર્મ ભર્યું હતું, પરંતુ ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસરે તેમનું ફોર્મ નામંજૂર કરી દીધું. ફોર્મ રદ થવાને કારણે તેઓ ચૂંટણી લડી ના શક્યા અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો.
ચૂંટણી અધિકારીએ ફોર્મ કેમ રદ કર્યું?
ચૂંટણી નિયમો મુજબ, દરેક ઉમેદવારે ફોર્મ સાથે એક એફિડેવિટ (સોગંદનામું) આપવું પડે છે, જેમાં પોતાના પર ચાલતા ગુનાહિત કેસોની માહિતી આપવાની હોય છે. તેલંગાણાની એક કોર્ટમાં એક મહિલા (ભૂતપૂર્વ કોંગ્રેસ કાર્યકર) દ્વારા મીનાક્ષી નટરાજન વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરાઈ હતી. એ કેસમાં કોર્ટે મીનાક્ષી નટરાજનને હાજર થવા માટે એક નોટિસ/સમન્સ મોકલ્યું હતું. ચૂંટણી અધિકારીનું કહેવું હતું કે મીનાક્ષી નટરાજને ચૂંટણી ફોર્મમાં આ કેસની માહિતી છુપાવી છે, તેથી તેમનું ફોર્મ અધૂરું ગણીને રદ કરાય છે.
સુપ્રીમ કોર્ટે શું નિર્ણય કર્યો?
ચૂંટણી અધિકારીના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયેલા મીનાક્ષી નટરાજનની અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયા એકવાર શરૂ થઈ જાય એ પછી ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ખૂબ જ મર્યાદિત થઈ જાય છે. જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકર અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાની બેન્ચે જણાવ્યું કે બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટ અથવા કલમ 226 હેઠળ હાઈકોર્ટ આવા મામલામાં સીધી દખલગીરી ન કરી શકે. ચૂંટણી સંબંધિત કોઈપણ વિવાદ કે નોમિનેશન અસ્વીકાર જેવા મુદ્દા માટે કાયદામાં ‘ચૂંટણી અરજી’ (Election Petition) જેવી એક અલગ અને ચોક્કસ કાનૂની વ્યવસ્થા પહેલેથી જ ઉપલબ્ધ છે.
જો કે, આ ચુકાદાને લીધે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ પણ ભારે નિરાશા વ્યક્ત કરી છે.
મીનાક્ષી નટરાજન વતી સુપ્રીમ કોર્ટમાં આક્રમક દલીલો
આ સુનાવણીમાં કોંગ્રેસ તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચૂંટણી અધિકારીની કામગીરીને ‘મનસ્વી’ અને ગેરકાનૂની ગણાવી હતી. તેમણે કોર્ટ સમક્ષ બે મુખ્ય અને તીખા પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પ્રશ્ન 1 (કાનૂની પ્રક્રિયાનો અભાવ): સિંઘવીએ દલીલ કરી કે મીનાક્ષી નટરાજન સામે જે ફરિયાદ હતી તે માત્ર એક ખાનગી ફરિયાદ હતી, જેના પર કોઈ અદાલતે હજુ સુધી સત્તાવાર નોંધ (Cognizance) લીધી નથી. તેમણે BNSS(ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા)ની કલમ 223 નો હવાલો આપીને કહ્યું કે કોઈપણ સંભવિત આરોપીને સુનાવણીની યોગ્ય તક મળવી જોઈએ. માત્ર નોટિસ કે સમન્સ ઇશ્યૂ થવા માત્રથી કોઈનું નોમિનેશન રદ ન કરી શકાય.
પ્રશ્ન 2 (ચૂંટણી નિષ્પક્ષતા અને લોકશાહી): તેમણે બીજો મોટો સવાલ ચૂંટણી ન્યાય પર ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો કોઈ ઉમેદવારને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ચૂંટણી લડતા અટકાવવામાં આવે તો તે લોકશાહીમાં ‘લેવલ પ્લેઇંગ ફિલ્ડ’ એટલે કે બધા માટે સમાન તકના સિદ્ધાંતને કચડી નાખવા બરાબર છે.
કાયદાની કલમો અને પૂર્વ ચુકાદાઓનો ટકરાવ
આ સુનાવણીમાં જસ્ટિસ પ્રશાંત મિશ્રાએ સિંઘવીને સવાલ પૂછ્યો કે, ‘શું એવું કોઈ ઉદાહરણ છે જ્યાં રિટર્નિંગ ઓફિસરે નોમિનેશન રદ કર્યું હોય અને સુપ્રીમ કોર્ટે સીધો હસ્તક્ષેપ કરીને તેને પુનઃસ્થાપિત કર્યું હોય?’
તેના જવાબમાં સિંઘવીએ ભારતના ન્યાયિક ઇતિહાસના બે સૌથી પ્રખ્યાત કેસ, ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રાજ નારાયણ અને એમ.એસ. ગિલ કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણીમાં સમાન તક મળવી એ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે.
સિંઘવીએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 33A નો ઉલ્લેખ કરતા સ્પષ્ટ કર્યું કે આ કલમ માત્ર ખુલાસા માટેની જોગવાઈ છે. કાયદા મુજબ જ્યાં સુધી સક્ષમ અદાલત દ્વારા સત્તાવાર રીતે ‘આરોપ ઘડવામાં’ ન આવે, ત્યાં સુધી માત્ર ફરિયાદના આધારે કોઈ વ્યક્તિને ચૂંટણી લડતા રોકી શકાય નહીં.
આ કેસની ગતિવિધિ એટલી ઝડપી હતી કે 9 જૂને આદેશ જાહેર થયો, 10 જૂને ચૂંટણી પંચ સુધી આ બાબત પહોંચી અને 11 જૂને સુપ્રીમ કોર્ટમાં તેનો ઉલ્લેખ કરાયો. આ દરમિયાન ચૂંટણી પરિણામો પણ જાહેર કરી દેવાયા હતા.
કોંગ્રેસ આ મુદ્દાને જનતા વચ્ચે લઈ જશે?
મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ થતાં મધ્યપ્રદેશની ત્રીજી રાજ્યસભા બેઠક માટેની ચૂંટણી સ્પર્ધામાં ભાજપના ઉમેદવાર મહેશ કેવટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસ માટે આ કાયદાકીય મોરચે બહુ મોટો આંચકો છે. જો કે, કોંગ્રેસ આ વિવાદને માત્ર કોર્ટ રૂમ પૂરતો મર્યાદિત રાખવા માંગતી નથી.
સિંઘવીની દલીલો પરથી સ્પષ્ટ થાય છે કે વિપક્ષ આ મુદ્દાને જનતા વચ્ચે લઈ જઈને એક મોટો રાજકીય મુદ્દો બનાવવા માંગે છે. કોંગ્રેસ હવે આ ઘટનાક્રમને લોકશાહી અધિકારોનું હનન અને ચૂંટણીમાં પક્ષપાત તરીકે રજૂ કરીને જનતાની વચ્ચે રાજકીય ચર્ચા ઊભી કરવાનો પ્રયાસ કરશે.



