તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs include Yusuf Pathan Shatrughan Sinha Saayoni Ghosh

![]()
– બળવો કરનારા તૃણમૂલનાં 19 લોકસભા સાંસદોનાં નામ સામે આવ્યા
– તૃણમૂલ બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધીને 64 થઇ હોવાનો ઋતબ્રત બેનર્જીનો દાવો
– અમારું જૂથ એનડીએમાં કે કોંગ્રેસમાં સામેલ નહીં થાય : ઋતબ્રત બેનજી
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા પછી તૃણમૂલ કોંગ્રેસ વેરવિખેર થઇ ગઇ છે. બળવો કરનારા તૃણમૂલનાં ૧૯ લોકસભા સાંસદોનાં નામ સામે આવ્યા છે. જેમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા અને સયોની ઘોષનું નામ પણ સામેલ છે.
આ યાદીમાં સૌથી ચોંકાવનારું નામ સયોની ઘોષનું છે. તે જે રીતે વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં હતાં તેના પરથી તેમને મમતા બેનર્જીનાં વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યાં હતાં.
સયોની ઘોષ જાધવપુર લોકસભા બેઠકનાં સાંસદ છે. ૨૦૨૧માં તે તૃણમૂલમાં જોડાયા હતાં. ૨૦૨૧માં તે વિધાનસભા ચૂંટણી હારી ગયા હતાં. આમ છતાં અભિષેક બેનર્જીએ તેમને તૃણમૂલ યુથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતાં. બીજી તરફ તૃણમૂલનાં બળવાખોર ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા બનેલા ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો છે કે તેમની સાથે આવનારા ધારાસભ્યોની સંખ્યા વધીને ૬૪ થઇ ગઇ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમનું જૂથ ભાજપ નેતૃત્ત્વવાળા એનડીએમાં કે કોંગ્રેસમાં સામેલ નહીં થાય. હાલમાં ૬૪ ધારાસભ્યો અમારી સાથે છે. આ તમામ ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને પત્ર સોંપશે. તેમણે જણાવ્યું હતું કે તેમનું જૂથ એક અલગ રાજકીય ઓળખ સાથે કામ કરશે અને પશ્ચિમ બંગાળનાં હિતો માટે સંઘર્ષ કરશે.
કોંગ્રેસમાં સામેલ થવાની અટકળોને ફગાવી દેતા ઋતબ્રત બેનર્જીએ જણાવ્યું હતું કે અમારા જૂથનાં ધાારસભ્યો કોંગ્રેસમાં સામેલ થઇ રહ્યાં નથી.
તેમણે જણાવ્યું હતું કે આ સંખ્યા વધુ આગળ વધી શકે છે તેથી અસલી તૃણમૂલ કોંગ્રેસ અમે જ છીએ. અમારો કોંગ્રેસમાં વિલય થવાનો કોઇ ઇરાદો નથી. અમારા ધારાસભ્યોની સંખ્યા વધીને ૬૪ થઇ ગઇ છે અને તેમાં હજુ પણ વધારો થઇ શકે છે.



