તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata Banerjee Trinamool Congress TMC Preparation for merger

![]()
Congress TMC Preparation For Merger: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે ખતમ થવાને આરે છે. માત્ર 60 ધારાસભ્યો જ મમતા બેનરજીથી અલગ નથી થયા, પરંતુ 20થી વધુ સાંસદોએ પણ બળવાનો મૂડ બનાવી દીધો છે. આ ભંગાણથી પરેશાન મમતા બેનરજીને સોનિયા ગાંધીએ વિલયની ઓફર આપી હતી, જેને તેઓ સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. ખાનગી ચેનેલે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે મમતા બેનરજી તો તૃણમૂલનો કોંગ્રેસમાં વિલય કરવા માટે તૈયાર છે, પરંતુ તેમના ભત્રીજા અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેવાળું પદ માંગી લીધું. તેમણે કહ્યું છે કે મમતા બેનરજીને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલે અને ત્યાં વિપક્ષના નેતાનું પદ પણ આપે. અત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાસે છે.
રાજ્યસભાની બેઠક અને નેતા વિપક્ષનું પદ પણ માંગ્યું
TMCના કોંગ્રેસમાં વિલય પર વાત આગળ વધી ગઈ છે. એવું લાગી રહ્યું છે કે સોનિયા ગાંધી તરફથી મળેલી ઓફર પર મમતા બેનરજી રાજી છે, પરંતુ તેમણે અભિષેક બેનરજી દ્વારા રાહુલ ગાંધી સામે કેટલીક શરતો પણ મુકાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સાથે થયેલી મીટિંગમાં આ અંગે વાત કરી છે. તૃણમૂલ નેતાએ કોંગ્રેસ નેતૃત્વ સામે માંગ મૂકી છે કે મમતા બેનરજીને રાજ્યસભામાં મોકલવામાં આવે. એટલું જ નહીં, તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ પણ આપવામાં આવે. જો કે, આ અંગે કોંગ્રેસ તરફથી શું કહેવામાં આવ્યું છે, તે સામે આવ્યું નથી.
સોનિયા ગાંધીએ સામેથી ઓફર આપી હોવાની ચર્ચા
સોનિયા ગાંધીએ પોતે ફોન કરીને મમતા બેનરજીને તૃણમૂલના કોંગ્રેસમાં વિલયની ઓફર કરી હતી. સૂત્રોનું માનીએ તો સોનિયા ગાંધીએ મમતા બેનરજીને કહ્યું કે તેઓ તૃણમૂલનો વિલય કરી દે, તેના બદલામાં તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવશે. આ સિવાય તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજીને પણ પાર્ટી મહાસચિવનું પદ આપવામાં આવશે.
મમતા બેનરજીની મજબૂરી!
કોંગ્રેસ સંસદીય દળના નેતાએ મમતા બેનરજીને પ્રસ્તાવ આપ્યો કે તૃણમૂલ પર ભાજપના રાજકીય હુમલાઓને જોતા તેમણે પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરી લેવો જોઈએ, નહીંતર ભાજપ તેમને પણ આમ આદમી પાર્ટીની જેમ પરેશાન કરશે. સાથે જ, તેમની પાર્ટીના આંતરિક લોકો પણ અભિષેક બેનરજીની વિરુદ્ધ છે, તેથી તેમના માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. સૂત્રોએ પણ જણાવ્યું કે મમતા બેનરજીએ નિર્ણય લેવા માટે થોડા દિવસનો સમય માંગ્યો છે.
રાહુલ ગાંધી અને અભિષેક બેનરજી વચ્ચે દોઢ કલાક સુધી મુલાકાત
તૃણમૂલના કોંગ્રેસમાં વિલયની અટકળોને બળ ત્યારે મળ્યું, જ્યારે તૃણમૂલ પ્રમુખ મમતા બેનરજીએ વીતેલા બે દિવસમાં (8 અને 9 જૂન) બે વાર કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાન 10 જનપથ પર મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉષ્માભર્યા સંબંધો જોવા મળ્યા હતા. મમતા અને સોનિયાએ એકબીજાને ગળે પણ લગાવ્યા હતા. ત્યારબાદ આજે રાહુલ ગાંધી અને અભિષેક બેનરજી વચ્ચે પણ મુલાકાત થઈ. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાહુલ ગાંધી અને અભિષેક બેનરજી વચ્ચે 10 જનપથ પર થયેલી આ મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી.



