राष्ट्रीय

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો | Arvind Kejriwal Akhilesh Yadav & Top Opposition Leaders Support Cockroach Janta Party Protest



Cockroach Janta Party Protest : દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનને ઘણા વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, રોહિત પવાર અને મહુઆ મોઇત્રાએ યુવાઓની માંગણીઓનું સમર્થન કરીને કેન્દ્ર સરકારને તેમની સમસ્યાઓ પર ધ્યાન આપવાની અપીલ કરી છે. નેતાઓએ NEET સહિત વિવિધ પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ પર ચિંતા વ્યક્ત કરી છે, અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. બીજી તરફ, કોંગ્રેસની અંદર આ આંદોલનને લઈને અલગ-અલગ અભિપ્રાયો સામે આવ્યા છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશભરમાં ચર્ચામાં આવેલા ‘કોકરોચ આંદોલન’ને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ આંદોલન દેશના યુવાઓના મનમાં રહેલા ઊંડા ગુસ્સા અને નિરાશાની અભિવ્યક્તિ છે.’

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘કોકરોચ આંદોલનને રાષ્ટ્રવિરોધી ગણાવવાને બદલે કેન્દ્ર સરકારે યુવાઓની સમસ્યાઓ અને માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ. આમ આદમી પાર્ટી યુવાઓની માંગોનું સમર્થન કરે છે, અને તેમની સાથે મજબૂત રીતે ઊભી છે.’ કેજરીવાલે વડાપ્રધાન પાસે શિક્ષણ મંત્રીને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ પણ કરી હતી.

CJPના પ્રદર્શનને વિપક્ષનું મળ્યું સમર્થન

શનિવારે જંતર-મંતર પર આયોજિત કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને ઘણા વિપક્ષી પક્ષોનો સાથ મળ્યો હતો. પરીક્ષા સંબંધી કથિત ગેરરીતિઓ, પેપર લીક અને ભરતી પ્રક્રિયાઓમાં ગડબડી વિરુદ્ધ આયોજિત આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો અને તેમના વાલીઓ સામેલ થયા હતા.

અખિલેશ યાદવનું સમર્થન

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘યુવાઓનો આ અવાજ ‘અહંકારી શાસકો’ સુધી પહોંચવો જોઈએ. પરિવર્તન દરવાજા પર દસ્તક દઈ રહ્યું છે, અને હવે નવયુવાનોએ પણ ક્રાંતિનું રણશિંગું ફૂંકી દીધું છે. સમસ્યાઓના મૂળ સુધી પહોંચીને તેનો ઉકેલ લાવવો પડશે.’

ઉદ્ધવ ઠાકરેએ આપ્યો સાથ

શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, ‘કેન્દ્ર સરકારે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા યુવાઓની વાત સાંભળવી જોઈએ, અને તેમને નબળા ન ગણવા જોઈએ. યુવા દેશનું ભવિષ્ય છે ,અને તે આકરી ગરમીમાં પોતાના અધિકારો માટે પ્રદર્શન કરી રહ્યા છે. NEET પેપર લીક જેવી ઘટનાઓએ લાખો યુવાઓના ભવિષ્યને પ્રભાવિત કર્યું છે.’

રોહિત પવારે શું કહ્યું?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા રોહિત પવારે પણ આંદોલનને સમર્થન આપતા કહ્યું કે, ‘પ્રદર્શનમાં યુવાઓની ભારે ભાગીદારી કેન્દ્ર સરકારની નીતિઓ અને પરીક્ષા વ્યવસ્થાપનને લઈને વધતા અસંતોષને દર્શાવે છે.’ તેમણે NEET અને અન્ય પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ માટે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી.

મહુઆ મોઇત્રાએ આપ્યું સમર્થન

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ પ્રદર્શનનું સમર્થન કર્યું હતું અને આંદોલનને આગળ ધપાવવા હાકલ કરી હતી. જો કે, કોંગ્રેસની અંદર આ આંદોલનને લઈને મતભેદો પણ સામે આવ્યા છે. પાર્ટીના કેટલાક નેતાઓએ તેને દેખાડાનું આંદોલન ગણાવ્યું હતું, જ્યારે કોંગ્રેસનું સત્તાવાર વલણ વિદ્યાર્થીઓના હિતો અને પેપર લીકના મુદ્દા પર પોતાના સંઘર્ષને રેખાંકિત કરવા પર કેન્દ્રિત રહ્યું હતું.

જંતર-મંતર પર થયેલા આ પ્રદર્શને ફરી એકવાર વિપક્ષી એકતા અને તેની અંદર રહેલા મતભેદોને ઉજાગર કર્યા છે. આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (UBT) અને ડાબેરી પક્ષો સહિતના વિપક્ષોએ આંદોલનને ટેકો આપ્યો છે.

જણાવી દઈએ કે, કોકરોચ જનતા પાર્ટી તાજેતરના વર્ષોમાં NEET, CUET, CBSE અને વિવિધ ભરતી પરીક્ષાઓમાં કથિત ગડબડીઓ વિરુદ્ધ ઉભરી આવેલા એક યુવા-નેતૃત્વવાળા ઓનલાઈન અભિયાન તરીકે સામે આવી છે, જે હવે રસ્તા પર ઉતરીને યુવાઓના મુદ્દાઓને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.



Source link

Related Articles

Back to top button