राष्ट्रीय

રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Rajya Sabha Polls: Congress Fears Cross Voting Over Meenakshi Natrajan BJP Hints 3rd Candidate



Rajya Sabha Polls Cross Voting : રાજ્યસભા ચૂંટણી પહેલા મીનાક્ષી નટરાજનને ઉમેદવાર બનાવવામાં આવતા કોંગ્રેસમાં આંતરિક ખટરાગ તેજ થઈ ગયો છે. પૂરતી સંખ્યામાં ધારાસભ્યો હોવા છતાં પણ પાર્ટીને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, પરંતુ અસલી પેંચ ક્રોસ વોટિંગના ડરને કારણે ફસાયેલો દેખાય છે. ભાજપના નેતાઓ દ્વારા ત્રીજા ઉમેદવાર ઉતારવાના સંકેતો અને કોંગ્રેસની અંદર જ પોતાની ઉમેદવાર મીનાક્ષી નટરાજન સામે ઉઠી રહેલા વિરોધના સૂરને કારણે મુખ્ય વિરોધ પક્ષની ચિંતા વધી ગઈ છે. આ જ ગભરાટના લીધે કોંગ્રેસે તાબડતોબ પોતાના ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે.

કઈ બેઠકો પર થઈ રહી છે ચૂંટણી?

મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાની જે 3 બેઠકો ખાલી થઈ રહી છે, તે હાલમાં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન, ભાજપના સાંસદ સુમેર સિંહ સોલંકી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પાસે છે. દિગ્વિજય સિંહ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, તેઓ વધુ એક ટર્મ માટે રસ ધરાવતા નથી. 18 જૂનના રોજ આ બેઠકો માટે મતદાન થવાનું છે.

શું છે વિધાનસભાની નંબર ગેમ?

મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠકો છે. રાજ્યસભાની 1 બેઠક જીતવા માટે ઉમેદવારને પ્રથમ પસંદગીના 58 મતોની જરૂર હોય છે. સત્તાધારી ભાજપ પાસે હાલમાં 164 ધારાસભ્યો છે. પોતાની 2 બેઠકો સુરક્ષિત કરવા માટે પાર્ટીને 116 (58×2) મતોની જરૂર પડશે. આટલા મતો આપ્યા બાદ પણ ભાજપ પાસે 48 મતો બચશે. એટલે કે જો પાર્ટી ત્રીજો ઉમેદવાર ઉતારે છે, તો તેને માત્ર 10 વધારાના મતોની જરૂર પડશે. ભાજપે પોતાના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને પ્રદેશ મંત્રી રજનીશ અગ્રવાલને ઉમેદવાર બનાવ્યા છે.

કોંગ્રેસની સ્થિતિ કેવી છે?

કોંગ્રેસ પાસે આમ તો 64 ધારાસભ્યો છે, પરંતુ વિજયપુરના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાને ચૂંટણી એફિડેવિટના કેસમાં હાઈકોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેમને રાજ્યસભા ચૂંટણીમાં વોટ આપતા રોકી દીધા છે. બીજી તરફ, બીનાના ધારાસભ્ય નિર્મલા સપ્રે લોકસભા ચૂંટણી પહેલા ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા, અને તેમની સામે અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત દતિયાના રાજેન્દ્ર ભારતીને પહેલાથી જ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે હવે માત્ર 62 માન્ય મતો બચ્યા છે. આંકડાની દ્રષ્ટિએ કોંગ્રેસ 1 બેઠક સરળતાથી જીતી શકે છે, પરંતુ પક્ષમાં ચાલી રહેલા આંતરિક અસંતોષના કારણે ક્રોસ વોટિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ સિવાય 1 બેઠક ભારત આદિવાસી પાર્ટી પાસે છે.

મીનાક્ષી નટરાજનના નામ પર કેમ ઉઠ્યા સવાલ?

કોંગ્રેસે પૂર્વ લોકસભા સાંસદ અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા મીનાક્ષી નટરાજનને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ આ નિર્ણયથી પાર્ટીમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. નેતાઓનો તર્ક છે કે 2014 માં મંદસૌર લોકસભા બેઠક હાર્યા બાદથી નટરાજનનો ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ સાથે કોઈ સક્રિય સંપર્ક રહ્યો નથી.

ભોપાલના કોંગ્રેસ નેતા નરેશ જ્ઞાનચંદાનીએ ‘X’ પર લખ્યું કે, પાર્ટીએ ઉમેદવારની પસંદગીમાં મોટી ‘ભૂલ’ કરી છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીને ટેગ કરીને તેમણે લખ્યું કે, રાજ્યમાં ક્રોસ વોટિંગનું જોખમ છે. જો દિગ્વિજય સિંહને જ ફરીથી તક આપવામાં આવી હોત, તો બેઠક સુરક્ષિત રહેતી. તેમણે એવું પણ કહ્યું કે ‘2028ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એવા નેતાને પસંદ કરવા જોઈતા હતા જેમની જમીની સ્તર પર મજબૂત પકડ હોય.’

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રના એક કોંગ્રેસ ધારાસભ્યએ પણ નામ ન આપવાની શરતે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે મીનાક્ષી નટરાજન વરિષ્ઠ નેતા છે, પરંતુ તેમનો રાજ્યના નેતાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જ્યારે ધારાસભ્યોને લાગે છે કે તેઓ કોઈ વરિષ્ઠ નેતાનો સીધો સંપર્ક કરી શકતા નથી, ત્યારે અસંતોષ વધે છે અને ક્રોસ વોટિંગની આશંકા ઉભી થાય છે.’

ભાજપ લીધી મજા, ત્રીજા ઉમેદવારનો આપ્યો સંકેત

કોંગ્રેસની અંદર ચાલી રહેલી આ ખેંચતાણનો ભાજપ પૂરો ફાયદો ઉઠાવી રહ્યો છે. ભાજપના ઉમેદવાર તરુણ ચુઘે કહ્યું કે ‘ત્રીજા ઉમેદવારનો નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે, પરંતુ રાજ્યના નેતાઓએ તેના સ્પષ્ટ સંકેતો આપી દીધા છે. વરિષ્ઠ કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું, ‘જો પાર્ટી ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારશે, તો અમે તેની જીત સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરીશું.’

બીજી તરફ, પ્રદેશ ભાજપ મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે કોંગ્રેસ નેતા જ્ઞાનચંદાનીની પોસ્ટ શેર કરતા આકરો કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, ‘ક્રોસ વોટિંગ હવે માત્ર એક ચિંતા નથી, તેના સ્પષ્ટ સંકેતો દેખાવા લાગ્યા છે. કોંગ્રેસમાં આંતરિક વિરોધ ખુલ્લેઆમ સામે આવી ગયો છે. જ્યારે વિરોધીઓ નહીં પરંતુ પોતાના જ પક્ષના નિર્ણયો પર સવાલ ઉઠાવવા લાગે, ત્યારે હારના સંકેતો આપોઆપ દેખાવા લાગે છે.’

પહેલા પણ તૂટી ચૂકી છે કોંગ્રેસ : કેમ સતાવે છે ક્રોસ વોટિંગનો ડર?

મધ્ય પ્રદેશના રાજકારણને નજીકથી જાણનારા લોકો માટે રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં ‘બગાવત’ કોઈ નવી વાત નથી. રાજ્યમાં રાજ્યસભા ચૂંટણી અને કોંગ્રેસમાં ક્રોસ વોટિંગનો જૂનો અને કડવો ઈતિહાસ રહ્યો છે.

2020 ની એ રાજ્યસભા ચૂંટણી, જ્યારે કોંગ્રેસે સત્તા ગુમાવી

મધ્ય પ્રદેશના ઈતિહાસમાં જ્યારે પણ રાજ્યસભા ચૂંટણી અને કોંગ્રેસના બળવાનો ઉલ્લેખ થાય છે, ત્યારે માર્ચ 2020 નો ઘટનાક્રમ સૌથી ઉપર આવે છે. તે સમયે પણ રાજ્યસભાની ચૂંટણીઓ નજીક હતી અને ક્રોસ વોટિંગનો ભારે ડર હતો, પરંતુ જે થયું તેણે દેશના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો હતો.

રાજ્યસભાની ટિકિટની રેસ અને પાર્ટી નેતૃત્વથી નારાજગીના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 10 માર્ચ 2020 ના રોજ અચાનક પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. સિંધિયાની સાથે તેમના સમર્થક 22 કોંગ્રેસ ધારાસભ્યોએ પણ બગાવત કરી દીધી અને રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

પડી ગઈ હતી કમલનાથ સરકાર

આ ઐતિહાસિક બળવાનું પરિણામ એ આવ્યું કે 15 મહિના જૂની કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પડી ગઈ અને 23 માર્ચ 2020 ના રોજ શિવરાજ સિંહ ચૌહાન ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ જૂન 2020 માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં સિંધિયા ભાજપની ટિકિટ પર રાજ્યસભામાં પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિ ચૂંટણી અને તાજેતરના પક્ષપલટાએ પણ કોંગ્રેસને ઊંડા જખમ આપ્યા છે. કોંગ્રેસ માટે ક્રોસ વોટિંગનો ડર માત્ર 2020 પૂરતો મર્યાદિત નથી. પાર્ટીને પોતાના જ ધારાસભ્યો તરફથી ઘણી વખત આંચકા મળ્યા છે. 2022ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ જોવા મળ્યું હતું, જ્યારે ઘણા ધારાસભ્યોએ પાર્ટી લાઇનથી હટીને એનડીએ (NDA) ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કર્યું હતું.



Source link

Related Articles

Back to top button