કોકરોચ પાર્ટીનું વિરોધ પ્રદર્શન પૂર્ણ, શિક્ષણમંત્રીના રાજીનામાંની માંગ સાથે અભિજીતે કહ્યું- આ તો માત્ર ટ્રેલર હતું! | cockroach janta party protest ends jantar mantar abhijeet dipke trailer

![]()
Cockroach Janta Party Jantar Mantar Protest Ends: શનિવારે સવારથી દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલું ‘કોકરોચ જનતા પાર્ટી’નું પહેલું મોટું ઓન-ગ્રાઉન્ડ પ્રદર્શન હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. પ્રદર્શન પૂરું થયા બાદ આંદોલનકારીઓને શાંતિપૂર્વક ઘરે પરત ફરવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રદર્શન પૂરું થતાં જ આંદોલનના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને સરકારને ચેતવણી આપી છે કે, આ તો બસ એક ટ્રેલર હતું!
આ તો માત્ર ટ્રેલર હતું: અભિજીત દીપકે
સીજેપી સ્થાપક અભિજીત દીપકેએ પ્રદર્શન સમાપ્ત થયા બાદ એક્સ (X) પર લખ્યું કે, માતા-પિતાને મળવા ઘરે જઈ રહ્યો છું, તેમને છેલ્લી વાર મળ્યાને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં તેમને ઘણી તકલીફ પડી છે અને ધમકીઓને કારણે તેમણે ઘર છોડવું પડ્યું હતું. હવે તેમને પાછા ઘરે લઈ જઈશ. આજનો પ્રોટેસ્ટ તો બસ એક ટ્રેલર હતું. આટલી મોટી સંખ્યામાં આવવા માટે આપ સૌનો આભાર!
Going home to see my parents, it’s been more than a year since I last met them. They’ve suffered a lot over the last 15 days and had to leave home because of threats. Will be taking them back to home.
FYI, today’s protest was just a trailer. Thank you for showing up in such…
— Abhijeet Dipke (@abhijeet_dipke) June 6, 2026
શિક્ષણમંત્રીએ રાજીનામું આપવું જોઈએ: અભિજીત
આ આંદોલનની શરૂઆત ખૂબ જ રસપ્રદ અને કટાક્ષભરી રહી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીના વિરોધમાં સોશિયલ મીડિયા પર મજાક તરીકે શરૂ થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. અભિજીત દીપકે જ્યારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમના હાથમાં બાબાસાહેબ આંબેડકરની બાયોગ્રાફીનું પુસ્તક હતું. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરીક્ષાઓના ટેન્શન અને કૌભાંડોના કારણે અત્યાર સુધીમાં 5 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે, જેથી શિક્ષણ મંત્રીએ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.
અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો: અભિજીત
જંતર-મંતર પર એકઠા થયેલા હજારો સમર્થકોને સંબોધિત કરતી વખતે અભિજીત દીપકેએ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળવાને બદલે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, મારા મિત્રો, આ એક લાંબી લડાઈ છે. સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરતાં આપણને એક મહિનો થઈ ગયો છે. પરંતુ આ લોકો એટલા નિર્લજ્જ છે કે પગલાં લેવાને બદલે અમારું ધ્યાન ભટકાવવામાં પડ્યા છે. અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરવામાં આવી રહ્યા છે અને અમારી પોસ્ટ ડિલીટ કરવામાં આવી રહી છે. તમે કદાચ અમારી પોસ્ટ ડિલીટ કરી શકશો, પણ આ જગ્યા પરથી અમને કેવી રીતે ભૂંસી શકશો?
અભિજીત દીપકેએ વધુમાં કહ્યું કે, ધર્મની રાજનીતિ બંધ કરો, હિન્દુ-મુસલમાનની રાજનીતિ બંધ કરો! છેલ્લા 10-12 વર્ષથી આ લોકોએ આપણને હિન્દુ-મુસલમાનની રાજનીતિમાં ફસાવી રાખ્યા, તેનાથી કોને ફાયદો થયો? શું હિન્દુ-મુસલમાન કરવાથી દેશમાં કોઈને પણ નોકરીઓ મળી? ઘણા લોકો કદાચ જેલના ડરથી વેચાઈ ગયા હશે અથવા દબાણમાં આવી ગયા હશે, પરંતુ આ દેશનો વિદ્યાર્થી અને યુવાન હજુ વેચાયો નથી.
સોનમ વાંગચુકનું મળ્યું સમર્થન
આ આંદોલનને દેશના જાણીતા પર્યાવરણવિદ્ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું મોટું સમર્થન મળ્યું છે અને તેઓ પોતે પણ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. સોનમ વાંગચુકે અગાઉ આશંકા વ્યક્ત કરી હતી કે ઍરપૉર્ટ પર જ અભિજીતની ધરપકડ થઈ શકે છે, અને જો એવું થશે તો તેઓ 6 અઠવાડિયા (42 દિવસ) સુધી લાંબા ઉપવાસ પર ઉતરશે.



