PM મોદી નિકોબારમાં 1.5 કરોડ વૃક્ષો કાપી નાંખશે: પર્યાવરણ દિવસ પર રાહુલ ગાંધીએ શેર કર્યો ખાસ વીડિયો | Rahul Gandhi Opposes Great Nicobar Project Over Ecological Damage

![]()
Rahul Gandhi Great Nicobar Project: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો જાહેર કરીને તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે, આ પ્રોજેક્ટના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓના કુદરતી વાતાવરણને ક્યારેય ન સુધારી શકાય તેવું મોટું નુકસાન થઈ શકે છે. તાજેતરમાં જ તેમણે આ પર્યાવરણની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંના સ્થાનિક રહીશો તેમજ પ્રવાસીઓ સાથે સીધી વાતચીત કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, વિકાસના નામે શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટથી સ્થાનિક જંગલો, અજોડ જૈવવિવિધતા અને ત્યાં વર્ષોથી વસતા આદિવાસી સમુદાયોનું અસ્તિત્વ સંપૂર્ણપણે જોખમમાં મૂકાઈ ગયું છે.
161 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા જંગલો અને કરોડો વૃક્ષો જોખમમાં
રાહુલ ગાંધીએ વીડિયોમાં ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, ‘આ પ્રોજેક્ટ માટે 161 ચોરસ કિલોમીટરના રેઇનફોરેસ્ટ(વર્ષા વનો)ને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે, જે નવી દિલ્હીના કદ કરતાં ચાર ગણું મોટું ક્ષેત્રફળ છે. આ વિસ્તારમાં આશરે 1.5 કરોડ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવશે, જેનાથી ત્યાંની કોરલ રીફ્સ નાશ પામશે.’
તેમણે આક્ષેપ કર્યો હતો કે, દેશની જમીન આંચકી લેવા માટે નૌસેના અને સુરક્ષા દળોનો આડશ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટના બહાને હજારો વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપીને, અબજો ડૉલરની કમાણી કરીને ત્યાં હોટેલ્સ, કસિનો અને રિયલ એસ્ટેટનું માળખું ઊભું કરવાની તૈયારી થઈ રહી છે.
રાષ્ટ્રીય સુરક્ષાના દાવા સામે સવાલો અને સ્થાનિકોનો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહનીતિ માટે જરૂરી ગણાવવામાં આવી રહ્યો છે, જેની સામે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે ત્યાં બનનારી હોટેલ્સ અને રિસોર્ટ દેશની સંરક્ષણ તૈયારીઓમાં કેવી રીતે મદદરૂપ થશે? જો સરકાર ખરેખર દેશની સંરક્ષણ ક્ષમતા મજબૂત કરવા ઇચ્છતી હોય, તો છેલ્લા પાંચ વર્ષથી પેન્ડિંગ રહેલા ‘INS બાઝ’ નૌસેના સ્ટેશનના વિસ્તરણને મંજૂરી કેમ આપતી નથી? આ ઉપરાંત, કેરળમાં ઓલરેડી વિઝિન્જામ પોર્ટ બની રહ્યું હોવા છતાં નિકોબારમાં નવું શિપમેન્ટ પોર્ટ બનાવવાની તાર્કિકતા સામે પણ તેમણે પ્રશ્નો કર્યા છે. તેમણે વધુમાં દાવો કર્યો કે સ્થાનિક આદિવાસીઓ અને રહેવાસીઓને સમજાવ્યા વિના તેમની પાસેથી જમીનના અધિકારો છીનવીને એનઓસી (NOC) પર સહીઓ કરાવી લેવામાં આવી છે.
શું છે આ ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’?
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત આ ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ અંદાજે 92,000 કરોડ રૂપિયાનો એક મેગા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આ યોજના હેઠળ ગ્રેટ નિકોબાર ટાપુને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મોટા દરિયાઈ વેપાર, આર્થિક પ્રવૃત્તિઓ અને વ્યૂહાત્મક સંરક્ષણ હબ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જોકે, તેના કારણે ટાપુની અત્યંત નાજુક ઇકોસિસ્ટમ અને વન્યજીવો જોખમમાં મૂકાઈ રહ્યા હોવાથી વિરોધ પક્ષો અને પર્યાવરણવાદીઓ દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.



