राष्ट्रीय

ઋતબ્રતે મમતા પાસેથી ટીએમસી ઝૂંટવી લીધી | Ritabrat snatched TMC from Mamata



– બંગાળમાં ‘શિંદે મોડેલ’ : વિધાનસભાની ચૂંટણી ભૂંડી રીતે હારનારી ટીએમસીમાં મોટો બળવો

– મમતાએ પક્ષમાંથી કાઢી મુકેલા ઋતબ્રત ટીએમસીના 58 ધારાસભ્યોના ટેકા સાથે સ્પીકરને મળીને વિપક્ષના નેતા બન્યા

– 80 બેઠકો ધરાવતી ટીએમસીમાં મમતાના સમર્થનમાં મુઠ્ઠીભર ધારાસભ્યો બચ્યા પણ વિપક્ષના નેતા નહીં બની શકે

– ભંગાણ બાદ ભીસમાં આવેલા મમતાએ તૃણમુલ કોંગ્રેસની તમામ કમિટીઓ વિખેરી નાખી 

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ મમતા બેનરજી અને તેમનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ બન્નેની સ્થિતિ વધુ કપરી બની ગઇ છે. ટીએમસીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ધારાસભ્ય ઋતબ્રત બેનરજીને પક્ષમાંથી કાઢી મુકાયા હતા. જોકે આ નિર્ણય મમતાના રાજકારણ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો, જે ઋતબ્રત બેનરજીને પક્ષમાંથી કાઢી મુકાયા તેને તૃણમુલ કોંગ્રેસના ૫૮ જેટલા ધારાસભ્યોએ ટેકો આપ્યો જેને પગલે હવે ઋતબ્રત બેનરજી ટીએમસીના વડા બની ગયા એટલુ જ નહીં વિપક્ષના નેતાનું પદ પણ તેમને સ્પીકરે આપ્યું છે.  

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષમાંથી ધારાસભ્ય ઋતબ્રત બેનરજીને કાઢી મુક્યા હતા, જેના થોડા જ સમય બાદ તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યો તેમના સમર્થનમાં આવી ગયા હતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ઋતબ્રતને ટેકો જાહેર કર્યો હતો. આ સાથે જ વિધાનસભાના સ્પીકરે ઋતબ્રતને વિપક્ષના નેતા પણ જાહેર કરી દીધા છે. જેને પગલે મમતા બેનરજીને હાર બાદ આ બીજો મોટો ફટકો પડયો છે. એવા પણ અહેવાલો છે કે તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યો ઋતબ્રત બેનરજીને જો વિપક્ષના નેતા બનાવવા માગે છે પરંતુ મમતાનો સાથ છોડવા નથી માગતા અને તેમને પક્ષના અધ્યક્ષ તરીકે જોવા માગે છે.

બીજી તરફ આ નિર્ણય બાદ મમતા બેનરજીએ તૃણમુલ કોંગ્રેસની તમામ કમિટીઓને વિખેરી નાખી છે, હાલ તૃણમુલ કોંગ્રેસની પરિસ્થિતિ ડામાડોળ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચૂંટણી પરિણામો બાદ મમતા બેનરજીએ ઋતબ્રત અને સંદીપન શાહને ટીએમસીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે મમતાનું આ પગલુ તેમને જ નડી ગયું, હવે ઋતબ્રતે મમતાને જ પક્ષમાંથી કાઢી મુક્યા છે અને ટીએમસીને પોતાના હાથમાં લઇ લીધી છે. પરંતુ તેમણે જાહેરમાં મમતાનો વિરોધ કરવાનંુ ટાળ્યું હતું અને કહ્યું હતું કે મમતા બેનરજી જ અમારા નેતા છે, અમે અપીલ કરીએ છીએ કે તેઓ અમને દિશા નિર્દેશ આપતા રહે. 

હું પક્ષને બચાવવા માટે આ પગલા લઇ રહ્યો છું. એક તરફ ઋતબ્રત મમતાને પોતાના નેતા ગણાવી રહ્યા છે જ્યારે બીજી તરફ ૫૮ જેટલા ધારાસભ્યોની સહી સાથે વિધાનસભાના સ્પીકર પાસે પહોંચી ગયા હતા અને વિપક્ષના નેતાનું પદ લઇ લીધુ હતું. વિધાનસભામાં ૮૦ જેટલી બેઠકો ધરાવતા ટીએમસીમાંથી ૬૦ જેટલા ધારાસભ્યો ઋતબ્રતના સમર્થનમાં આવી ગયા હોવાથી હવે મમતા પાસે મુઠ્ઠીભર ધારાસભ્યો જ બચ્યા હોવાના અહેવાલો છે.   

ઋતબ્રતની ડાબેરી પક્ષથી શરૂઆત, ટીએમસીમાં જોડાયા, હવે સુવેન્દુ સાથે મિત્રતા

મમતા પાસેથી ટીએમસીને પોતાના હાથમાં લઇ લેનારા ઋતબ્રત બેનરજી ડાબેરી પક્ષ સીપીઆઇ(એમ)ના સૌથી યુવા ઉભરતા નેતા તરીકે એક સમયે જાણિતા હતા, તેઓ ઘણા વર્ષો સુધી સીપીઆઇ(એમ)માં જ રહ્યા હતા, જોકે એક સ્કેન્ડલને પગલે તેમને સીપીઆઇ(એમ)એ પક્ષમાંથી કાઢી મુક્યા હતા. જેને પગલે જ તેઓ વધુ ચર્ચામાં આવ્યા હતા. 

બાદમાં ૨૦૧૮માં તેઓ મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા અને દાવો કર્યો હતો કે મમતા સાચા ડાબેરી નેતા છે. ઋતબ્રત એક સમયે ડાબેરી નેતા સિતારામ યેચુરીના નજીકના નેતા ગણાતા હતા, ૩૪ વર્ષની વયે જ સીપીઆઇ(એમ)એ તેમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. 

ટીએમસીમાં જોડાયા બાદ ૨૦૨૪માં તેમને પક્ષમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે પસંદ કરાયા હતા. ડાબેરી પક્ષની શરૂઆત બાદમાં ટીએમસીમાં જોડાયા અને ચૂંટણી પછી ભાજપના નેતા અને મુખ્યમંત્રી સુવેંદુ અધિકારી સાથે સંબંધો વધુ ગાઢ બનતા ગયા. અંતે ઋતબ્રતે ટીએમસીને જ ખતમ કરી નાખે તેવુ પગલુ ભર્યું છે.   



Source link

Related Articles

Back to top button