राष्ट्रीय

દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Tragedy 8 Members Of A Single Family From Gurugram Dead



Delhi Hotel Fire Tragedy : દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો દાઝી ગયા છે અથવા ધુમાડાની ચપેટમાં આવવાને કારણે બેભાન થઈ ગયા છે. આ અકસ્માતમાં ગુરુગ્રામથી આવેલા એક જ પરિવારના 8 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. દિલ્હીના માલવીય નગરમાં બુધવારે થયેલા ભીષણ અગ્નિકાંડમાં 21 લોકોના દર્દનાક મોતમાં કેટલાક વિદેશીઓ સહિત કુલ 21 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે આશરે બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માલવીયનગરની ચાર માળની હોટલમાં ગુરુગ્રામના એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે. મેક્સ હોસ્પિટલમાં પોતાના પરિવારના એક સભ્યની સારવાર કરાવવા માટે આવેલા આ લોકો હોટલમાં નાસ્તો કરવા ગયા હતા.

એકજ પરિવારના 8ના મોત

આ અકસ્માત બાદ હોટલમાં રોકાયેલા લોકોના સંબંધીઓ મેક્સ હોસ્પિટલની બહાર એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલમાં કુલ 39 લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 18 લોકોના મોત થઈ ચૂક્યા હતા. દિલ્હીના મહાવીર એન્ક્લેવના રહેવાસી પ્રેમ બંસલ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. બંસલે જણાવ્યું કે, આ ઘટનામાં તેમની દીકરી-જમાઈ અને તેમના પરિવારના 8 લોકોના એકસાથે જીવ ચાલ્યા ગયા છે. પ્રેમ બંસલના જમાઈ વિવેક અગ્રવાલ ગુરુગ્રામના સેક્ટર 46 ના રહેવાસી હતા. વ્યવસાયથી સીએ (CA) વિવેક અગ્રવાલ સેક્ટર-46ના મકાન નંબર 3169માં પરિવાર સાથે રહેતા હતા. આ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર વિવેક અગ્રવાલ તેમની પત્ની તર્જની, માતા પ્રેમલતા, પિતા રાધેશ્યામ અગ્રવાલ, દીકરી જીવિશા અને વારિયા સાથે રહેતા હતા. વિવેકના પિતા રાધેશ્યામની તબિયત ખરાબ હોવાને કારણે તેમને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બુધવારે વિવેકના માસા-માસી પિતાને મળવા માટે દિલ્હી આવ્યા હતા. ત્યારબાદ વિવેક સવારે સાડા આઠ વાગ્યે બધાને લઈને રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ગયા હતા, જ્યાં કાળનો પંજો તેમના પર ફરી વળ્યો અને બધા મોતના મુખમાં ધકેલાઈ ગયા. સેક્ટર-46ના RWA પ્રમુખ રાજકુમાર યાદવે જણાવ્યું કે, વિવેક અગ્રવાલ વ્યવસાયે સીએ હતા અને ઘણા વર્ષોથી સેક્ટર-46 માં રહેતા હતા. તેમણે મકાનનો પહેલો અને બીજો માળ ભાડે આપેલો હતો.

વિવેકની સાથે પત્ની, દીકરીઓ, માતા, માસી… બધા જ બળી ગયા

વિવેક અગ્રવાલની સાથે તેમની પત્ની તર્જની, દીકરી જીવિશા અને વારિયા, માતા પ્રેમલતા, માસા અશોક ગોયલ, માસી કમલા અને પરિવારના અન્ય સભ્ય ઝિમરી અગ્રવાલનું મોત થયું છે. માત્ર વિવેકના બીમાર પિતા જ બચી ગયા છે, જેઓ હોસ્પિટલમાં દાખલ હતા. હવે તેમની સંભાળ રાખવા માટે પણ પરિવારમાં કોઈ બચ્યું નથી.

લોકો ચીસો પાડતા રહ્યા- બચવા માટે બારીઓમાંથી કૂદ્યા

‘ફ્લોરિશ સ્ટે બી એન્ડ બી’ હોટલમાં લાગેલી ભીષણ આગમાંથી લોકોને બચાવવા માટે આસપાસના લોકોએ ખૂબ પ્રયાસો કર્યા. તેમણે ઇમારતની બારીઓના કાચ તોડી નાંખ્યા, અને રસ્તા પર ગાદલા પાથરી દીધા. સ્થાનિક રહેવાસી અનીતા ચૌધરીએ જણાવ્યું કે, ‘હોટલમાં થયેલા કેટલાય વિસ્ફોટોના અવાજથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. મેં બોમ્બ બ્લાસ્ટ જેવા અવાજો સાંભળ્યા અને પછી ઇમારતની અંદરથી ચીસો સંભળાવવા લાગી. લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, અને કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી નીચે કૂદી રહ્યા હતા. ચારેય બાજુ અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે ઇમારત તરફ દોડી ગયા હતા.’



Source link

Related Articles

Back to top button