કેદારનાથમાં શ્રદ્ધાળુઓની પ્રચંડ ભીડ અને વાઇરલ વીડિયો બાદ ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા | after viral videos bjp government announces new rules for chardham yatra

![]()
New Rules For Chardham Yatra: છેલ્લા દિવસોમાં કેદારનાથ દર્શનને લઈને લોકોની ભારે ભીડ અને રડતા-કકળતા શ્રદ્ધાળુઓની આપવીતી દર્શાવતા વીડિયો વાઇરલ થયો હતો. આ ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મોટું એલાન કર્યું છે. મુખ્યમંત્રી ધામી એ કહ્યું કે, ચારધામ યાત્રા દરમિયાન ધામોની ધારણ ક્ષમતા પ્રમાણે દર્શનને લઈને વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેમણે ચારધામ યાત્રાને લઈને અધિકારીઓને અનેક નિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે, શ્રદ્ધાળુઓની સુવિધા માટે ધામોમાં દર્શન માટે એક વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરો. કોઈપણ ધામ અથવા પડાવ માટે નક્કી કરેલી ક્ષમતા કરતાં વધુ લોકો આવી જાય તેવા સંજોગોમાં નીચે આવેલા હોલ્ડિંગ એરિયા-પ્રમુખ ચેક પોઇન્ટ્સ પર વાહનો અને શ્રદ્ધાળુઓની અવરજવરને નિયંત્રિત કરવામાં આવે. ભીડના વ્યવસ્થાપન (ક્રાઉડ મેનેજમેન્ટ) માટે તબક્કાવાર વ્યવસ્થા અપનાવીને જ યાત્રિકોને આગળ મોકલવામાં આવે, જેથી ધામોમાં અવ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય.
ભીડ નિયંત્રણ પર શું પ્લાન?
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભીડ નિયંત્રણ હેઠળ જો શ્રદ્ધાળુઓને અધવચ્ચે રોકવામાં આવે, તો તેમને તે માટેનું કારણ, સંભવિત પ્રતીક્ષા સમય (વેઇટિંગ ટાઇમ) અને આગળની વ્યવસ્થા અંગેની માહિતી નિયમિતપણે આપતા રહેવું. યાત્રીઓને કોઈપણ પરિસ્થિતિમાં માહિતીના અભાવનો સામનો ન કરવો પડે તે ધ્યાન રાખવું. આ માટે જાહેર સૂચના પ્રણાલી, એલઇડી ડિસ્પ્લે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને એફએમ રેડિયોના માધ્યમથી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે. હવામાનમાં પલટો, રસ્તો બંધ થવો, ટ્રાફિક જામ અથવા દર્શનમાં વિલંબ જેવી સ્થિતિઓ વિશે મુસાફરોને સમયસર જાણ કરવામાં આવે, જેથી તેમનામાં કોઈ ભ્રમ કે અસંતોષ ઊભો ન થાય. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે, જે સ્થળો પર શ્રદ્ધાળુઓને રોકવામાં કે ઠેરવવામાં આવી રહ્યા છે, ત્યાં પાર્કિંગ, ભોજન, પીવાનું પાણી અને શૌચાલય સહિતની તમામ જરૂરી સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.
રાત્રે 10:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી યાત્રી વાહનો પર રોક
ચારધામ યાત્રાના રૂટ પર રાત્રે 10:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી યાત્રી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે અધિકારીઓને આ વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ તેમણે એવા પણ નિર્દેશ આપ્યા છે કે, ટ્રક અને અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ભારે વાહનોને માત્ર રાત્રિના સમયે જ પરિવહન કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે ચારધામ યાત્રા હવે બીજા અને વધુ પડકારજનક તબક્કામાં પ્રવેશ કરી રહી છે, જ્યાં પ્રતિકૂળ હવામાન સૌથી મોટો પડકાર રહેશે. આથી, સંવેદનશીલ સ્થળો પર જેસીબી, પોકલેન્ડ અને સેટેલાઇટ ફોનની સાથે એમ્બ્યુલન્સ તેમજ રાહત અને બચાવ કામગીરી માટેના જરૂરી સાધનોની વ્યવસ્થા કરાવવામાં આવે. મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને ફિલ્ડ પર હાજર રહીને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા અને શ્રદ્ધાળુઓને તમામ મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
દિવસે માલવાહક વાહનો પર પ્રતિબંધ
ચારધામ યાત્રાના રૂટ પર દિવસ દરમિયાન મધ્યમ અને ભારે માલવાહક વાહનોના પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તીર્થયાત્રીઓને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશ બાદ, ચારધામ યાત્રાના નોડલ ઑફિસર સંદીપ સૈની દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.
હેલી એમ્બ્યુલન્સ માટે નોડલ ઑફિસર
મુખ્યમંત્રીએ ગંભીર દર્દીઓને ઝડપી સારવાર આપવા માટે હેલી એમ્બ્યુલન્સ માટે રાજ્ય સ્તરે નોડલ ઑફિસર નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા છે. જરૂર પડે ત્યારે જિલ્લા કલેક્ટર (DM) પરસ્પર સંકલન સાધીને દર્દીઓને મદદ પૂરી પાડી શકશે. આ સાથે જ તેમણે કેદારનાથના પગપાળા માર્ગ પર પૂરતી સંખ્યામાં શેડ તથા વરસાદ અને તડકાથી બચાવની યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. આ બેઠકમાં મંત્રી સતપાલ મહારાજ, ભરત સિંહ ચૌધરી, ધારાસભ્ય અનિલ નૌટિયાલ, આપત્તિ વ્યવસ્થાપન સલાહકાર સમિતિના ઉપાધ્યક્ષ વિનય રોહિલા અને મુખ્ય સચિવ આનંદ બર્ધન સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
હોટેલ-રેસ્ટોરન્ટ અને ઢાબામાં રેટ લિસ્ટ અનિવાર્ય
મુખ્યમંત્રીએ ચારધામ યાત્રાના રૂટ પર ચાલતા તમામ હોટેલ-રેસ્ટોરન્ટ અને ઢાબામાં રેટ લિસ્ટ ફરજિયાતપણે પ્રદર્શિત કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ તેમણે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે સેમ્પલિંગ કરવા પણ જણાવ્યું છે. ગઢવાલ કમિશનર અને આઇજી ગઢવાલને આ વ્યવસ્થાઓની નિયમિત સમીક્ષા કરવા તેમજ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિવારણ લાવવા માટે નિર્દેશ આપ્યા છે. આ સાથે જ આ યાત્રા સાથે જોડાયેલા તમામ જિલ્લાના જિલ્લા અધિકારીઓ અને પોલીસ વડાઓ(SP)ને યાત્રા વ્યવસ્થાપન પર સતત નજર રાખવા અને તેનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.



