કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate political parties in Kashmir

![]()
– આતંકીઓને રાજનેતા બતાવી બચાવવાનું કાવતરું
– તપાસમાં સામે આવ્યું છે કે જે રાજકીય પક્ષો સાથે આ આતંકવાદ સમર્થકો જોડાયેલા છે તે સ્થાનિક નહીં પણ રાષ્ટ્રીય કક્ષાના છે.
– શ્રીનગર પોલીસે ઝડપી પાડેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સમાંથી કેટલાક રાષ્ટ્રીય પક્ષો સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ
શ્રીનગર: પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇએ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને બચાવવા માટે નવી રણનીતિ અપનાવી છે. આઇએસઆઇએ પોતાના આતંકવાદીઓ, ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને કહ્યું છે કે તેઓ ભારતીય સૈન્ય અને સુરક્ષા એજન્સીઓથી બચવા માટે ભારતની રાષ્ટ્રીય કક્ષાની રાજકીય પાર્ટીઓમાં જોડાવા લાગે. તાજેતરમાં આતંકીઓને મદદ કરનારા આવા કેટલાક આરોપીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો છે.
સુરક્ષા એજન્સીઓ તપાસ કરે તો પક્ષોના ઓળખ કાર્ડ બતાવી દેવાના, ભવિષ્યમાં આંદોલન પણ કરવાનું તેવા આદેશ મળ્યા
શ્રીનગર પોલીસ દ્વારા કેટલાક ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં સામે આવ્યું કે ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા, આઇએસઆઇની આ નવી સ્ટ્રેટેજી હોવાનુંતપાસમાં સામે આવ્યું છે. આઇએસઆઇ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને એજન્સીઓની કાર્યવાહીથી બચાવવા માટે રાજકીય પક્ષોમાં ઘૂસાડી રહી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આઇએસઆઇની યોજના માત્ર ઘુસણખોરી પુરતી સિમિત નથી, ૯૦ના દસકામાં જે આતંકી સંગઠનો સક્રિય હતા અને બાદમાં નિષ્ક્રિય થઇ ગયા તેને ફરી તૈયાર કરવાની તૈયારી પણ આઇએસઆઇ કરી રહ્યું છે. પાકિસ્તાન આતંકીઓને રાજકારણી બનાવવા પ્રયાસ કરી રહ્યું બાદમાં જેમનો ઉપયોગ જમ્મુ કાશ્મીરમાં એક આંદોલન ઉભુ કરવા માટે કરી શકાય. પાકિસ્તાન પર હાલ આંતરરાષ્ટ્રીય એજન્સી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ પણ નજર રાખી રહી છે. એવા અહેવાલો છે કે આતંકવાદીઓ સક્રિય ભૂમિકામાં નથી અને સ્થાનિકો દ્વારા પણ તેમને કોઇ ખાસ સમર્થન નથી મળી રહ્યું જેને કારણે હવે ગમે તેમ કરીને આ આતંકીઓને સક્રિય કરવા માટે આઇએસઆઇ હવાતિયા મારી રહી છે. જેના માટે હવે રાજકારણનો સહારો લેવામાં આવી શકે છે. જો કોઇ સુરક્ષા દળ તપાસ કરે તો તેને રાજકીય પક્ષનું ઓળખકાર્ડ બતાવીને છટકી જવાનો આઇએસઆઇએ આદેશ કર્યો છે.
– આતંકીઓને સરહદે મોબાઇલ નેટવર્ક પહોંચાડવા પાક.નો પ્રયાસ
શ્રીનગર: પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને જમ્મુ કાશ્મીર આસપાસ આતંકવાદીઓને વાતચીતમાં મદદરૂપ થવા માટે મોબાઇલ નેટવર્ક પુરુ પાડવા પ્રયાસ કરી રહ્યું છે.
એટલુ જ નહીં સરહદ આસપાસ અનેક ટાવર પણ ઉભા કરાયા હોવાના અહેવાલો છે. ખાસ કરીને કઠુઆ, રાજોરી, પૂંચ વગેરે વિસ્તારોમાં સરહદે સિગ્નલ્સ ટ્રેસ કરવામાં આવ્યા હતા. એટલુ જ નહીં આ સિગ્નલ્સ કોટ બલાવલ જેલ સુધી પહોંચાડવા પાક. પ્રયાસ કરી રહ્યું છે. જેને જામ કરવા માટે જેલ પ્રશાસન દ્વારા વિશાળ રેન્જવાળા જેમર પણ લગાવાયા છે. જોકે તેમ છતા કેટલાક જેમર આ સિગ્નલ રોકવામાં અસક્ષમ સાબિત થઇ રહ્યા હોવાના અહેવાલો છે.



