‘સ્વેચ્છાએ જતાં રહો, કોઈ કાર્યવાહી નહીં થાય’, ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત | amit shah deport infiltrators demographic change committee

![]()
Voluntary Return of Infiltrators: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોરો સામે અત્યાર સુધીનું સૌથી આકરૂ વલણ અપનાવ્યું છે. ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરાત કરી કે, કેન્દ્ર સરકારે વસ્તી વિષયક ફેરફારો (ડેમોગ્રાફિક ચેન્જ) પર નજર રાખવા માટે એક હાઈ-લેવલ કમિટી ઓન ડેમોગ્રાફિક ચેન્જની રચના કરી છે. સરકાર દેશના ખૂણે-ખૂણેથી એક-એક ઘૂસણખોરને ઓળખીને તેમને ડિપોર્ટ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
જાતે જ જતા રહો, કોઈ કાનૂની પગલાં નહીં લેવાય
ગૃહમંત્રીએ ઘૂસણખોરોને દેશ છોડી દેવા માટે છેલ્લી તક આપતા એક મોટી રાહતની પણ જાહેરાત કરી છે. જે ઘૂસણખોરો કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાની મેળે જ દેશ છોડીને પરત ચાલ્યા જશે, તેમની સામે સરકાર કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરે. સરકારે આશા વ્યક્ત કરી છે કે, સત્તાવાર રીતે ઓળખ અભિયાન શરૂ થાય તે પહેલાં જ ગેરકાયદેસર વસાહતીઓ પોતપોતાના દેશમાં પરત ફરી જાય. સરહદ પર ફેન્સિંગ અને ઘૂસણખોરી વિરોધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાતા જ ઘૂસણખોરો ભાગવા લાગ્યા!
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં થયેલા રાજકીય પરિવર્તનનો ઉલ્લેખ કરીને પૂર્વ મુખ્યમંત્રીના શાસન પર પ્રહારો કર્યા હતા. અગાઉની સરકારના સમયમાં બંગાળમાં રોજ બરોજ ઘૂસણખોરી થતી હતી. પરંતુ જ્યારથી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, ત્યારથી ઘૂસણખોરો આપોઆપ પોતાના દેશમાં પરત ફરવા લાગ્યા છે. નવી સરકારે ત્યાં ડિટેન્શન સેન્ટર્સ પણ ઉભા કરી દીધા છે.
7 દિવસમાં જામીન મંજૂર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સરકાર બન્યાના માત્ર 7 દિવસની અંદર સરહદ પર વાડ લગાવવા માટે BSFને 600 હેક્ટર જમીન સોંપી દીધી હતી. દેશની સુરક્ષા માટે અતિ મહત્વપૂર્ણ ગણાતા ચિકન્સ નેક કોરિડોર માટે પણ 121 હેક્ટર જમીન તાત્કાલિક કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવી છે.


