राष्ट्रीय

ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે : મદ્રાસ હાઇકોર્ટ | Corruption in judiciary too judges are corrupt: Madras High Court



– જજોને પવિત્ર ગાય જેવા માનવાની કોઇ જરૂર નથી

– મદ્રાસ હાઇકોર્ટે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરતી એક તમિલ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી ભ્રષ્ટ જજોનો ઉઘડો લીધો

– એક કલાકાર કોઇ સ્થિતિને પોતાની રીતે વ્યક્ત કરવાનો હકદાર, તમામને અભિવ્યક્તિનો બંધારણીય અધિકાર ઃ હાઇકોર્ટ

– આર. કે. નારાયણની માલગુડી ડેમાં માલગુડી એક કાલ્પનિક ગામ તેવી જ રીતે આ ફિલ્મમાં કોર્ટ પણ માત્ર એક કલ્પના છે 

– ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે તે વાતને કોઇ નકારી ના શકે, અમારી સામે જ ઘણા ઉદાહરણો આવી ચૂક્યા છે

ચેન્નઇ: ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર છે, જજો ભ્રષ્ટાચારી હતા અને હાલ પણ છે તેમ ખુદ મદ્રાસ હાઇકોર્ટે કહ્યું છે. ટ્રાયલ કોર્ટોમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતી એક ફિલ્મ કરુપ્પુ પર પ્રતિબંધ મુકવાની માગ કરતી એક અરજીની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઇકોર્ટે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગે આ ટિપ્પણી કરી હતી. એટલુ જ નહીં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરતી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની પણ હાઇકોર્ટે ના પાડી દીધી હતી. 

મદ્રાસ હાઇકોર્ટમાં આર એસ તમિલવેંદ્રમ નામના વકીલ દ્વારા એક અરજી કરાઇ હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે ફિલ્મ કરુપ્પુમાં ન્યાયતંત્રને ભ્રષ્ટ દેખાડવા પ્રયાસ થયો છે, ફિલ્મના એક દ્રશ્યમાં જજને ભ્રષ્ટાચારમાં સામેલ અને ડ્રગ્સ લેતા દેખાડવામાં આવ્યા છે. આ પ્રકારના દ્રશ્યો બંધારણની વિરૂદ્ધમાં છે અને જજોની છાપ ખરાબ કરી શકે છે. ન્યાયતંત્રને અતિશયોક્તિ સાથે દેખાડવામાં આવ્યું હોવાની વાત હાઇકોર્ટે સ્વીકારી હતી, સાથે કહ્યું હતું કે તમિલ ફિલ્મોમાં બધુ અતિનાયકીય રીતે દર્શાવવું સામાન્ય વાત છે. એક કલાકાર કોઇ સ્થિતિને પોતાની રીતે દર્શાવવાનો હકદાર છે. બંધારણની કલમ ૧૯(૧) નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પોતાનો અભિપ્રાય શબ્દો, લખાણ, પ્રિન્ટિંગ, ફોટો કે અન્ય કોઇ પણ રીતે અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. 

હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે ફિલ્મ કળાનું જ એક ક્રિએશન છે, કાયદામાં જેના પર પ્રતિબંધ નથી તેને પોતાની રીતે અભિવ્યક્ત કરવાની એક કલાકારને સ્વતંત્રતા છે, જે ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ કરાઇ છે તેને સીબીએફસીએ મંજૂરી આપી દીધી છે. એક કાલ્પનિક કોર્ટના વકીલો અને જજોને ભ્રષ્ટાચારી દર્શાવવામાં આવ્યા છે નહીં કે સમગ્ર ન્યાયતંત્રને. હાઇકોર્ટના ન્યાયાધીશ બીઆર સ્વામીનાથન અને વી. લક્ષ્મીનારાયણનની બેંચે વધુમાં અરજદારને કહ્યું હતું કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે તે વાતને કોઇ નકારી ના શકે, જજો ભ્રષ્ટાચારી હતા અને છે, જજોને પવિત્ર માનવાની કે તેમની સાથે પવિત્ર ગાય જેવું વર્તન કરવાની કોઇ જ જરૂર નથી, કોર્ટ અને જજોને આમ નાગરિકોની ટિકાથી ઉપર ના માની શકાય. આર. કે. નારાયણના માલગુડી ડેમાં માલગુડી એક કાલ્પનિક ગામ દર્શાવવામાં આવ્યું છે તેવી જ રીતે આ ફિલ્મમાં પણ એક કાલ્પનિક કોર્ટ જ દર્શાવવામાં આવી છે જેમાં વકીલ, જજ બધુ જ કાલ્પનિક છે. જેને કારણે કોર્ટની અવમાનનાનો કેસ પણ નથી બનતો. અંતે હાઇકોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની કે કોઇ પણ પ્રકારના આદેશ આપવાની ના પાડી દીધી હતી અને અરજીને ફગાવી હતી.  



Source link

Related Articles

Back to top button