‘પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Supreme Court Verdict In Laws Not Criminally Liable for Being Mute Spectators in Dowry Cases

![]()
Supreme Court landmark judgment dowry: સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, જો પતિ-પત્નીના ઝઘડામાં સાસરી પક્ષના લોકો માત્ર મૂક પ્રેક્ષક બનીને રહે અથવા વહુની મદદ માટે આગળ ન આવે, તો માત્ર આટલા જ આધાર પર તેમની સામે ક્રૂરતા કે દહેજ ઉત્પીડનનો ગુનો નોંધી શકાય નહીં. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કે. સિંહની બેન્ચે જણાવ્યું કે, કટોકટીના સમયે સાસરિયાઓનું આવું વર્તન નૈતિક રીતે કદાચ ખોટું હોઈ શકે, પરંતુ તેને સીધી ગુનાહિત જવાબદારી ગણી શકાય નહીં.
સક્રિય ભૂમિકા વગર આખો પરિવાર દોષિત નહીં: કોર્ટની ટકોર
કોર્ટે અવલોકન કર્યું કે, માત્ર સામાન્ય અને કોઈ પણ નક્કર પુરાવા વિનાના આરોપોના આધારે પતિના આખા પરિવાર વિરુદ્ધ ગુનાહિત કાયદો લાગુ કરી શકાય નહીં. કાયદાકીય કાર્યવાહી કરવા માટે એ જરૂરી છે કે જે-તે વ્યક્તિ સામે ક્રૂરતા, શારીરિક-માનસિક ઉત્પીડન અથવા દહેજ માંગવામાં સીધી અને સક્રિય ભૂમિકા હોવાના સ્પષ્ટ આક્ષેપો હોય. જો પરિવારના સભ્યો પર માત્ર એવો આરોપ હોય કે તેમણે પતિનો સાથ આપ્યો, વિવાદમાં દખલ ન કરી અથવા મહિલાને સમજૂતી કરવાની સલાહ આપી, તો તેનાથી કોઈ ફોજદારી કેસ બનતો નથી.
મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના કેસમાં સાસરિયાં સામેની કાર્યવાહી રદ
આ મહત્ત્વની ટિપ્પણી મધ્ય પ્રદેશના ગુના શહેરની એક મહિલાના કેસની સુનાવણી દરમિયાન આવી હતી. આ મામલામાં મહિલાએ પોતાના પતિની સાથે સાસરિયાના અન્ય સભ્યો પર પણ દહેજ માટે પ્રતાડિત કરવાનો કેસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સાસરી પક્ષના લોકો સામે ચાલી રહેલી તમામ ગુનાહિત કાનૂની કાર્યવાહીને રદ કરી દીધી હતી, કારણ કે સમગ્ર કેસમાં તેમની સામે કોઈ ચોક્કસ કે સીધો આરોપ સાબિત થતો નહોતો.
લાગણીશીલ વિવાદોમાં કોર્ટને સાવચેતી રાખવા સલાહ
સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે, જ્યારે કોઈ લગ્નજીવન નિષ્ફળ જાય ત્યારે મહિલાને થતી પીડા અને દુઃખની અવગણના ન કરી શકાય. પરંતુ આવી સ્થિતિમાં અદાલતોએ સાસરી પક્ષ પર લગાવાયેલા આરોપોની ખૂબ જ ઝીણવટપૂર્વક અને સાવધાનીથી તપાસ કરવી જોઈએ. ઘણીવાર વૈવાહિક વિવાદોમાં ગુસ્સો અને તણાવ એટલો વધારે હોય છે કે પત્ની આક્રોશમાં આવીને પતિની સાથે સાસરીના આખા પરિવારને આરોપી બનાવી દે છે, ભલે પછી ઝઘડામાં તેમનો કોઈ સીધો રોલ કે વાંક ન હોય. તેથી, પૂરતા પુરાવા કે સ્પષ્ટ આક્ષેપો વગર સાસરી પક્ષના કોઈ પણ સંબંધી સામે કાનૂની કાર્યવાહી ન થવી જોઈએ.



