ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | Fake PM Mudra Loan Scheme Alert Government Clarifies PIB Fact Check Warning

![]()
PM MUDRA LOAN FACT CHECK : પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર સમાચારોનો મોટો ભંડાર ઉપલબ્ધ હોય છે, જેના કારણે લોકો હવે તેને જ સાચા સમાચારનો આધાર માની લે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આવતા દરેક સમાચાર સાચા હોતા નથી. ઘણી વખત લોકોને ગેરમાર્ગે દોરવા માટે ફેક ન્યૂઝ પણ ફેલાવવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં, તાજેતરમાં વડાપ્રધાનના નામે લોન મળવાના સમાચારો વહેતા થયા છે. આ સમાચારો અંગે સરકાર તરફથી પણ સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે, જેમાં આ સમાચારોની અસલી સત્યતા સરકારે જણાવી છે.
સમગ્ર મામલો શું છે?
આજકાલ સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર દ્વારા લોકોને 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. જેના માટે એક પ્રોસેસિંગ ફી પણ જમા કરાવવાની રહેશે. આ લોન મંજૂરીનો લેટર (Loan Approval Letter) સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે.
સાચી સત્યતા શું છે?
સરકારી એજન્સી પીઆઈબી (PIB – Press Information Bureau) એ તાજેતરમાં જ આ સમાચારનું સંપૂર્ણ ખંડન કર્યું છે. PIBના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા આ વાયરલ થઈ રહેલા પત્રને શેર કરવામાં આવ્યો છે, જેના પર સ્પષ્ટ અક્ષરોમાં FAKE એટલે કે નકલી લખેલું છે. આ પત્ર શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘એક નકલી લોન અપ્રૂવલ લેટર ફરતો થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે, જેના માટે 2550 રૂપિયાની પ્રોસેસિંગ ફી જમા કરાવવી પડશે.’ પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ એક સંપૂર્ણપણે ખોટો પત્ર છે. આ સાથે જ લોકોને આવા ઠગોથી સાવધાન રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
મુદ્રા લોન વિશે આ પણ જાણો
PIBએ એ પણ જણાવ્યું છે કે મુદ્રા (MUDRA) સીધી રીતે વ્યક્તિઓ કે નાના ઉદ્યોગ સાહસિકોને લોન આપતી નથી. તે એક રીફાઇનાન્સિંગ (Refinancing) એજન્સી છે. સતર્ક રહો અને ખોટી માહિતી તથા અફવાઓને ફેલાતી રોકવામાં મદદ કરો. ભારત સરકાર સાથે જોડાયેલી કોઈપણ શંકાસ્પદ કે ભ્રામક માહિતીની તુરંત સરકારને જાણ કરો. આ અહેવાલ બાદ પીઆઈબીએ આવા ભ્રામક સમાચારોની ખરાઈ કરવા અને સાચી માહિતી આપવા માટે પોતાનો સત્તાવાર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ શેર કર્યા છે. મહત્વનું છે કે, પીઆઈબી હંમેશા સરકારને લગતી વિવિધ યોજનાઓની સત્યતાથી લોકોને અવગત કરાવે છે. આ સરકારી એજન્સી દ્વારા સરકારના નામે સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરનારા તત્વો સામે લોકોને સતત જાગૃત અને સાવધ કરવામાં આવે છે.



