અમેરિકાએ ચીનને આપેલા કેમેરા કાશ્મીરના આતંકીઓ પાસેથી મળી આવ્યા, રિપોર્ટમાં દાવો | Cameras given by America to China reached terrorists in Kashmir

![]()
India and China USA News : દિલ્હીના આતંકી હુમલાની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સીએ હુમલામાં ઉપયોગમાં લેવાયેલ ટેક્નોલોજી અને એઆઇને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીની ચાર્જશીટમાં દાવો કરાયો છે કે આતંકીઓએ આ હુમલાને અંજામ આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇનો દુરુપયોગ કર્યો હતો. જ્યારે અન્ય એક ખુલાસો કેમેરાને લઇને થયો છે. લશ્કર-એ-તોયબાના આતંકીઓના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે પણ કેટલીક માહિતી સામે આવી છે.
અમેરિકામાં તૈયાર થયેલા અત્યંત હાઇટેક કેમેરા ચીન પહોંચ્યા હતા, બાદમાં ચીનથી આ કેમેરા લશ્કર-એ-તોયબાના આતંકીઓ પાસે પહોંચ્યા હતા. ગયા જુલાઇ મહિનામાં શ્રીનગરની પાસે દચીગામના જંગલમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી આ કેમેરા ભારતની એજન્સીઓને હાથ લાગ્યા હતા. વધુમાં તપાસમાં સામે આવ્યું કે આ કેમેરા ચીનથી આતંકીઓ સુધી પહોંચ્યા હતા. તેથી સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું ચીન પાકિસ્તાની આતંકીઓને હથિયારોની સાથે ટેક્નોલોજી અને આધુનિક ડિવાઇસની પણ મદદ પહોંચાડી રહ્યું છે? આ કેમેરાનો ઉપયોગ આતંકીઓ વિસ્ફોટ કે હુમલાને રેકોર્ડ કરવા માટે કરતા હોય છે, બાદમાં તેને વધુમાં વધુ લોકો સુધી ફેલાવીને બ્રેઇનવોશ કરવા ઉપયોગ થતો હોય છે.
તપાસ એજન્સી સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેમેરા આતંકીઓ પાસે કેવી રીતે પહોંચ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે, અમેરિકાથી આ કેમેરા ચીન પહોંચ્યા તે પછી ચીનના ક્યા ડિસ્ટ્રિબ્યૂટર દ્વારા તેને પાકિસ્તાન મોકલવામાં આવ્યા તેની પણ તપાસ કરવામાં આવી શકે છે. પુરી શક્યતા છે કે ચીન પાસેથી આ કેમેરા પાકિસ્તાની સૈન્ય સુધી પહોંચ્યા હશે અને પછી પાક. સૈન્યએ તેને આતંકીઓને સોંપ્યા હોઇ શકે છે. દિલ્હી વિસ્ફોટ કેસમાં પણ નવા ખુલાસા થયા છે. આરોપી આતંકીઓએ જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં આઇઇડીનુ પરીક્ષણ કર્યું હતું. હુમલામાં સામેલ એક આતંકી જાસીર બિલાલ વાનીએ વિસ્ફોટકો સહિતની તમામ માહિતી મેળવવા માટે યુટયુબ, ચેટજીપીટી વગેરેનો ઉપયોગ કર્યો હતો. એઆઇની મદદથી તેણે રોકેટ કેવી રીતે તૈયાર કરવું અને વિસ્ફોટ માટે ક્યા ક્યા પદાર્થ મિક્સ કરવા વગેરેની માહિતી મેળવી હતી. એટલુ જ નહીં બાદમાં રોકેટ તૈયાર કરાયું અને અન્ય આતંકીઓની મદદથી જમ્મુ કાશ્મીરના જંગલોમાં પરીક્ષણ કર્યું હતું.



