‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન | NEET Paper Leak Denied By NTA Chief Before Parliamentary Panel Demands CBI Report To Confirm

![]()
NEET Paper Leak Case : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETનું પેપર લીક થયું હતું કે નહીં, આ સવાલ પર ગુરુવારે સંસદની એક મોટી સમિતિ સમક્ષ NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્યાં વિરોધ પક્ષના નેતાઓએ જોરદાર સવાલો પૂછ્યા હતા, પરંતુ NTAના અધિકારીઓ એક પણ સવાલનો સીધો જવાબ આપી શક્યા નહોતા. સંસદની એજ્યુકેશન કમિટી એટલે કે ‘શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને રમતગમતની સંસદીય સ્થાયી સમિતિ’એ ગુરુવારે NTAના ઉચ્ચ અધિકારીઓને હાજર થવા આદેશ કર્યો હતો. આ સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ છે. NTA તરફથી NTA ચેરમેન પ્રદીપ કુમાર જોશી અને NTA ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ હાજર રહ્યા હતા.
અમારી સિસ્ટમમાંથી પેપર લીક થયું નથી : NTAના DG
NTAના DG અભિષેક સિંહે સમિતિ સમક્ષ સ્પષ્ટ કહ્યું કે, પેપર તેમની સિસ્ટમમાંથી લીક થયું નથી. એટલે કે NTAએ સ્વીકાર્યું જ નહીં કે કોઈ પેપર લીક થયું છે. આ વાત પર વિરોધ પક્ષના સાંસદોએ તરત જ વળતો સવાલ કર્યો કે, જો પેપર લીક થયું નથી, તો પછી પરીક્ષા રદ કેમ કરાઈ? ફરીથી પરીક્ષા લેવાની શું જરૂર હતી? આ સવાલનો NTAના ડીજી પાસે કોઈ જવાબ નહોતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે CBI આ મામલાની તપાસ કરી રહી છે. જ્યાં સુધી CBI એવું ન કહે કે પેપર લીક થયું છે, ત્યાં સુધી તેઓ તેને લીક માનશે નહીં.
NTAના DG અને સેક્રેટરીનો ચોંકાવનારો દાવો
NTAના અધિકારીઓએ જણાવ્યું કે, કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી અને બાળકોનો ભરોસો જાળવી રાખવા માટે ફરીથી પરીક્ષા યોજવામાં આવી રહી છે. અભિષેક અને હાયર એજ્યુકેશન સેક્રેટરીએ મોટો દાવો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, અધિકારીઓએ સમિતિ સમક્ષ સ્પષ્ટ કહ્યું કે, નીટ પરીક્ષામાં કોઈ પેપર લીક થયું નહોતું. NTA ચીફ અભિષેક સિંહે સમિતિને જણાવ્યું કે, પરીક્ષા દરમિયાન કેટલાક સવાલો ચોક્કસપણે બહાર આવ્યા હતા, પરંતુ તેને આખું પેપર લીક થયું ન ગણી શકાય.
શું છે NEET-UG 2026 પેપર લીકનો મામલો?
NEET-UG 2026ની પરીક્ષા ત્રીજી મેએ યોજાઈ હતી, પરંતુ થોડા દિવસો પછી પેપર લીકના આરોપો સામે આવ્યા બાદ NTAએ પરીક્ષા રદ કરી દીધી હતી. વોટ્સએપ અને ટેલિગ્રામ પર વાયરલ થયેલી PDFથી આ મામલો શરૂ થયો હતો અને બાદમાં CBI તપાસમાં રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા નેટવર્કનો ખુલાસો થયો હતો. હવે ફરીથી પરીક્ષા 21 જૂને યોજાશે. CBI તપાસમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. શરૂઆતની તપાસમાં બહાર આવ્યું છે કે, પેપર હાથથી લખાયેલું હતું. એવો આરોપ છે કે, રાજસ્થાનમાં એક ઉમેદવારના પિતા દિનેશ બિવાલે તેને સ્કેન કરીને PDF બનાવી હતી અને ત્યારબાદ તે કોચિંગ નેટવર્ક દ્વારા ફેલાઈ ગઈ હતી. CBIના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પાસેથી બે લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવી હતી. તપાસમાં અન્ય ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બોટની ટીચર મનીષા માંધરે, કોચિંગ સંચાલક શિવરાજ મોટેગાવકર અને રાજસ્થાનના બિવાલ પરિવારના સભ્યો સામેલ છે. આ મામલો રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા અને કેરળ સુધી ફેલાયેલા નેટવર્ક સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે.



