‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Rejects Arbitral Court’s Verdict on Indus Waters Treaty Amid Pakistan Tension

![]()
Indus Waters Treaty : ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને તણાવ વકરી ગયો છે. એક કથિત મધ્યસ્થતા અદાલત (Court of Arbitration) દ્વારા 15 મેના રોજ મહત્તમ જળ ગ્રહણ ક્ષેત્રને લઈને આપવામાં આવેલા ચુકાદાને ભારતે સરેઆમ ફગાવી દીધો છે. ભારતે શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે તે આ ગેરકાયદેસર રીતે રચાયેલી સંસ્થા અથવા તેના કોઈ પણ નિર્ણયને માન્યતા આપતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ કથિત અદાલત દ્વારા જારી કરાયેલી કોઈ પણ કાર્યવાહી કે નિર્ણય કાયદાની નજરમાં અમાન્ય છે.
આતંકવાદ સામે ભારતનો આકરો નિર્ણય
ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને સિંધુ જળ સંધિને પહેલેથી જ સ્થગિત કરી દીધી છે. ગયા વર્ષે જૂન મહિનામાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આ મોટું પગલું ભર્યું હતું. ભારત સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી ચાલતા આતંકવાદ અને આતંકી સંગઠનોને પોતાનું સમર્થન સત્તાવાર અને વિશ્વસનીય રીતે બંધ નહીં કરે, ત્યાં સુધી આ જળ સંધિ સ્થગિત જ રહેશે.
સંધિ સ્થગિત થવાના અર્થ અને ભારતનો અધિકાર
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી આ સંધિ સ્થગિત છે ત્યાં સુધી ભારત આ કરાર હેઠળ પાકિસ્તાન પ્રત્યેની પોતાની કોઈ પણ જવાબદારી નિભાવવા માટે કાયદાકીય રીતે બંધાયેલું નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈપણ મધ્યસ્થતા અદાલત, જેનું કાયદાની નજરમાં કોઈ અસ્તિત્વ જ નથી, તે ભારતના સાર્વભૌમ અધિકારો (Sovereign Rights) હેઠળ લેવાયેલા નિર્ણયોની વૈધતાની તપાસ કરવાનો કોઈ અધિકારક્ષેત્ર ધરાવતી નથી. આ વલણ દર્શાવે છે કે ભારત હવે પાકિસ્તાનને પાણીનો એક પણ ટીંપું આપવાના મૂડમાં નથી.



