પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડી | Mumbai Ahmedabad Highway Accident Involving ₹17 Crore Silver Van Leaves 2 Dead

![]()
Mumbai-Ahmedabad Highway Accident: મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર પાલઘરના ચારોટી નાકા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં મુંબઈથી આશરે 17 કરોડ રૂપિયાની કિંમતની 600 કિલો ચાંદીની પાટો ભરીને વાપી જઈ રહેલી એક સિક્યોરિટી વેન ડિવાઈડર કૂદીને સામેથી આવતા ટ્રેલર સાથે ભટકાયા બાદ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
નિયંત્રણ ગુમાવતા વેન રોંગ સાઈડમાં ઘૂસી
મળતી માહિતી અનુસાર, મુંબઈની ‘નાકોડા બુલિયન’ કંપનીની વેન શુક્રવારે (15મી મે) વહેલી સવારે આશરે છથી સાડા છ વાગ્યાના અરસામાં ચાંદીનો મોટો જથ્થો લઈને વાપી જીઆઈડીસી (GIDC)માં આવેલી એક કંપનીમાં જવા રવાના થઈ હતી. જો કે, ચારોટી ફ્લાયઓવર નજીક પહોંચતા જ વેનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ બહાર ગયેલી વેન ગુજરાત તરફ જતી લેનનું ડિવાઈડર તોડીને સીધી સામેની મુંબઈ તરફ જતી લેનમાં ઘૂસી ગઈ હતી. બરાબર એ જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલર સાથે વેનની જોરદાર ટક્કર થઈ હતી.
આ પણ વાંચો: સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા
ઘટનાસ્થળે જ કાળ આંબી ગયો
અકસ્માત એટલો ભયાનક હતો કે વેનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વેનના ડ્રાઈવર અને અંદર તહેનાત સિક્યોરિટી ગાર્ડનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વાહનમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.
ચાંદીની પાટો જોવા લોકો ઉમટ્યા
અકસ્માતના પગલે વેનનો પાછળનો ભાગ તૂટી જતાં અંદર રાખેલી કરોડો રૂપિયાની કિંમતી ચાંદીની પાટો હાઈવે પર ખુલ્લી થઈ ગઈ હતી. કિંમતી ધાતુ રોડ પર જોઈને આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પાલઘર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક હાઈવે પર દોડી આવ્યો હતો. કોઈ અસામાજિક તત્વો કે સ્થાનિક લોકો કિંમતી ચાંદીની પાટો આઘીપાછી (ચોરી) ન કરી જાય તે માટે પોલીસે તાબડતોબ સમગ્ર અકસ્માત સ્થળને કોર્ડન કરી લીધું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ચાંદીનો તમામ જથ્થો સુરક્ષિત રીતે પોતાના હસ્તક લીધો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનને ક્રેનની મદદથી હાઈવે પરથી ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.



