राष्ट्रीय

હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર! | hyderabad chanchalguda jail museum prison experience initiative



Check-in to Jail: Experience Prison Life for ₹2,000: હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલે મંગળવારે એક અનોખી પહેલ શરૂ કરી છે. ‘ફીલ ધ જેલ’ એટલે કે જેલનો અનુભવ કરો નામના આ અભિયાન હેઠળ કોઈ પણ સામાન્ય નાગરિક 12 કે 24 કલાક માટે જેલમાં રહીને કેદી જીવનનો અનુભવ કરી શકશે. 

કેદી જેવી દિનચર્યા અને ભોજન

આ ખાસ યોજના હેઠળ મુલાકાતીઓ માટે જેલમાં જ ખાસ સેલ તૈયાર કરાયા છે. જો કે, અહીં રોકાણ કરનારાએ જેલનું જ ભોજન લેવું પડશે અને કેદીઓ માટે નક્કી કરાયેલી શિસ્તબદ્ધ દિનચર્યાનું પણ પાલન કરવું પડશે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોને જેલની વાસ્તવિકતા અને સ્વતંત્રતાની કિંમત સમજાવવાનો છે.

આ પણ વાંચો : અમદાવાદ IIM બહાર કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો વિરોધ, NEET મુદ્દે NSUIએ કાળા વાવટા ફરકાવ્યા

શું છે જેલમાં એક દિવસ રહેવાનું ભાડું 

24 કલાકના રોકાણ માટે: 2,000 રૂપિયા.

12 કલાકના ટૂંકા રોકાણ માટે: 1,000 રૂપિયા.

જેલ મ્યુઝિયમ: નિઝામ કાળથી અત્યાર સુધીનો ઇતિહાસ

ચંચલગુડા જેલમાં એક નવા જેલ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરાયું છે. આ મ્યુઝિયમમાં નિઝામ શાસનથી લઈને આધુનિક જેલ વ્યવસ્થા સુધીની સફર દર્શાવાઈ છે. અહીં જૂની સાંકળો, બેડીઓ અને ઐતિહાસિક જેલ સેલ પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત ભક્ત રામદાસુ અને દશરથી કૃષ્ણમાચાર્યુલુ જેવા પ્રખ્યાત કેદીઓની ગાથા પણ રજૂ કરાઈ છે. આ સિવાય, નાગાર્જુન સાગર ડેમના નિર્માણમાં કેદીઓના યોગદાન અને પુનર્વસન કાર્યક્રમોની વિગતો પણ અહીં જોવા મળે છે. 

સંગારેડ્ડી જેલમાંથી મળી પ્રેરણા

ચંચલગુડા જેલની આ પહેલ સંગારેડ્ડી હેરિટેજ જેલ મ્યુઝિયમના ‘વન-ડે જેલ એક્સપિરિયન્સ’ પરથી પ્રેરિત છે, જેને લોકોમાં ભારે લોકપ્રિયતા મળી હતી. તેલંગાણાના રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લા દ્વારા સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (SICA)માં આ પ્રોજેક્ટ અને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું હતું.

સામાજિક સુધારાની દિશામાં એક પગલું

આ પ્રસંગે રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લાએ જેલને ‘સુધારણા અને પરિવર્તનનું કેન્દ્ર’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘એક પ્રગતિશીલ સમાજે માત્ર સજા પર જ નહીં, પરંતુ કેદીઓના પુનર્વસન અને તેમને નવી શરૂઆત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’ જેલ ડીજીપી સૌમ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે ‘આ આયોજન ઇન્ટરેક્ટિવ છે, જેના થકી લોકોને જેલનો વહીવટ સમજવામાં મદદ મળશે.’



Source link

Related Articles

Back to top button