मनोरंजन

શાહિદની એન્ટ્રીની ચર્ચા વચ્ચે વરુણ ધવને ‘નો એન્ટ્રી 2’માંથી લીધી એક્ઝિટ? આ પહેલાં દિલજીતે પણ છોડી હતી ફિલ્મ… | Varun Dhawan leave no entry 2 when talks are going with shahid Kapoor



Varun Dhawan Leave No Entry 2: પ્રોડ્યુસર બોની કપૂરની ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલ હાલ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ‘નો એન્ટ્રી 2’ને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. શરૂઆતમાં આ ફિલ્મમાં અર્જુન કપૂર, દિલજીત દોસાંઝ અને વરુણ ધવન જોવા મળશે એવી વાતો ચાલી રહી હતી. જોકે હવે ખબર પડી છે કે વરુણ ધવને પણ આ ફિલ્મ છોડી દીધી છે. આ પહેલાં દિલજીત દોસાંઝે પણ ફિલ્મ છોડી હતી અને હવે ફિલ્મમાં ફક્ત અર્જુન કપૂર બાકી છે. તે બોની કપૂરનો દીકરો હોવાથી ફિલ્મ કરે એમાં કોઈ બે મત નથી. હાલમાં વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ ‘હૈ જવાણી તો ઇશ્ક હોના હૈ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન સામે આવ્યું છે કે તેણે પોતાને ફિલ્મથી અલગ કરી લીધો છે.

શાહિદ કપૂરની ચર્ચા વચ્ચે બહાર થયો વરુણ ધવન

વરુણ ધવન ફિલ્મ છોડ્યાની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે ફિલ્મમાં શાહિદ કપૂરની એન્ટ્રી અંગે સમાચાર આવ્યા. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાહિદ કપૂરની ‘નો એન્ટ્રી 2’માં એન્ટ્રી થઈ ગઈ છે. જોકે તેને એક અફવા પણ ગણાવવામાં આવી હતી. આ વચ્ચે એવા પણ દાવાઓ કરવામાં આવ્યા કે વરુણ ધવને પણ ફિલ્મને અલવિદા કહી દીધી છે. રિપોર્ટમાં એક ઇન્સાઇડરના હવાલાથી જણાવાયું કે, “‘નો એન્ટ્રી 2’માં વરુણ ધવન હોવાના સમાચાર સંપૂર્ણ ખોટા છે. ફિલ્મમાં તેની હાજરી અંગેની તમામ અફવાઓ બિનઆધારિત છે. હાલ વરુણ પોતાની આગામી ફિલ્મ ‘હૈ જવાણી તો ઇશ્ક હોના હૈ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.”

‘નો એન્ટ્રી 2’ને કરવામાં આવી હોલ્ડ

ગયા વર્ષે દિલજીત દોસાંઝે પણ ફિલ્મમાંથી પોતાને અલગ કરી લીધો હતો. કહેવામાં આવ્યું હતું કે ક્રિએટિવ મતભેદોને કારણે તેમણે ફિલ્મ છોડી હતી. જોકે બાદમાં બોની કપૂરે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તારીખોને લઈને વાત આગળ નહોતી વધી. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓ તારીખો મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે વરુણ ધવન પણ ફિલ્મમાંથી બહાર થઈ ગયો છે. બીજી તરફ શાહિદ કપૂરની એન્ટ્રી અંગે પણ અલગ-અલગ રિપોર્ટ્સ આવતા ગૂંચવણ ઊભી થઈ રહી છે. ઇન્સાઇડર મુજબ અનીસ બઝ્મીના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મ હાલ હોલ્ડ પર ચાલી ગઈ છે. હવે ફિલ્મની કાસ્ટમાં ફક્ત અર્જુન કપૂર જ બાકી રહ્યો છે.

પહેલી ‘નો એન્ટ્રી’માં કોણ હતું?

વર્ષ 2005માં આવેલી ‘નો એન્ટ્રી’માં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનની ત્રિપુટી જોવા મળી હતી. તેમની સાથે બિપાશા બાસુ, ઈશા દેઓલ, લારા દત્તા અને સેલિના જેટલીએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે સમયે ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. વર્ષ 2024માં બોની કપૂરે આ ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે લાગી રહ્યું છે કે ફિલ્મને હવે અભરાઈ પર ચઢાવી દેવાનો સમય આવી શકે છે.



Source link

Related Articles

Back to top button