राष्ट्रीय

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન | RSS General Secretary Dattatreya Hosabale says india should talk to pakistan



RSS General Secretary On India Pakistan Talks: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘આપણે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા હંમેશા ખુલ્લા રાખવા જોઈએ. રાષ્ટ્રની રક્ષા અને સુરક્ષા જરૂરી છે પરંતુ સાથે જ આપણે વાતચીતના દરવાજા બંધ ન રાખવા જોઈએ.’

એક રસ્તો ખુલ્લો રાખો

ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઇન્ટરવ્યૂમાં દત્તાત્રેય હોસબાલેએ સ્પષ્ટ શબ્દોમાં મત રાખતા કહ્યું કે, ‘અટલજી અને વર્તમાન સરકારે વાતચીત કરી હતી. તેમ છતાં પાકિસ્તાને પુલવામા જેવો હુમલો કર્યો. રાષ્ટ્ર અને આત્મસન્માનની સુરક્ષા જરૂરી છે પરંતુ વાતચીત માટે હંમેશા એક રસ્તો ખુલ્લો રહેવો જોઈએ.’

ભારતે પાકિસ્તાન સાથે કેવું વર્તન કરવું જોઈએ?

ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતે પાકિસ્તાન સાથે કેવું વર્તન કરવું જોઈએ? તેના પર જવાબમાં જણાવ્યું કે ‘ભારતે હંમેશા વાતચીતનો રસ્તો અપનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અટલજી બસ દ્વારા લાહોર ગયા હતા અને શાંતિની પહેલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ આપ્યું હતું અને બાદમાં એક પાકિસ્તાની નેતાના લગ્નમાં પણ સામેલ થયા હતા.’

‘સંબંધો સુધારવાની તક ખતમ થઈ જશે!’

‘આ તમામ પ્રયાસો છતાં પાકિસ્તાન જો સોય ભોંકવા જેવી હરકતો કરે છે અને પુલવામા જેવા હુમલાઓને પ્રોત્સાહન આપે છે, તો ભારતે પરિસ્થિતિ મુજબ સખત જવાબ આપવો પડશે. કોઈપણ દેશની સુરક્ષા અને સ્વાભિમાન સર્વોપરી હોય છે અને સરકારે તે મુજબ પગલાં ભરવા જોઈએ.’ જો કે હોસબાલેએ એ પણ સ્પષ્ટ કર્યું કે વાતચીતના દરવાજા પૂરી રીતે બંધ ન થવા જોઈએ. તેમના મતે બંને દેશો વચ્ચે સંવાદનો રસ્તો હંમેશા ખુલ્લો રહેવો જોઈએ. તેમણે કહ્યું કે આ જ કારણસર રાજદ્વારી સંબંધો જાળવવામાં આવે છે, વેપાર ચાલતો રહે છે અને વિઝા પણ આપવામાં આવે છે. જો વાતચીતની બારી બંધ કરી દેવામાં આવે તો સંબંધો સુધારવાની તક ખતમ થઈ જશે. તેથી તણાવ વચ્ચે પણ સંવાદ જરૂરી છે.

‘લવ જેહાદ એક કાવતરું’

દત્તાત્રેય હોસબાલેએ મુસ્લિમ લીડરશિપને લઈને પણ પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યું કે ‘મુસલમાનો વચ્ચે રાષ્ટ્રવાદી નેતૃત્વ મળવું ઘણું મુશ્કેલ છે. આ સમુદાય કોઈનું સમર્થન ત્યારે જ કરે છે, જ્યારે તે અલગતાવાદી હોય.’ તેમણે લવ જેહાદને એક કાવતરું ગણાવતાં ઉલ્લેખ કર્યો કે ‘લવ જેહાદ ત્યારે થાય છે જ્યારે કોઈ એજન્ડા હોય, હિન્દુ છોકરીઓને લઈ જવાનું કોઈ સમજી-વિચારીને કરેલું કાવતરું હોય, આ મંજૂર નથી. જ્યારે આ એકતરફી હોય છે, ત્યારે તે પ્રેમ નહીં, પરંતુ એક ષડયંત્ર હોય છે.’



Source link

Related Articles

Back to top button