પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ વધારાના એંધાણ | Fuel prices to rise sharply in petrol and diesel

![]()
– સરકારી ઓઇલ કંપનીઓને દૈનિક રૂ. 1700 કરોડ સાથે કુલ એક લાખ કરોડનું નુકસાન
– પેટ્રોલ-ડીઝલનો સંયમિત ઉપયોગ કરવા પીએમ મોદીની સલાહ : ઇરાન-અમેરિકા યુદ્ધ પછી દેશમાં પૂરતો જથ્થો હોવાની ખાતરી છતાં વપરાશ પર અંકુશની શક્યતા
– ક્રૂડ ઓઈલના ભાવમાં 50 ટકાના વધારા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ બે વર્ષના જૂના સ્તરે : ઓઈલ કંપનીઓ
નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે સર્જાયેલી ક્રુડ ઓઈલ કટોકટીના પગલે ભારતીય સરકારી ઓઈલ કંપનીઓને અઢી મહિનામાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ અહેવાલોથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જંગી વધારાના ભણકારા વાગી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કટોકટી સમયે મોટાભાગના દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી વધારો થયો હતો, પરંતુ ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે ભાવ વધ્યા નહોતા. સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પર્યાપ્ત જથ્થો હોવાથી ભાવ વધારો નહીં થાય તેવી વારંવાર ખાતરી આપી હતી, પરંતુ હવે ચૂંટણી પરિણામો આવી ગયા છે ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રો પેદાશોના સંયમિત વપરાશની અપીલ કરતાં ભાવ વધારાની અટકળોને બળ મળ્યું છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલ યુદ્ધવિરામ છે છતાં અમેરિકા અને ઈરાને હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ જાળવવા મુદ્દે નાકાબંધી ચાલુ રાખતા વૈશ્વિક ઊર્જા કિંમતોમાં જંગી ઊછાળો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરથી વધીને ૧૨૬ ડોલરના સ્તરે પહોંચી ગયા છે, જેની દેશમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ પર વિપરિત અસર પડી રહી છે.
ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ છેલ્લા ૧૦ સપ્તાહ એટલે કે અઢી મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનું વેચાણ બે વર્ષ જૂના સ્તર પર કરી રહી છે, જેથી તેમને દૈનિક રૂ.૧,૬૦૦થી રૂ. ૧,૭૦૦ કરોડનું નુકસાન થયા છે. આમ, સરકારી ઓઈલ કંપનીઓને છેલ્લા અઢી મહિનામાં અંદાજે રૂ. ૧ લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. વધુમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ટાળવા માટે સરકારે એક્સાઈઝ ડયુટીમાં રૂ. ૧૦નો ઘટાડો કર્યો હતો, જેથી સરકારને પ્રત્યેક મહિને રૂ. ૧૪,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડયુટી સેસ રૂ. ૧૩થી ઘટાડીને પ્રતિ લિટર રૂ. ૩ જ્યારે ડીઝલ પર રૂ. ૧૦ ઘટાડીને શૂન્ય કરી દીધું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ૫૦ ટકાનો વધારો થઈ ગયો છે. છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બે વર્ષ જૂના સ્તરે સ્થિર છે. દિલ્હીમાં સાદું પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ના દરે વેચાઈ રહ્યા છે.
જોકે, અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધના કારણે માર્ચમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ. ૬૦નો વધારો કર્યો હતો, તેમ છતાં તેના ભાવ વાસ્તવિક ખર્ચ કરતા નીચા છે.
સરકારી ઓઈલ કંપનીના સૂત્રો મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો નિર્ણય હવે સરકારના સ્તરે લેવાશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો હવે લગભગ અનિવાર્ય થઈ ગયો છે, પરંતુ કેટલો ભાવ વધારો કરવો તેનો નિર્ણય સરકાર કરશે. સૂત્રો મુજબ ક્રૂડ ઓઈલનો ઊંચો ભાવ લાંબા સમય સુધી રહેશે તો ઓઈલ કંપનીઓ પર દબાણ વધશે. એવામાં સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરવો જ પડશે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદમાં એક જાહેરસભામાં દેશવાસીઓને મધ્ય-પૂર્વના સંકટને ધ્યાનમાં રાખીને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સહિતના પેટ્રો પેદાશોનો વપરાશ સંયમિત રીતે કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આયાતી પેટ્રોલિયમ ઉત્પાદનોનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ, કારણ કે તેનાથી વિદેશી ચલણની બચત થવાની સાથે મધ્ય-પૂર્વના યુદ્ધની પ્રતિકૂળ અસરોને પણ ઘટાડી શકાશે. પીએમ મોદીની દેશવાસીઓને આ અપીલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અટકળોને બળ મળ્યું છે.



