તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oath live updates thalapathy vijay swearing in ceremony

Vijay Tamilnadu CM News : તમિલનાડુમાં અંતે શનિવારે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સરકારની રચના અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના ભાગરૂપે સોમવારે પરિણામો જાહેર થતા તમિલનાડુમાં નવી સરકારની રચના માટે પોલિટિકલ ડ્રામા શરૂ થયો હતો, જેનો શનિવારે ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલના વિજયના તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ને બિનશરતી સમર્થન સાથે અંત આવ્યો છે. હવે વિજય આજે રવિવારે મુખ્યમંત્રીપદના શપથ લેશે. વિજયે નાના પક્ષોના સહારે સરકાર બનાવવા માટે જરૂરી સમર્થન મેળવવામાં વિજય મેળવ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહનો રાજકીય ડ્રામા વિજય માટે આગામી ચઢાણ કપરા રહેશે તેવા સંકેત આપે છે.
Tamil Nadu CM Oath Ceremony Live:
જાણો કોણ કોણ મંત્રી પદના લેશે શપથ

9 નેતા લેશે મંત્રી પદના શપથ પણ કોંગ્રેસને ઝટકો
તમિલનાડુમાં આજે વિજયની સાથે તેમની પાર્ટીના 9 નેતા પણ મંત્રી પદના શપથ લેશે. જોકે આ શપથ સમારોહમાં કોંગ્રેસના કોઈ નેતા શપથ નહીં લે. જે કોંગ્રેસ માટે ઝટકો સમાન નિર્ણય મનાઈ શકે છે કેમ કે કોંગ્રેસના 5 ધારાસભ્યોનું વિજયની પાર્ટીને સમર્થન મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે.
108 બેઠકો જીતી હતી ટીવીકે
તમિલનાડુમાં બે વર્ષ જૂની ટીવીકેએ પહેલી વખત ચૂંટણી લડતા 108 બેઠકો જીતીને ઈતિહાસ રચનારા થલાપતિ વિજય માટે સરકાર રચવા 234 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોના સમર્થન છતાં 118 ધારાસભ્યોનું સમર્થન મેળવવું મુશ્કેલ બની ગયું હતું. જોકે, ટીવીકેને શનિવારે સમર્થન આપનારા વીસીકે અને આઈએમયુએલ પાસે 2-2 ધારાસભ્યો છે. આ સાથે વિજયને 120 સભ્યોનું સમર્થન મળી ગયું છે. વિજયે શનિવારે સાંજે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની મુલાકાત લઈને તેમને 120 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપતા રવિવારે વિજયના શપથગ્રહણનો રસ્તો સાફ થઈ ગયો હતો.
આજે 10 વાગ્યે શપથ
વિજય હવે રવિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રીપદના શપથ લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચેન્નઈમાં વિજયના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે. સૂત્રો મુજબ વિજય શપથગ્રહણનો સમય બદલવા માગતા હતા, પરંતુ તેમના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાના સમયને શુભ મુહૂર્ત ગણાવ્યું હતું.
ત્રણ દિવસ ચાલ્યો રાજકીય ડ્રામા
આ પહેલા છેલ્લા ત્રણ દિવસમાં વિજયે ત્રણ વખત રાજ્યપાલ અર્લેકરની મુલાકાત લઈને સરકાર બનાવવા માટેનો દાવો ક્યો હતો, પરંતુ તેઓ રાજ્યપાલને બહુમત માટે જરૂરી 118 ધારાસભ્યોનું સમર્થન બતાવી શક્યા નહોતા.
વીસીકેના યુ ટર્નથી વધી હતી મુશ્કેલી
ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલે શુક્રવારે ટીવીકેને સમર્થન આપ્યા પછી યુ-ટર્ન લીધો હતો. વીસીકેએ ટીવીકેને સમર્થન માટે નાયબ મુખ્યમંત્રીપદની માગણી કરી હતી જ્યારે આઈયુએમએલે ડીએમકેનો સાથ આપવા માટે ટીવીકેને સમર્થનનો ઈનકાર કર્યો હતો. જોકે, અંતે શનિવારે આ બંને પક્ષોએ ફરી તેમનું વલણ બદલ્યું હતું અને ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું હતું.



