राष्ट्रीय

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક રિપોર્ટ | niti aayog report 2026 india school education retention crisis dropout rates



NITI Aayog School Education Report 2026: ભારતે આઝાદી પછી શિક્ષણ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ગામેગામ શાળાઓ બની, મધ્યાહન ભોજન જેવી યોજનાઓ આવી અને આજે પરિસ્થિતિ એવી છે કે લગભગ દરેક બાળક પાસે શાળાની પહોંચ છે. પરંતુ, શું વર્ગખંડમાં પ્રવેશ મેળવવો એ જ સફળતાની અંતિમ મહોર છે? નીતિ આયોગના લેટેસ્ટ રિપોર્ટ ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન્ડિયા 2026’ ના આંકડા આ સવાલ સામે એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે. રિપોર્ટ કહે છે કે ભારતની શિક્ષણની પાઈપલાઈન ઉપરના સ્તરે પહોંચતા સુધીમાં ગંભીર રીતે ‘લીક’ થઈ રહી છે.

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક રિપોર્ટ 2 - image

એક વિશાળ માળખું, પણ પાયા નબળા

ભારતની શાળાકીય વ્યવસ્થાના આંકડા કોઈપણ દેશને પ્રભાવિત કરી શકે તેવા છે. 14.71 લાખથી વધુ શાળાઓ છે. બીજી તરફ આશરે 24.69 કરોડ બાળકો પણ છે. 1 કરોડથી વધુ શિક્ષકો પણ છે. એક દાયકાના ટ્રેન્ડ પર નજર કરીએ તો, 2014-15માં કુલ નોંધણી (Enrolment) 26.95 કરોડ હતી, જે 2024-25માં ઘટીને 24.69 કરોડ થઈ છે. નિષ્ણાતો આ ઘટાડાને નકારાત્મક નથી ગણતા, કારણ કે તે ભારતમાં ઘટતા પ્રજનન દર અને બદલાતી ડેમોગ્રાફીનું પરિણામ છે. એટલે કે, શાળાએ જવાની વયના બાળકોની સંખ્યા જ કુદરતી રીતે ઘટી રહી છે. પરંતુ સમસ્યા એ નથી કે કેટલા બાળકો પ્રવેશ લે છે, સમસ્યા એ છે કે કેટલા બાળકો અભ્યાસ પૂરો કરે છે.

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક રિપોર્ટ 3 - image

દ્રશ્ય 1: પ્રાથમિક શાળામાં ઉત્સાહ, ઉચ્ચત્તર માધ્યમિકમાં અંધકાર

નીતિ આયોગના રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો આંકડો Gross Enrolment Ratio (GER) નો છે. આ રેશિયો દર્શાવે છે કે જે તે વયજૂથના કેટલા ટકા બાળકો ખરેખર શાળામાં છે. આ ટેબલ પર નજર નાખતા જ સમજાશે કે પ્રાથમિક સ્તરે આપણે લગભગ 100% ની નજીક છીએ. એટલે કે દરેક બાળક શાળામાં પ્રવેશે છે. પરંતુ જેમ જેમ સીડી ચડવાની આવે છે, તેમ તેમ પગથિયાં ટૂંકા પડતા જાય છે. ઉચ્ચતર માધ્યમિક સ્તરે આ આંકડો સીધો 58.4% પર પછડાય છે. આનો અર્થ એ થયો કે લગભગ અડધા વિદ્યાર્થીઓ 12મું ધોરણ પૂરું કર્યા પહેલા જ સિસ્ટમમાંથી બહાર ફેંકાઈ જાય છે.

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક રિપોર્ટ 4 - image

દ્રશ્ય 2: પાઈપલાઈન ક્યાંથી લીક થાય છે?

શિક્ષણનો આ પ્રવાસ એક પાઈપલાઈન જેવો છે, જેમાં એક છેડેથી વિદ્યાર્થીઓ અંદર જાય છે અને બીજા છેડેથી બહાર આવવું જોઈએ. પરંતુ ભારતમાં આ પાઈપલાઈન બે મુખ્ય જગ્યાએથી તૂટેલી છે. 

ધોરણ 8 પછીનો પહેલો આંચકો: પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિકમાં જવાનો ટ્રાન્ઝિશન રેટ 92.2% છે. પરંતુ જેવું આઠમું ધોરણ પૂરું થાય છે, ઘણા બાળકો માધ્યમિક શિક્ષણમાં પ્રવેશતા નથી.

ધોરણ 10 પછીનું ગાબડું: સૌથી મોટું લીકેજ ધોરણ 10 પછી જોવા મળે છે. માત્ર 75.1% વિદ્યાર્થીઓ જ 10મા માંથી 11મા ધોરણમાં પ્રવેશ મેળવે છે. એટલે કે, દર ચારમાંથી એક વિદ્યાર્થી હાઈસ્કૂલના છેલ્લા બે વર્ષમાં પ્રવેશતો જ નથી.

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક રિપોર્ટ 5 - image

આ અદ્રશ્ય એક્ઝિટ પાછળના કારણો શું છે?

નીતિ આયોગનો રિપોર્ટ આ ગંભીર ડ્રોપ-આઉટ પાછળ કેટલાક પાયાના કારણો રજૂ કરે છે. 

છૂટાછવાયા તબક્કા (Siloed Stages): ભારતની શિક્ષણ વ્યવસ્થામાં વિવિધ સ્તરો વચ્ચે કોઈ સીમલેસ કનેક્ટિવિટી નથી. પ્રાથમિક શાળા એક જગ્યાએ હોય, માધ્યમિક બીજી જગ્યાએ. આ બ્રેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ તોડે છે.

ભૌતિક અંતર: ધોરણ 8 કે 10 પછી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓએ ઘણીવાર લાંબુ અંતર કાપવું પડે છે. ગ્રામીણ વિસ્તારોમાં દીકરીઓ માટે આ સૌથી મોટો અવરોધ સાબિત થાય છે.

શિક્ષકોની અછત: પ્રાથમિકમાં એક જ શિક્ષક બધા વિષયો ભણાવી શકે, પણ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં વિષયવાર નિષ્ણાત શિક્ષકોની જરૂર હોય છે. આ સ્તરે શિક્ષકોની અસમાન વહેંચણી શિક્ષણની ગુણવત્તા બગાડે છે.

આર્થિક દબાણ: 14-15 વર્ષની ઉંમર પછી ઘણીવાર ગરીબ પરિવારોના બાળકો પર મજૂરી કરી ઘર ચલાવવાનું દબાણ વધે છે. મફત શિક્ષણ હોવા છતાં, અભ્યાસ ન કરવાની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ વધી જાય છે.

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક રિપોર્ટ 6 - image

રિટેન્શનનો નવો પડકાર

અત્યાર સુધી આપણી સરકારોનો પૂરો ભાર એક્સેસ (Access) પર હતો – એટલે કે શાળાઓ બાંધવી અને એડમિશન વધારવા. આ મિશનમાં આપણે સફળ થયા છીએ. હવે નવો પડકાર રિટેન્શન (Retention) એટલે કે વિદ્યાર્થીને શાળામાં ટકાવી રાખવાનો છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ, કુલ નોંધણીના 42% વિદ્યાર્થીઓ માત્ર પ્રાથમિક વર્ગોમાં છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં માત્ર 11% વિદ્યાર્થીઓ છે. આ અસંતુલન દર્શાવે છે કે આપણે પાયામાં ભીડ કરી રહ્યા છીએ, પણ શિખર સુધી પહોંચવામાં નિષ્ફળ જઈ રહ્યા છીએ.

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક રિપોર્ટ 7 - image

શું હોવો જોઈએ ઉકેલ?

નીતિ આયોગે તેના રિપોર્ટમાં કેટલીક મહત્વની ભલામણો કરી છે

સ્કૂલ કોમ્પ્લેક્સનું નિર્માણ: નાની-નાની શાળાઓને એક મોટા સંકુલ (Complex) સાથે જોડવી જોઈએ, જેથી બાળકને 1 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ એક જ છત્ર નીચે મળી રહે.

ટ્રાન્ઝિશન સપોર્ટ: ધોરણ 8 અને 10 પછી વિદ્યાર્થીઓ ક્યાં જાય છે તેનું ટ્રેકિંગ થવું જોઈએ. જો કોઈ બાળક એડમિશન નથી લેતું, તો તેનું કારણ જાણી તેને ઉકેલવું જોઈએ.

ગુણવત્તા અને જોડાણ: શિક્ષણ માત્ર પુસ્તકિયું ન રહીને કૌશલ્યલક્ષી બને તો વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમાં લાંબો સમય રોકાવા તૈયાર થશે.

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક રિપોર્ટ 8 - image

શું ભારત 2030 સુધીમાં આ લક્ષ્ય મેળવી શકશે?

શિક્ષણ વ્યવસ્થા માત્ર બિલ્ડિંગોથી નથી બનતી, તે વિદ્યાર્થીઓના સપનાથી બને છે. જો અડધા વિદ્યાર્થીઓ અધવચ્ચે જ અભ્યાસ છોડી દેતા હોય, તો આપણે એક અધૂરું સપનું ધરાવતી પેઢી તૈયાર કરી રહ્યા છીએ. નીતિ આયોગનો આ રિપોર્ટ સ્પષ્ટ સંદેશ આપે છે: એડમિશન લેવડાવવું એ શરૂઆત છે, ગ્રેજ્યુએટ કરાવવું એ સફળતા છે. હવે સમય આવી ગયો છે કે આપણે સ્કૂલ પાસ રેશિયો પર એટલું જ ધ્યાન આપીએ જેટલું નવા એડમિશન પર આપીએ છીએ. ભારતની પ્રગતિનો રસ્તો આ 58.4% ના આંકડાને 100% સુધી લઈ જવામાં રહેલો છે.

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક રિપોર્ટ 9 - image



Source link

Related Articles

Back to top button