નીતિ આયોગમાં મોટો ફેરફાર: પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિડીએ સંભાળ્યો ઉપાધ્યક્ષનો કાર્યભાર | ashok kumar lahiri takes charge as niti aayog vice chairman updates

![]()
Ashok Kumar Lahiri: ભારત સરકારના થિંક ટેન્ક ગણાતા નીતિ આયોગ (NITI Aayog) માં શુક્રવારે એક મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક કુમાર લાહિડીએ સત્તાવાર રીતે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી બાદ તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી છે.
સુમન બેરીનું સ્થાન લીધું
અશોક કુમાર લાહિડીએ સુમન બેરીનું સ્થાન લીધું છે, જેઓ મે 2022 થી આ પદ પર કાર્યરત હતા. કાર્યભાર સંભાળ્યા બાદ વડાપ્રધાન મોદીએ લાહિડી સાથે મુલાકાત કરી હતી અને તેમને નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતા.
કોણ છે અશોક કુમાર લાહિડી?
પશ્ચિમ બંગાળની બાલુરઘાટ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય એવા અશોક કુમાર લાહિડીનું કરિયર અત્યંત પ્રતિષ્ઠિત રહ્યું છે. તેમના અનુભવના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે. તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 15માં નાણાં પંચના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. લાહિડી એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB), વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે. તેઓ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, બંધન બેંક અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ પોલિસી સાથે પણ સંકળાયેલા રહ્યા છે.
વિકસિત ભારતના લક્ષ્યને મળશે વેગ
નીતિ આયોગના જણાવ્યા અનુસાર, શિક્ષણ જગત, જાહેર સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં લાહિડીના બહોળા અનુભવથી પુરાવા આધારિત નીતિઓ બનાવવામાં મદદ મળશે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અર્થશાસ્ત્ર અને જાહેર નીતિમાં તેમનો અનુભવ ભારતની સુધારાની યાત્રાને મજબૂત કરશે અને વિકસિત ભારતના લક્ષ્યને આગળ વધારવામાં મદદરૂપ થશે.
નવી ટીમની જાહેરાત
પુનર્ગઠિત નીતિ આયોગમાં માત્ર ઉપાધ્યક્ષ જ નહીં, પરંતુ નવા પૂર્ણકાલીન સભ્યોની પણ વરણી કરવામાં આવી છે. જેમાં રાજીવ ગૌબા, પ્રોફેસર કે.વી. રાજુ, પ્રોફેસર ગોબર્ધન દાસ, પ્રોફેસર અભય કરંદીકર અને ડો. એમ. શ્રીનિવાસનો સમાવેશ થાય છે. નીતિ આયોગ હવે સહકારી સંઘવાદને મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં લાંબા ગાળાની વ્યૂહાત્મક વિચારધારા માટે એક ગતિશીલ મંચ તરીકે કામ કરશે.



