સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allahabad HC Stays FIR Against Rahul Gandhi Critical Remarks on Indian State Not Sedition

Allahabad High Court Rahul Gandhi Relief: અલ્લાહાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની અરજી ફગાવી દેતા લોકશાહીના મૂલ્યો અને અભિવ્યક્તિની આઝાદી પર વિશેષ ભાર મૂક્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંસદીય લોકશાહીમાં સરકારની નીતિઓ કે કાર્યોની ટીકા કરવી એ માત્ર નાગરિકનો અધિકાર નથી, પરંતુ લોકશાહીને જીવંત રાખવા માટે અનિવાર્ય છે. અદાલતના મતે, સરકાર સાથે વૈચારિક મતભેદ ધરાવવો કે તેની ટીકા કરવી એ કોઈ પણ રીતે ગુનો ગણી શકાય નહીં. જ્યારે કોઈ લોકપ્રતિનિધિ કોઈ ચોક્કસ વિચારધારા કે નીતિ સામે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે, ત્યારે તેને દેશ વિરુદ્ધ બળવો ભડકાવવા સાથે જોડી શકાય નહીં. જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણે નોંધ્યું હતું કે લોકશાહીની પ્રગતિ જ વિચારોના મુક્ત આદાન-પ્રદાન પર નિર્ભર છે, અને અભિવ્યક્તિની આઝાદી પર બિનજરૂરી પ્રતિબંધો લાદવા એ લોકશાહીના મૂળભૂત અધિકારોનું હનન છે.
રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન અને વિવાદનું કારણ
આ સમગ્ર વિવાદ રાહુલ ગાંધી દ્વારા 15 જાન્યુઆરી 2025ના રોજ પક્ષના કાર્યકરોને આપેલા એક સંબોધનથી શરૂ થયો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર ભાજપ કે RSS સામે નથી લડી રહી, કારણ કે આ સંસ્થાઓએ દેશની દરેક સંસ્થા પર કબજો કરી લીધો છે, તેથી હવે લડાઈ આખા ‘ઇન્ડિયન સ્ટેટ'(ભારતીય રાજ્યતંત્ર) સામે છે. હિન્દુ શક્તિ દળના સિમરન ગુપ્તાએ આ નિવેદનને દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે જોખમી ગણાવીને ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 152 હેઠળ FIR નોંધવાની માંગ કરી હતી.
અદાલતની મહત્ત્વની ટિપ્પણી: લોકશાહીમાં ટીકાનું મહત્ત્વ
જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણે અરજી ફગાવતા જણાવ્યું હતું કે લોકશાહીની પ્રગતિ વિચારોના મુક્ત આદાનપ્રદાન પર નિર્ભર છે. રાહુલ ગાંધી એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે અને જનતાનો અવાજ રજૂ કરવાની તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર એવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી જે સાબિત કરે કે રાહુલ ગાંધી દેશ તોડવાની કે સશસ્ત્ર વિદ્રોહની વાત કરી રહ્યા હતા. તેમનું નિવેદન સ્પષ્ટપણે રાજકીય વિરોધના સંદર્ભમાં હતું.
આ પણ વાંચો: મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
અભિવ્યક્તિની આઝાદીનું રક્ષણ
હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદીને બંધારણીય રક્ષણ પ્રાપ્ત છે અને તેના પર ત્યારે જ પ્રતિબંધ લગાવી શકાય જ્યારે કોઈ વાજબી કારણ હોય. અદાલતોએ કોઈપણ વ્યક્તિના મૌલિક અધિકારો છીનવાઈ ન જાય તે માટે અત્યંત સતર્ક રહેવું જોઈએ. આ ચુકાદા સાથે કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વૈચારિક વિરોધને દેશદ્રોહ કે બળવા તરીકે ખપાવી શકાય નહીં.




