ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front of MP for asking question at BJP election rally

![]()
વાંકાનેરના ઓળ ગામે આગેવાનો- કાર્યકરોની ગુંડાગીરી : સામાન્ય દલીલબાજી જોતજોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ : અફરાંતફરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મોરબી, : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થવા સુધી રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા ગામડે-ગામડે સભાઓ કરી હતી, પરંતુ વાંકાનેર તાલુકાના ઓળ ગામે યોજાયેલી ભાજપની ચૂંટણી સભામાં જે દ્રશ્યો જોવા મળ્યા તે લોકશાહી માટે શરમજનક હતા. રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં જ એક જાગૃત નાગરિકે પ્રશ્ન પૂછવાની હિંમત કરતા, નેતાઓના સમર્થકો અને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. આ સામાન્ય દલીલબાજી જોતજોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયા છે.
મળતી માહિતી મુજબ, ઓળ ગામે રાત્રિના સમયે ભાજપની પ્રચાર સભા ચાલી રહી હતી. આ દરમિયાન ગામના એક જાગૃત નાગરિકે વિસ્તારના પ્રશ્નો અથવા વિકાસલક્ષી મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. સામાન્ય રીતે લોકશાહીમાં નેતાઓ જનતાના પ્રતિનિધિ હોય છે અને પ્રશ્નોના જવાબ આપવા બંધાયેલા હોય છે, પરંતુ અહીં ઉલટું જોવા મળ્યું. પ્રશ્ન સાંભળતા જ સ્ટેજ પર અને આસપાસ બેઠેલા ભાજપના આગેવાનો ઉશ્કેરાઈ ગયા હતા. સાંસદની હાજરી હોવા છતાં શિસ્તના લીરેલીરા ઉડાડીને પ્રશ્ન પૂછનાર વ્યક્તિ સાથે ઝપાઝપી સાથે મારકૂટ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો બાદ વાંકાનેર પંથકમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે જો ચૂંટણી પહેલા જ નેતાઓના મળતિયાઓ આટલી હદે દાદાગીરી કરતા હોય, તો જીત્યા પછી તેમની શૈલી કેવી હશે? આગામી દિવસોમાં આ મુદ્દો વિપક્ષ દ્વારા પણ જોરશોરથી ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. નેતાઓએ અને પક્ષના આગેવાનોએ સમજવું પડશે કે પ્રજા સવાલ પૂછશે જ, અને હિંસા એ સવાલનો જવાબ નથી.
ભાજપના કાર્યકરોમાં સહિષ્ણુતાનો અભાવ કે નેતાઓ પ્રશ્નના જવાબ આપવામાં અક્ષમ
ભાજપ હંમેશા પોતાની જાતને કેડર બેઝ્ડ અને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે. પરંતુ જ્યારે કોઈ સાંસદ કે ઉચ્ચ નેતાની હાજરીમાં કાર્યકરો હિંસા પર ઉતરી આવે, ત્યારે પક્ષની શિસ્ત સામે સવાલો ઉઠે છે. શું કાર્યકરોમાં સહિષ્ણુતાનો અભાવ છે? શું નેતાઓ પ્રશ્નોના જવાબ આપવામાં અક્ષમ છે? પાંચ વર્ષ સુધી નેતાઓ દેખાતા નથી, ત્યારે ચૂંટણી સમયે તેઓ મતોની ભીખ માંગવા આવે, ત્યારે જનતા અટકેલા કામો કે પાયાની સુવિધાઓ વિશે સવાલ કરે તે સ્વાભાવિક છે. સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પોતે ત્યાં હાજર હતા. એક જવાબદાર નેતા તરીકે તેમની ફરજ હતી કે તેઓ કાર્યકરોને અટકાવે અને નાગરિકના પ્રશ્નનો શાંતિપૂર્ણ રીતે જવાબ આપે. નેતાઓની હાજરીમાં થતી આવી હિંસા એ મતદારોમાં નકારાત્મક સંદેશ મોકલે છે.



