‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mishra Mocks Arvind Kejriwal as Ashok Mittal & 6 Other MPs Quit AAP

Kapil Mishra and Kejriwal News : આમ આદમી પાર્ટીના 7 રાજ્યસભા સાંસદોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા દિલ્હીના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આ ઘટનાક્રમ બાદ ભાજપના નેતા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું છે. મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી છે.
કપિલ મિશ્રાનો પ્રહાર
કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સૌથી રમુજી વાત એ છે કે કેજરીવાલ આજે સવાર સુધી અશોક મિત્તલજીના ઘરે જ રહેતા હતા. આજે અશોક મિત્તલે AAP છોડી દીધી, તેથી કેજરીવાલે પણ ત્યાંથી પોતાનો ‘કબજો’ છોડવો પડ્યો.
સાંસદોનો આરોપ
રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે AAP તેના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ છે. હવે પાર્ટી દેશના હિતમાં નહીં પણ વ્યક્તિગત સ્વાર્થ માટે કામ કરી રહી છે.
સંખ્યાબળનું ગણિત
રાજ્યસભામાં AAPના કુલ 10 સાંસદો છે, જેમાંથી 7 (બે તૃતીયાંશથી વધુ) સાંસદોએ ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. જેમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સિંહ સાહનીનો સમાવેશ થાય છે.
‘કેજરીવાલની ટોળકીમાં હવે માત્ર ભ્રષ્ટાચારીઓ જ બાકી’
કપિલ મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે, “હવે કેજરીવાલની ગેંગમાં માત્ર ચોર અને ભ્રષ્ટ લોકો જ બાકી રહ્યા છે. જેની આત્મા હજુ જીવિત છે તે ત્યાં લાંબો સમય ટકી શકશે નહીં. રાઘવ ચઢ્ઢા અને તેમના સાથીઓનો આ નિર્ણય પંજાબના લોકોને કેજરીવાલની લૂંટમાંથી બચાવવા માટે નિર્ણાયક સાબિત થશે.”
બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ
રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું કે તેઓએ ભારતના બંધારણની જોગવાઈઓ હેઠળ ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. સવારમાં જ તમામ સાત બાગી સાંસદોની સહી વાળો પત્ર અને દસ્તાવેજો રાજ્યસભાના સભાપતિને સોંપી દેવામાં આવ્યા છે.




