‘આપણે બધા એક જ બોટમાં સવાર, ડૂબીશું તો સાથે…’ મુસ્લિમોને NSA અજીત ડોભાલનો સંદેશ | nsa ajit doval say muslims we are fellow passengers on same ship if we sink we will sink together

![]()
Ajit Doval And Indian Muslim Community Meeting: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ભારતીય મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે વડાપ્રધાન કાર્યાલયમાં ગત 18 એપ્રિલે એક મહત્વની બેઠક થઈ હતી. આ મીટિંગમાં મુસ્લિમ સમુદાયના અલગ-અલગ ક્ષેત્રોના લોકો સામેલ હતા. આ બેઠક દરમિયાન NSAએ કહ્યું કે ભારતમાં રહેતા હિન્દુ અને મુસલમાન એક જ જહાજના મુસાફરો જેવા છે. તમને જણાવી દઈએ કે આ બેઠકનો ઉદ્દેશ્ય પરંપરાગત વોટ-બેંકના રાજકારણથી દૂર રહીને મુસ્લિમ સમુદાયના વિકાસ, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતાના ભવિષ્ય પર ચર્ચા કરવાનો હતો.
અજીત ડોભાલનું એક વાક્ય સૌ કોઈને ગમ્યું
બેઠકમાં ઉપસ્થિત મહેમાનોને આશરે દોઢ કલાક સુધી ધૈર્યપૂર્વક સાંભળ્યા બાદ અજીત ડોભાલે અંગ્રેજી અને ઉર્દૂના મિશ્રણવાળું એક પ્રભાવશાળી ભાષણ આપ્યું. તેમના એક વાક્યએ ત્યાં હાજર તમામ લોકોના દિલ જીતી લીધા. ડોભાલે કહ્યું, ‘આપણે (હિન્દુ અને મુસલમાન) એક જ જહાજ પર સવાર છીએ. આપણે કાં તો સાથે તરીશું અથવા સાથે ડૂબીશું!’
‘અમે પણ નવા ભારતનો હિસ્સો છીએ’: મુસ્લિમ પ્રતિનિધિ
આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પ્રસિદ્ધ શિક્ષણવિદ અને વ્યવસાયી ઝફર સરેશવાલાએ કર્યું હતું. તેમણે સરકાર પાસે સમાન તકની માંગ કરતા કહ્યું ,’અમે પણ નવા ભારતનો હિસ્સો છીએ.’
બેઠકમાં કોણ-કોણ હતું?
ઝફર સરેશવાલા- શિક્ષણવિદ અને વ્યવસાયી
ફારુક પટેલ- ચેરમેન, કેપી ગ્રુપ (રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અબજો ડોલરનું સામ્રાજ્ય)
ઇનામુલ રાકી- સીએમડી, જર્મન સ્ટીલ કંપની (1 બિલિયન ડોલર ટર્નઓવર)
ઇબરાર ઇરાકી- કાર્યકારી નિર્દેશક, જર્મન સ્ટીલ લિમિટેડ
જુનૈદ શરીફ- સીઈઓ, નિટોન વાલ્વ્સ લિમિટેડ
અલ્તાફ સાદિકોટ- વરિષ્ઠ પદાધિકારી, દાઉદી વ્હોરા જમાત
નઈમા ખાતૂન- કુલપતિ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)
સમીના શેખ- ઝૂમ ટીવી (મીડિયા)
સહર ભામલા- પર્યાવરણ કાર્યકર
ડો. નિશાદ હુસૈન- એમ્સ (AIIMS) ની ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર
ડો. ઝહીર કાઝી- અધ્યક્ષ, અંજુમન-એ-ઈસ્લામ (પ્રમુખ શૈક્ષણિક સંસ્થા)
ઝફર એમ. લારી- જીએલએસ સ્વિચગિયર્સ લિમિટેડ
હાજી રયામા- કચ્છ (ગુજરાત) થી પ્રતિનિધિત્વ
કૌસર જહાં- અધ્યક્ષ, ભારતીય હજ સમિતિ
અજીત ડોભાલની આ પહેલ દર્શાવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માત્ર સરહદોની રક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશની અંદર દરેક સમુદાયને સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવો પણ તેનો ભાગ છે. ઉદ્યોગ જગતથી લઈને શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધી ફેલાયેલા આ પ્રતિનિધિમંડળે એ સંદેશ આપ્યો છે કે ભારતીય મુસ્લિમ સમુદાય હવે માત્ર રાજકીય મહોરા તરીકે નહીં, પરંતુ ‘આત્મનિર્ભર ભારત’ના સક્રિય ભાગીદાર તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યો છે.



