અખાત્રીજે શુભ કાર્યનું ફળ અક્ષય એટલે કે કયારેય સમાપ્ત થતું નથી | The of auspicious deeds performed on Akhatri are Akshaya meaning they never end

![]()
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ મહત્વ છે આ દિવસે કરાયેલ દાન, જપ, તપ અને પૂજા અનેક ગણું ફળ આપે છે
ભુજ/ રાજકોટ : હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી અને સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનાની પૂજા અને ખરીદી માટેનો શુભ સમય જાણીએ. હિન્દુ ધર્મમાં, અખાત્રીજ, જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે પૂજા, જપ, ધ્યાન અને ઉપવાસ કરવાથી અનેકગણા લાભ મળે છે. અક્ષય તૃતીયા પર, ફક્ત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા જ નહીં, પણ સોનાની ખરીદીનું પણ વિશેષ મહત્વ છે.
આ દિવસને ‘અબૂઝ મુહૂર્ત’ વણજોયુ મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલા દરેક શુભ કાર્યનું ફળ અક્ષય એટલે કે ક્યારેય સમાપ્ત ન થતું માનવામાં આવે છે. આ જ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને આ દિવસને સત્યયુગ અને ત્રેતાયુગના આરંભ સાથે પણ જોડવામાં આવે છે.
મહાભારત કાળમાં પણ આ દિવસનું વિશેષ મહત્વ છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું, જેમાં ક્યારેય અન્નની કમી થતી નહોતી. માન્યતા મુજબ આ દિવસે કરાયેલ દાન, જપ, તપ અને પૂજા અનેક ગણું ફળ આપે છે અને જીવનમાં સુખ- સમૃદ્વિ, ધન-ધાન્ય અને સૌભાગ્ય વધે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી અને સોનું અથવા સોનાના આભૂષણ ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શા માટે શુભ છે
હિન્દુ માન્યતાઓ અનુસાર, સોનું ભગવાન સૂર્ય નારાયણ અને દેવતાઓના ગુરૂની સકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલું છે, અને તે સુખ અને સૌભાગ્ય લાવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે બજારમાંથી સોનું ખરીદીને ઘરે લાવવાથી આખા વર્ષ દરમિયાન સમૃદ્વિ આવે છે. સનાતન પરંપરામાં, અક્ષય તૃતીયાને શુભ સમય માનવામાં આવે છે, તેથી શુભ છે કે આ દિવસે કોઈપણ નવું કાર્ય શરૂ કરવું અથવા કોઈપણ પ્રોજેક્ટમાં પૈસા રોકાણ કરવું ખૂબ જ ફાયદાકારક છે.



