રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ | parliament special session harivansh singh rajya sabha deputy chairman women reservation bill voting

![]()
Parliament Special Session Live Updates: સંસદના વિશેષ સત્રના બીજા દિવસે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ હરિવંશ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઐતિહાસિક પળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, લોકસભામાં આજે મહિલા અનામત બિલ પર નિર્ણાયક મતદાન થવાનું છે.
પત્રકારમાંથી રાજનેતા
વરિષ્ઠ પત્રકારમાંથી રાજનેતા બનેલા હરિવંશ નારાયણ સિંહે આજે એક નવો ઈતિહાસ રચી દીધો છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદ માટે તેઓ સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વિરોધ પક્ષ દ્વારા આ પદ માટે કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં ન આવતા તેમની બિનહરીફ વરણી નિશ્ચિત થઈ ગઈ હતી. જેની આજે સવારે 11 વાગ્યે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભારતના સંસદીય ઈતિહાસમાં રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હોય, એવું પહેલીવાર બન્યું છે.
ઇતિહાસમાં પહેલીવાર નિમેલા સાંસદ બંધારણીય પદ પર
હરિવંશ નારાયણ સિંહનો ગત કાર્યકાળ (જે જનતા દળ યુનાઇટેડના ક્વોટામાંથી હતો) 9 એપ્રિલ 2026 ના રોજ સમાપ્ત થયો હતો. આ વખતે તેમની રાજ્યસભામાં પહોંચવાની અને ઉપાધ્યક્ષ બનવાની સફર અગાઉ કરતા અલગ રહી છે. તેનું કારણ એ છે કે, 10 એપ્રિલ 2026ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા તેમનું નામાંકન કર્યું હતું. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો કાર્યકાળ માર્ચ 2026 માં પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠક પર તેમણે લોકસભામાં શપથ લીધા હતા. દેશના સંસદીય ઈતિહાસમાં હરિવંશ સિંહ એવા પ્રથમ નિમેલા સભ્ય બન્યા છે, જેઓ રાજ્યસભાના ઉપાધ્યક્ષ જેવી મહત્ત્વની બંધારણીય જવાબદારી સંભાળી રહ્યા છે.
PM મોદીએ હરિવંશ સિંહના કર્યા વખાણ
હરિવંશ સિંહના પુનઃપસંદગી અંગે વડાપ્રધાન મોદીએ ગૃહમાં કહ્યું કે, હરિવંશજીનો જન્મ જયપ્રકાશ નારાયણ (JP) ના ગામમાં થયો છે અને તેમનું જાહેર જીવન તેમના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. સતત ત્રીજી વખત ચૂંટાવું એ ગૃહનો તેમના પ્રત્યેના અતૂટ વિશ્વાસનો પુરાવો છે. તેમની સહજ કાર્યશૈલી અને સૌને સાથે લઈને ચાલવાના પ્રયાસોથી રાજ્યસભાની ગરિમા વધી છે.
ખડગેએ લોકસભાના ડેપ્યુટી સ્પીકર મુદ્દે સવાલ ઉઠાવ્યા
એક તરફ હરિવંશ સિંહની વરણી પર ખુશી વ્યક્ત કરાઈ, તો બીજી તરફ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારને ઘેરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, લોકસભામાં હજુ સુધી ઉપાધ્યક્ષ પદ કેમ ખાલી છે? તેમણે આ બાબતને સંસદીય પરંપરાઓ વિરુદ્ધ ગણાવી દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો : રશિયાએ 11 દેશોની હિટલિસ્ટ જાહેર કરી, ‘ચાલાક’ મુસ્લિમ દેશ પણ સામેલ, દુનિયાભરમાં હડકંપ
મહિલા અનામત બિલ આજે સાંજે 4 વાગ્યે વોટિંગ
લોકસભામાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળી શકે છે. મહિલા અનામત બિલ સહિતના ત્રણ વિધેયકો પર આજે સાંજે 4 વાગ્યે વોટિંગ થવાનું છે. નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે મહિલા અનામત અધિનિયમ-2023 લાગુ કરવા અંગેનું નોટિફિકેશન જારી કરી દીધું છે. વિપક્ષ આ કાયદાના અમલીકરણમાં થઈ રહેલા વિલંબ અને 2029ની સમયમર્યાદાને લઈને સરકાર પર નિશાન સાધી રહ્યો છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ તમામ પક્ષોને બિલના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી છે.
શું 2/3 બહુમતી મળશે?
આ દરમિયાન ગઈકાલના ડિવિઝન વોટમાં 42% સાંસદો વિરોધમાં દેખાયા હતા, જે સરકાર માટે ચિંતાનો વિષય છે. આજે જો વિપક્ષ એક થઈને મતદાન કરે તો સરકાર માટે 360 મતોનો આંકડો મેળવવો એક મોટી કસોટી બની જશે.



