राष्ट्रीय

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nari Shakti Vandan Adhiniyam: The 27 Year Journey From Torn Bills to Historic 454 2 Victory



Nari Shakti Vandan Adhiniyam : ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘ધીરજના ફળ મીઠા હોય છે.’ ભારતીય રાજકારણ માટે આ કહેવત બિલકુલ સાચી પડી છે. સરકાર સંસદમાં સીમાંકન અંગેના ત્રણ મહત્ત્વના બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. આનાથી મહિલાઓ માટેનો અનામત કાયદો, એટલે કે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’, વહેલો લાગુ થવાનો માર્ગ મોકળો થશે. 2023માં આ બિલ લગભગ સર્વસંમતિથી પસાર થયું હતું, પરંતુ આ સફર સરળ નહોતી. તેના અમલીકરણ સુધી પહોંચવા માટે કાયદાએ તોફાની, વિવાદાસ્પદ અને લાંબો રસ્તો કાપવો પડ્યો છે.

શરૂઆતનો વિરોધ: જ્યારે મહિલાઓને જ અનામત નહોતી ગમી

જાણીને નવાઈ લાગે એવી વાત છે કે શરૂઆતમાં મહિલા અનામતનો સૌથી મોટો વિરોધ મહિલા નેતાઓએ જ કર્યો હતો! બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન ઘણી મહિલા સભ્યો માનતી હતી કે આઝાદ ભારતમાં મહિલાઓને યોગ્યતાના બળે આગળ આવવું જોઈએ, અનામતની જરૂર નથી. તેમની દલીલ હતી કે લોકશાહી મહિલાઓને પોતાનું સ્થાન આપી દેશે. પરંતુ સમય જતાં આ આશાવાદ ઓગળી ગયો અને સમજાયું કે સમાજમાં માળખાકીય અવરોધો એટલા મજબૂત છે કે ‘સમાન તક’ની વાત માત્ર કલ્પના જ છે. આથી વિચાર બદલાયો અને 1990ના દાયકા સુધી આવતાં આવતાં મહિલાઓ માટે 33% અનામતની માંગ જોર પકડવા લાગી.

1996-1997: ‘ક્વોટા-ઇન-ક્વોટા’ની માંગણીનો જન્મ

1996માં એચ.ડી. દેવગૌડાની સરકારે સૌપ્રથમવાર આ બિલ રજૂ કર્યું. કોંગ્રેસ, ડાબેરીઓ અને દક્ષિણના પક્ષોએ તેનું સ્વાગત કર્યું. પરંતુ જે પક્ષો સામાજિક ન્યાયની વાત કરતા હતા (જેમ કે સમાજવાદી પક્ષો અને ભાજપના અંદરના વર્ગો) તેમણે સવાલ ઉઠાવ્યો: ‘આ બિલથી માત્ર ઉચ્ચ વર્ગની મહિલાઓને જ ફાયદો થશે?’ આ સમયે ભાજપના સાંસદ ઉમા ભારતીએ સંસદમાં એક મહત્ત્વપૂર્ણ માંગ કરી. તેમણે કહ્યું કે પંચાયતી રાજની જેમ અહીં પણ પછાત જાતિની મહિલાઓ માટે અલગથી અનામત હોવી જોઈએ. આ જ ‘ક્વોટા-ઇન-ક્વોટા'(અનામતમાં અનામત)ની માંગણીએ આખા સંઘર્ષને એક નવો વળાંક આપ્યો. હવે માત્ર ‘મહિલા અનામત’ની નહીં, પણ ‘કઈ મહિલાઓને અનામત’ તેની લડાઈ શરૂ થઈ ગઈ.

આ પણ વાંચો : અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ

1998-1999: ફાટેલા બિલ અને ‘પરકટી’ વિવાદ

1990નો દાયકો સંસદીય ઇતિહાસનો સૌથી હિંસક સમયગાળો હતો. 1998માં અટલ બિહારી વાજપેયી સરકારે બિલ ફરીથી રજૂ કર્યું ત્યારે સભ્યોએ સખત વિરોધ કર્યો અને ગૃહની અંદર જ કાયદાની નકલો છીનવીને ફાડી નાખી. AIADMKના વડા જે. જયલલિતાએ ટિપ્પણી કરી કે, ‘પુરુષો આ બિલના સમર્થનમાં ફક્ત હોઠ હલાવી રહ્યા છે, મનથી તો તેઓ આ બિલને રોકવા જ માંગે છે.’ 

આ સમયગાળા દરમિયાન એક ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી થઈ. જનતા દળના નેતા શરદ યાદવે કહ્યું કે, ‘અમે એવું નહીં થવા દઈએ કે માત્ર ‘પરકટી મહિલા’ (ટૂંકા વાળવાળી, શહેરી મહિલા) જ સંસદમાં આવે.’ આ ટિપ્પણીને સ્ત્રી-વિરોધી ગણાવીને એની ખૂબ ટીકા થઈ. તે જ સમયે, RJDના લાલુ પ્રસાદ યાદવે આક્ષેપ કર્યો કે આ બિલ લઘુમતીઓ અને પછાતોનું ગળું દબાવી રહ્યું છે. આ વિરોધ એટલો તીવ્ર હતો કે 1999માં સરકાર પડતાં જ આ બિલ રદ થઈ ગયું.

2008-2010: સોક્રેટીસના સિદ્ધાંતોનું ઉદાહરણ આપીને વિરોધ

યુપીએ સરકારે 2008માં ફરી પ્રયાસ કર્યો. પરંતુ વિરોધીઓ અડી ગયા. શરદ યાદવે સંસદમાં એક નાટકીય વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું, ‘અમારી પાસે સંખ્યા બળ નથી, પરંતુ જેમ સોક્રેટીસે સિદ્ધાંતો માટે ઝેર પીધું હતું, તેમ હું આ બિલનો વિરોધ કરતા મરવા તૈયાર છું.’ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે આ બિલને નેતૃત્વ ખતમ કરનારું ‘કાવતરું’ ગણાવ્યું. 

મુલાયમ સિંહની વિવાદાસ્પદ ટિપ્પણીઃ ‘ગ્રામીણ મહિલાઓ ‘એટલી આકર્ષક’ નથી હોતી’

2010માં લખનૌમાં મુલાયમ સિંહે ગ્રામીણ મહિલાઓને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, ‘ગ્રામીણ મહિલાઓ ‘એટલી આકર્ષક’ હોતી નથી, તેથી ફક્ત ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની પત્નીઓ અને દીકરીઓ જ આગળ આવશે.’ 9 માર્ચ, 2010ના રોજ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે ગૃહમાં ભારે ધમાલ મચી. 7 સાંસદોએ સ્પીકરના પોડિયમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને બિલ ફાડી નાંખ્યું. તેમને માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. બિલ રાજ્યસભામાં તો પસાર થઈ ગયું, પરંતુ લોકસભામાં ક્યારેય રજૂ ન થઈ શક્યું.

2023નો વળાંક: 454 સામે ફક્ત 2 મત

2023માં દૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું. રાજકીય પક્ષો સમજી ગયા કે મહિલાઓ હવે નિર્ણાયક મતદાર છે. ‘ક્વોટા-ઇન-ક્વોટા’ની માંગ તો રહી, પરંતુ અંધ વિરોધ ઓછો થયો. કોંગ્રેસે આ બિલને ‘રાજીવ ગાંધીનું સપનું’ ગણાવ્યું અને OBC અનામતની શરતે ટેકો આપ્યો. આ વખતે સૌથી મોટો ટેકો માયાવતીનો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમની માંગણીઓ પૂરી ન થાય તોપણ બસપા બિલને સપોર્ટ કરશે. ડીએમકેના સાંસદ કનિમોઝીએ માર્મિક ટિપ્પણી કરી: ‘અમને સલામ કરવાનું બંધ કરો, અમને સમાન તરીકે આદર આપો.’ આખરે લોકસભામાં આ બિલ પર મતદાન થયું. પરિણામ ઐતિહાસિક રહ્યું. કુલ 454 મત તરફેણમાં પડ્યા, જ્યારે વિરુદ્ધમાં માત્ર 2 મત જ પડ્યા. આમ, દાયકાઓનો તોફાની-કાંટાળો માર્ગ પૂરો થયો અને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર થયો.

આ પણ વાંચો : નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડિંગનો આરોપ



Source link

Related Articles

Back to top button