મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત | india energy diplomacy jaishankar misri global security

India Energy Diplomacy: મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતે પોતાની ઊર્જા, સંરક્ષણ અને વેપાર સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આક્રમક કૂટનીતિક પ્રયાસો શરૂ કર્યા છે. આ વ્યૂહનીતિના ભાગરૂપે વિદેશ સચિવ વિક્રમ મિસરી રવિવારથી ફ્રાન્સ અને જર્મનીના ત્રણ દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે તેઓ યુરોપના આ બે શક્તિશાળી દેશો સાથે ભારતના હિતોને મજબૂત કરશે. આ તરફ, વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હાલ અબુ ધાબી(UAE) પહોંચ્યા છે, જ્યાં તેઓ ઊર્જા અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે મહત્ત્વની ચર્ચા કરી રહ્યા છે.
અમેરિકા-ઈરાન સીઝફાયર અને ભારત
ભારતની આ કૂટનીતિક દોડધામ એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ છે અને ઈસ્લામાબાદમાં યુદ્ધવિરામ માટે બંને પક્ષોના પ્રતિનિધિઓ મંત્રણા કરી રહ્યા છે. વિક્રમ મિસરી અમેરિકામાં માર્કો રુબિયો અને ટ્રમ્પ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. હવે ફ્રાન્સ અને જર્મનીના પ્રવાસનો મુખ્ય હેતુ મધ્ય પૂર્વના સંકટના કારણે ઊર્જા સુરક્ષા પર પડનારી સંભવિત અસરને ખાળવાનો છે. ભારત પોતાની તેલ અને ગેસની જરૂરિયાતો માટે મોટાભાગે મધ્ય પૂર્વ પર નિર્ભર છે, તેથી જો યુદ્ધ લાંબુ ખેંચાય તો મોંઘી ઓઇલ અને ઊર્જાની કિંમતો ભારતની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે.
ભારત-ફ્રાન્સ સંરક્ષણ ભાગીદારી
ફ્રાન્સમાં વિદેશ સચિવ ભારત-ફ્રાન્સ વિદેશ કાર્યાલય પરામર્શની સહ-અધ્યક્ષતા કરશે. જેમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના વિઝન મુજબ સંરક્ષણ, પરમાણુ ઊર્જા, અંતરિક્ષ, સાયબર સુરક્ષા અને ટૅક્નોલૉજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. ત્યારબાદ જર્મનીમાં પણ વેપાર, રોકાણ, સંરક્ષણ અને ગ્રીન એનર્જી જેવા વિષયો પર ગહન ચર્ચા થશે. તાજેતરમાં જ જર્મન ચાન્સેલર અને ફ્રાન્સના પ્રમુખે ભારતની મુલાકાત લીધી હતી, જેના પગલે આ પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની ઉત્તમ તક પૂરી પાડશે.
આ પણ વાંચો: લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
ભારતનું ગ્લોબલ એનર્જી મિશન
ભારત માટે આ મિશન અત્યંત મહત્ત્વનું છે કારણ કે તેનાથી દેશની ઊર્જા જરૂરિયાતો સુરક્ષિત થશે અને નવા સંરક્ષણ કરારો તેમજ ટેકનિકલ ભાગીદારીને વેગ મળશે. વિદેશ મંત્રી જયશંકરનો UAE પ્રવાસ અને વિદેશ સચિવનો યુરોપ પ્રવાસ એ સ્પષ્ટ કરે છે કે ભારત વૈશ્વિક સ્તરે ઉભી થયેલી અસ્થિરતા વચ્ચે પણ પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યું છે.



