राष्ट्रीय

પરમાણુ ઊર્જામાં ભારત સ્વનિર્ભર : નવા યુગનો પ્રારંભ | India self reliant in nuclear energy: The beginning of a new era



– દેશના વિપુલ થોરિયમના ભંડારનો ઊર્જા ક્ષમતા માટે ઉપયોગ કરવાની દિશામાં મહત્વનું પગલુ

– સ્વદેશી કલપક્કમ રિએક્ટરમાં વીજળી બનાવવા જરૂરી ગરમી પેદા થવાની સાથે ભારત પરમાણુ કાર્યક્રમના બીજા તબક્કામાં પ્રવેશ્યું

– રૂ. 3,492 કરોડના અંદાજના પ્રોજેક્ટનો ખર્ચ 22 વર્ષમાં વધીને રૂ. 8,181 કરોડે પહોંચ્યો

– 500 મેગાવોટની ક્ષમતાવાળા પીએફબીઆરથી ભારત પોતાના વપરાશ કરતાં વધુ વીજળી પેદા કરવા સક્ષમ બનશે

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના પગલે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલની કટોકટી સર્જાઈ છે ત્યારે ભારત પણ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. આવા સમયે ભારતે પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં સ્વ-નિર્ભરતા તરફ આગેકૂચ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના કલપક્કમમાં સ્વદેશી પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે ક્રિટિકલિટી હાંસલ કરી લીધી છે. ભારતની આ સિદ્ધિની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર તેની જાહેરાત કરી અને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાઆનિકો, એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, ભારત ત્રણ તબક્કાના નાગરિક પરમાણુ ઊર્જા કાર્યક્રમના બીજા તબક્કામાં આગળ વધી રહ્યો છે. 

તમિલનાડુના કલપક્કમમાં ૫૦૦ મેગાવોટ વીજળીની ક્ષમતાવાળા પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (પીએફબીઆર)ને સોમવારે ક્રિટિકલિટી હાંસલ કરી લીધી છે. એટલે કે સ્વદેશી કલપક્કમ રિએક્ટરમાં વીજળી બનાવવા માટે જરૂરી ગરમી પેદા કરવાની ક્ષમતા મેળવી છે. આ સાથે ભારતના પરમાણુ કાર્યક્રમના જનક ગણાતા ડૉ. હોમી ભાભા દ્વારા કલ્પિત ત્રણ તબક્કાના પરમાણુ ઊર્જા કાર્યક્રમના બીજા તબક્કામાં ભારતે પ્રવેશ કર્યો છે. ભારતના પરમાણુ પ્રવાસમાં આ ઐતિહાસિક પગલું છે, જે આગામી દાયકાઓમાં દેશમાં ઊર્જા ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવશે. 

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા અનિશ્ચિતતાના સમયે ભારતે પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ સાથે ભારત વર્તમાન આઠ ગીગાવોટની ઊર્જા ક્ષમતાને વર્ષ ૨૦૪૭માં વધારીને ૧૦૦ ગીગાવોટ સુધી લઈ જવાની દિશામાં આગળ વધ્યું છે.

ભારતે કલપક્કમમાં આ રિએક્ટર પર ૨૦૦૪માં કામ શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ કેટલાક વર્ષોમાં પૂરો થવાની અપેક્ષા હતી, પરંતુ કેટલાક ટેકનિકલ પડકારો, સુરક્ષા સંબંધી તકેદારીઓ, ઉપકરણોની જટીલતા અને વિલંબના કારણે તેને પૂરો થવામાં ૨૨ વર્ષ લાગ્યા છે. આ પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ રૂ. ૩,૪૯૨ કરોડ આંકવામાં આવ્યો હતો, પરંતુ વિલંબ અને ટેકનિકલ મુશ્કેલીઓના કારણે પ્રોજેક્ટ લંબાતા ખર્ચ ખૂબ જ વધી ગયો. કેટલાક રિપોર્ટ્સ મુજબ આ ખર્ચ હાલ વધીને રૂ. ૮,૧૮૧ કરોડ સુધી પહોંચી ગયો છે.

પીએફબીઆરનું ક્રિટિકલિટી હાંસલ કરવું એ માત્ર એક ટેકનિકલ સિદ્ધિ નથી, પરંતુ ભારતની આત્મનિર્ભર વૈજ્ઞાાનિક ક્ષમતા અને ઊર્જા સુરક્ષાના મોટા વિઝનના સંકેત છે. કલપક્કમ રિએક્ટર દેશના વિશાળ થોરિયમ ભંડારમાં છુપાયેલી ઊર્જાનો ઉપયોગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દક્ષિણ ભારતના દરિયા કાંઠાના પ્રદેશમાં મળી આવેલા થોરિયમના વિપુલ જથ્થાના ઉપયોગથી પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં ભારતને સ્વ-નિર્ભર બનાવવા માટે ડો. હોમી ભાભાએ ૧૯૫૦માં ત્રણ તબક્કાનો પરમાણુ કાર્યક્રમ બનાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ આ સિદ્ધિની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેરાત કરતા લખ્યું કે, ભારતે આજે પોતાના નાગરિક પરમાણુ ઊર્જા પ્રવાસમાં મહત્વનું પગલું ભર્યું છે. તમિલનાડુના કલપક્કમમાં સ્વદેશી ડિઝાઈન ધરાવતું પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ક્રિટિકલિટી પર પહોંચી ગયું છે. થોરિયમ રિઝર્વનો ઉપયોગ કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. આપણા વૈજ્ઞાાનિકો અને એન્જિનિયરોને અભિનંદન.

પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, ભારતના નાગરિક પરમાણુ પ્રવાસમાં આ સૌથી નિર્ણાયક પગલું છે. અત્યાધુનિક સ્વદેશી રિએક્ટર આપણા વૈજ્ઞાાનિકોની કુશળતાનું પ્રમાણ છે. ક્રિટિકલિટીની શ્રેણીમાં આવવાથી ભારત પાસે પોતાના વપરાશ કરતાં ઘણું વધુ ઈંધણ પેદા કરવાની તાકાત આવી શકે છે.

દુનિયાનો 25 ટકા થોરિયમ જથ્થો ભારતમાં

થોરિયમ આધારિત ઊર્જા સિસ્ટમ વિકસાવવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય

– વીજળી સાથે ઈંધણ પેદા કરવાની ફાસ્ટ બ્રીડર રિએક્ટરની વિશેષતા દેશને આત્મનિર્ભર બનાવશે

નવી દિલ્હી : તમિલનાડુના કલપક્કમમાં ૫૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતું સોડિયમ-કૂલ્ડ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે. ફાસ્ટ બ્રીડર રીએક્ટર્સ (પીએફબીઆર) ભારતની લાંબાગાળાની પરમાણુ ઊર્જા રણનીતિનો મહત્વનો ભાગ છે. દુનિયાનું ૨૫ ટકા થોરિયમ ભારતમાં છે ત્યારે કેન્દ્ર સરકારનું લક્ષ્ય થોરિયમ આધારિત ઊર્જા સિસ્ટમ વિકસાવવાનું છે.

અન્ય પરમાણુ રિએક્ટર્સથી વિપરિત ફાસ્ટ બ્રીડર રિએક્ટર માત્ર એનર્જી પેદા નથી કરતાં પરંતુ ઈંધણ પણ પેદા કરે છે. આ કારણે તેને બ્રીડર રિએક્ટર કહેવાય છે. આ સિવાય પરંપરાગત થર્મલ રિએક્ટર્સથી વિપરિત પીએફબીઆર યુરેનિયમ-પ્લુટોનિયમ મિશ્રિત ઓક્સાઈડ ઈંધણનો ઉપયોગ કરે છે. પીએફબીઆરનો મુખ્ય ભાગ યુરેનિયમ-૨૩૮થી ઘેરાયેલો રહે છે. ઝડપી ન્યુટ્રોન ફળદ્રુપ યુરેનિયમ-૨૩૮ને વિભાજિત પ્લુટોનિયમ-૨૩૯માં રૂપાંતરિત કરે છે, જેનાથી રિએક્ટર તેના વપરાશ કરતાં વધુ ઈંધણ ઊત્પન્ન કરી શકે છે. રિએક્ટર આખરે બ્લેન્કેટ થોરિયમ-૨૩૨નો ઉપયોગ કરવા માટે રચાયેલા છે. આ ટેકનિક ભારતને ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવી શકે છે. આજે દુનિયા ક્લિન અને અવિરત ઊર્જા તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતને આ સિદ્ધિ વૈશ્વિક પરમાણુ પાવર ક્લબમાં મજબૂત સ્થિતિ આપશે.

‘ન્યૂક્લિયર સુપરપાવર’ બનવાની દિશામાં મોટું પગલું

ભારત વ્યાવસાયિક ફાસ્ટ બ્રીડર રિએક્ટર બનાવનાર બીજો દેશ બનશે

– પીએફબીઆર બનાવવામાં જાપાન અને ફ્રાન્સ નિષ્ફળ ગયા : હાલ માત્ર રશિયા પાસે આ સિદ્ધિ

નવીદિલ્હી : ભારતનો પરમાણુ કાર્યક્રમ લાંબા સમયથી થોરિયમ પર આધારિત છે અને પીએફબીઆર આ રણનીતિની કરોડરજ્જુ છે.હવે ભારત ઊર્જા આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવે ભારત ઝડપથી ઊભરતા ‘ન્યૂક્લિયર સુપરપાવર’ બનવાની દિશામાં મોટું પગલું છે. આ રિએક્ટર સંપૂર્ણપણે ચાલુ થતા ભારત રશિયા પછી વ્યાવસાયિક ફાસ્ટ બ્રીડર રીએક્ટર બનાવનારો બીજો દેશ બની જશે.  કલપક્કમ સ્થિત ફાસ્ટ બ્રીડર રિએક્ટર (પીએફબીઆર)માં ઈંધણ ભરવાની શરૂઆત ઓક્ટોબર ૨૦૨૫માં શરૂ થઈ હતી. આ રિએક્ટરનું સંચાલન ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ કરી રહ્યું છે. આ પહેલાં પીએમ મોદીએ માર્ચ ૨૦૨૪માં આ રિએક્ટરની કોર લોડિંગ પ્રક્રિયાની શરૂઆતનું નિરીક્ષણ કર્યું હતું, જે તેના સંચાલનની દિશામાં પહેલું મોટું પગલું હતું. 

આ સિદ્ધિના દૂરગામી પરિણામો પણ છે. આ સાથે ભારત એકબાજુ પોતાની વૈજ્ઞાાનિક અને રણનીતિક તાકાત બતાવી રહ્યું છે તો બીજીબાજુ એશિયામાં શક્તિ સંતુલન પણ બદલાતું જોવા મળી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન જેવા દેશો માટે આ સંકેત છે કે ભારત હવે માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક પરમાણુ તાકાત બનવાના માર્ગે છે. ભારતને આ સિદ્ધિ હાંસલ કરવામાં ૨૨ વર્ષ લાગ્યા છે. જાપાન અને ફ્રાન્સે પણ પહેલા આ દિશામાં પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમને સફળતા મળી નહોતી. આ રિએક્ટર ભારત માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ગેમચેન્જર સાબિત થઈ શકશે.



Source link

Related Articles

Back to top button