ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિવેદન | india petroleum ministry denies iranian oil shipment diverted china

![]()
Ping Shun Ship controversy: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષાને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી. ખાસ કરીને ઈરાનથી આવતા ક્રૂડ ઓઇલના જહાજ અને પેમેન્ટની સમસ્યાને લઈને ફેલાયેલી અફવાઓ પર હવે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે પૂર્ણવિરામ મૂક્યું છે. મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતની તેલ સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે.
શું હતો પિંગ શુન જહાજ વિવાદ?
ઓઈલ માર્કેટ પર નજર રાખતી એજન્સી કેપ્લરે દાવો કર્યો હતો કે, ઈરાનથી આશરે 6 લાખ બેરલ કાચું તેલ લઈને ભારત આવી રહેલું જહાજ પિંગ શુન અચાનક માર્ગ બદલીને ચીન તરફ વળી ગયું છે. કેપ્લરના રિફાઇનરી મેનેજર સુમિત રિતોલિયાના જણાવ્યા અનુસાર, આ જહાજ ગુજરાતના વડીનાર બંદર તરફ આવી રહ્યું હતું, પરંતુ ભારત નજીક પહોંચતા જ તેણે પોતાની દિશા બદલી નાખી હતી. જેની પાછળનું કારણ પેમેન્ટની સમસ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું.
બધું જ તથ્યાત્મક રીતે ખોટું છે
પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ અહેવાલોને નકારી કાઢ્યા છે. ઈરાની ક્રૂડ ઓઇલની આયાતમાં ચૂકવણીને લઈને કોઈ જ અવરોધ નથી. ભારત આવી રહેલું કોઈ પણ જહાજ પેમેન્ટના કારણે ચીન તરફ વળ્યું હોવાની વાત પાયાવિહોણી છે. મિડલ ઈસ્ટમાં સપ્લાયની પડકારો હોવા છતાં, ભારતીય રિફાઈનરીઓએ ઈરાન સહિત અન્ય દેશો પાસેથી તેલની જરૂરિયાતો સુરક્ષિત કરી લીધી છે.
તેલ વ્યાપારની પ્રક્રિયા અને ઓપરેશનલ ફ્રીડમ
સરકારે સમજાવ્યું કે, તેલનો વેપાર કેવી રીતે કામ કરે છે તે સમજ્યા વગર આવા દાવા કરવામાં આવ્યા છે. બિલ ઓફ લેડિંગમાં વારંવાર માલ ઉતારવા માટે સંભવિત બંદરોના નામ લખેલા હોય છે. સમુદ્રમાં ચાલી રહેલા કાર્ગો વ્યાપારને બહેતર બનાવવા અને ઓપરેશનલ ફ્રીડમના આધારે જહાજ યાત્રા દરમિયાન ગમે ત્યારે પોતાનો રસ્તો બદલી શકે છે. આ એક સામાન્ય વ્યાપારી પ્રક્રિયા છે.
LPG સપ્લાય પર પણ સ્થિતિ સ્પષ્ટ
ક્રૂડ ઓઇલની સાથે સાથે LPG ને લઈને પણ અફવાઓ ફેલાઈ હતી. તેના જવાબમાં મંત્રાલયે જણાવ્યું કે, સી બર્ડ નામનું LPG જહાજ, જેમાં 44 TMT ઈરાની LPG હતું, તે 2 એપ્રિલના રોજ સુરક્ષિત રીતે મેંગલોર બંદર પર પહોંચી ગયું છે અને હાલ ત્યાં માલ ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ભારત 40 થી વધારે દેશોમાંથી કરે છે આયાત
ભારત હાલમાં વિશ્વના 40થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે. અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં આપેલી છૂટછાટનો લાભ ભારત લઈ રહ્યું છે. સરકારે દેશવાસીઓને ખાતરી આપી છે કે આવનારા મહિનાઓ માટે ભારતની તેલ અને ગેસની જરૂરિયાતો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જનતાએ આવી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.


